સરકારના વડા તરીકે પીએમ મોદીએ 24 વર્ષ પૂર્ણ કર્યાં, કહ્યું– ‘આ મહાન રાષ્ટ્રની સેવા કરવી એ ગર્વની બાબત, ‘વિકસિત ભારત’ માટે પરિશ્રમ કરતો રહીશ’

7 ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે 25 વર્ષ પૂર્ણ કર્યાં છે. 13 વર્ષ સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા, 11 વર્ષથી દેશના વડા પ્રધાન છે. 7 ઑક્ટોબર, 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા.  પીએમ મોદીએ એક પોસ્ટ કરીને આ 24 વર્ષની યાત્રા વાગોળી છે અને 25મા વર્ષમાં પ્રવેશ પર નવા સંકલ્પો વિશે પણ વાત કરી છે.  

પીએમ મોદીએ લખ્યું, “2001માં આ જ દિવસે મેં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત શપથ લીધા હતા. દેશવાસીઓના આશીર્વાદ સતત માથે રહ્યા છે અને તેના કારણે જ આજે સરકારના વડા તરીકે 25મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું. દેશવાસીઓનો આભાર. આ વર્ષો દરમિયાન મારો સતત પ્રયાસ રહ્યો છે કે લોકોનાં જીવન સુધારવા માટે, આ રાષ્ટ્રની પ્રગતિ માટે હું યોગદાન આપતો રહું.”

દરમ્યાન વડા પ્રધાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કેવી રીતે શરૂઆત કરી હતી તેની પણ વાત કરી. તેમણે કહ્યું, “પાર્ટીએ જ્યારે મારી ઉપર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિશ્વાસ મૂક્યો એ સંજોગો કપરા હતા. એ જ વર્ષે ભયાનક ભૂકંપ આવ્યો હતો અને તેના અગાઉના વર્ષે વિનાશક વાવાઝોડું પણ આવ્યું હતું. તેના કારણે પ્રાકૃતિક સમસ્યાઓ પણ આવી અને રાજકીય અસ્થિરતા પણ હતી. આ પડકારોએ લોકોની સેવા કરવાની અને ગુજરાતને નવેસરથી ઊભું કરવાની શક્તિઓ આપી.”

માતા હીરાબાને યાદ કરીને તેમણે કહ્યું, “મેં જ્યારે મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા ત્યારે મારી માતાએ મને કહ્યું હતું એ યાદ છે– ‘મને તારા કામ વિશે બહુ ખબર નથી પણ માત્ર બે કામ કરજે. પહેલું, કાયમ ગરીબો માટે કામ કરવું અને બીજું, ક્યારેય ભ્રષ્ટાચાર ન કરવો.’ હું લોકોને પણ કહેતો રહું છું કે મેં કાયમ શુદ્ધ ભાવનાથી કામ કર્યું છે અને કાયમ એ ભાવનાથી કામ કર્યું છે કે પંક્તિના અંતિમ માણસ સુધી પણ લાભો પહોંચે.”

આગળ વડા પ્રધાન કહે છે, “આ પચ્ચીસ વર્ષ અનેક અનુભવોનાં રહ્યાં. સાથે મળીને આપણે અનેક ઉપલબ્ધિઓ મેળવી. મને હજુ યાદ છે કે જ્યારે મેં મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા ત્યારે એવો માહોલ બનાવી દેવામાં આવ્યો હતો કે ગુજરાત હવે ફરીથી બેઠું ન થઈ શકે. સામાન્ય નાગરીકોથી માંડીને ખેડૂતો સુધી…ફરિયાદો અનેક હતી. ત્યાંથી આપણે સાથે મળીને ગુજરાતને એક પાવરહાઉસ અને સુશાસનનું મોડેલ બનાવ્યું.”

ગુજરાતની પ્રગતિ વિશે તેઓ કહે છે, “એ રાજ્ય જ્યાં અગાઉ વારંવાર દુકાળ પડતા હતા એ આજે કૃષિમાં ટોચ પર પહોંચી ગયું છે. ઉદ્યોગો અને ઉત્પાદન પણ વધ્યાં છે. કાયમ કર્ફ્યુ લાગતા હતા એ વાત હવે ભૂતકાળ બની ગઈ. સામાજિક અને ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળ્યો છે.” વડા પ્રધાન કહે છે કે, આ ઉપલબ્ધિઓ મેળવવા માટે લોકો સાથે મળીને કામ કરવાનો એક સંતોષ પણ રહ્યો.

વડા પ્રધાન તરીકેની પોતાની યાત્રા વિશે નરેન્દ્ર મોદીએ લખ્યું કે, તેમને જ્યારે જવાબદારી મળી ત્યારે UPA સરકારના ભ્રષ્ટાચાર અને અમુક નીતિઓના કારણે દેશના લોકોમાં સરકાર પ્રત્યે અવિશ્વાસ ઉભો થયો હતો. પણ લોકોએ ગઠબંધન પર વિશ્વાસ મૂક્યો, જંગી બહુમતી આપી અને પાર્ટીને પણ સ્પષ્ટ બહુમતી આપી, જે ત્રણ દાયકા પછી બન્યું હતું.

11 વર્ષની યાત્રા પર પીએમ મોદીએ કહ્યું, “આપણે સાથે મળીને કામ કર્યું અને પરિવર્તન લાવ્યા છીએ.” દેશનાં તમામ ક્ષેત્રો વિકાસ કરી રહ્યાં છે એ એક મોટી ઉપલબ્ધિ છે તેમ પણ તેમણે ઉમેર્યું અને કહ્યું કે નારીશક્તિ, યુવાશક્તિ અને ખેડૂતોની સ્થિતિ સતત સુધારતી જાય છે. કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. દેશની અર્થવ્યવસ્થાનો પણ ઉલ્લેખ કર્યો અને આત્મનિર્ભરતા પર પણ તેમણે ભાર મૂક્યો.

અંતે પીએમ મોદીએ ફરી એક વખત દેશના લોકોનો વિશ્વાસ અને સ્નેહ બદલ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આ રાષ્ટ્રની સેવા કરવી એ ગર્વની બાબત છે. તેમણે કહ્યું કે બંધારણને પ્રેરણા માનીને તેઓ આવનાર સમયમાં વધુ પરિશ્રમ કરતા રહેશે, જેથી વિકસિત ભારતનું દેશનું સહિયારું સ્વપ્ન સાકાર થઈ શકે.