‘હ્યુન્ડાઈ i20 કારમાં ધડાકો, તમામ એંગલ પર થઈ રહી છે તપાસ’: દિલ્હી કાર બ્લાસ્ટ બાદ હોસ્પિટલ પહોંચ્યા અમિત શાહ

દિલ્હીના લાલ કિલ્લા નજીક કારમાં બ્લાસ્ટ થવાના સમાચાર સામે આવ્યા બાદ હવે તાબડતોડ તપાસ શરૂ થઈ છે. જાણવા મળી રહ્યું છે કે હાલ આ ઘટનાને લઈને 10 લોકોનાં મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ છે. ઉચ્ચ અધિકારીઓ અને એજન્સીઓ ઘટનાસ્થળ પર હાજર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટનાને લઈને માહિતી પણ આપી છે. તેમણે કહ્યું છે કે, આ દુર્ઘટનામાં ઘણા લોકોનાં મૃત્યુ નિપજ્યાં હોવાના સમાચાર છે અને દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. 

અમિત શાહે જણાવ્યું છે કે હ્યુન્ડાઈ i20 કારમાં ધડાકો થયો હતો. આ ઘટના સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પાસે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની નજીક બની હતી. બ્લાસ્ટથી કેટલાક લોકો ઘાયલ થયા છે અને આસપાસના વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, આ ઘટનામાં કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “આ ઘટનાની માહિતી મળતાંની સાથે જ 10 મિનિટમાં દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હવે NSG અને NIAની ટીમો તેમજ FSLના (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) અધિકારીઓ દ્વારા સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવી છે. આસપાસના તમામ CCTV કેમેરાની તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.”

શાહે વધુમાં કહ્યું કે, તેમણે દિલ્હીના પોલીસ કમિશનર અને સ્પેશિયલ બ્રાન્ચના ઇન્ચાર્જ સાથે વાત કરી છે અને બંને અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવશે અને તાત્કાલિક પરિણામો જાહેર કરવામાં આવશે.” 

આ ઘટના બાદ ગૃહમંત્રી અમિત શાહ લોક નાયક જય પ્રકાશ (LNJP) હોસ્પિટલ પહોંચ્યા છે અને ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી છે. આ ઘટનામાં 8-10 લોકોનાં મોત અને 15થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. હાલ પોલીસ અને વિવિધ એજન્સીઓ આ ઘટનાને લઈને વધુ તપાસ કરી રહી છે.