ગાંધીનગરના બહિયલમાં ચાલુ ગરબામાં મુસ્લિમ ટોળાનો પથ્થરમારો, દુકાનો સળગાવાઈ, વાહનોમાં આગચંપી: પોલીસે 60ને રાઉન્ડ અપ કર્યા

ગાંધીનગરના દહેગામના બહિયલમાં ચાલુ ગરબાએ કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાએ હુમલો કર્યા બાદ તંગદિલીનો માહોલ સર્જાયો છે. એક હિંદુ યુવકના સોશિયલ મીડિયા સ્ટેટસ પર વાંધો ઉઠાવીને ઇસ્લામી કટ્ટરપંથીઓએ ગરબા મંડપ પર પથ્થરો ફેંક્યા અને અમુક દુકાનોમાં તોડફોડ કરીને આગચંપી કરી હતી. પોલીસે પછીથી સ્થિતિ નિયંત્રણમાં લઈને કાર્યવાહી શરૂ કરી હતી. 

પ્રાપ્ત જાણકારી અનુસાર, હાલ દેશભરમાં ‘આઈ લવ મુહમ્મદ’ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે. દરમ્યાન એક હિંદુ યુવકે સોશિયલ મીડિયા સ્ટેટ્સમાં મૂક્યું હતું કે ‘આઈ લવ મહાદેવ’ લખવું જોઈએ. તેનાથી ઉશ્કેરાઈ જઈને કટ્ટરપંથી મુસ્લિમોએ ટોળાં એકઠાં કરી દીધાં હતાં અને યુવકની દુકાને જઈને તોડફોડ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ દુકાન આગને હવાલે કરી દેવામાં આવી. 

નવરાત્રિ હોઈ નજીકમાં ગરબા પણ ચાલી રહ્યા હતા, જેને પણ નિશાન બનાવવામાં આવ્યા. ગરબા કરનાર હિંદુઓ પર પથ્થર ફેંકવામાં આવ્યા, મહિલાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. સ્થિતિ જોતાં પોલીસની ટીમ પહોંચી તો પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ધમાલમાં બે પોલીસ વાહનોને નુકસાન પહોંચ્યાની જાણકારી છે. 

ઘટના બાદ જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડવા પડ્યા હોવાની પણ માહિતી છે. ત્યારબાદ વધારાનો પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો, જેથી વધુ અનિચ્છનીય બનાવો ન બને. હાલ ગામમાં એસઆરપીની બે કંપનીઓ અને 200થી વધુ પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. 

દહેગામ એએએસપી આયુષ જૈને જણાવ્યું હતું કે ચાર જેટલી દુકાનોમાં આગચંપી કરવામાં આવી હતી અને અમુક વાહનો સાથે પણ તોડફોડની ઘટના બની. પોલીસે રાત્રે જ કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને ચાર વાગ્યા સુધી કૉમ્બિંગ હાથ ધરીને 60 જેટલા શખ્સોને રાઉન્ડ અપ કરી લીધા હતા. હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 

ઘટનાને નજરે જોનારા હિંદુ સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગરબા ચાલી રહ્યા હતા ત્યારે અચાનક હુમલો કરવામાં આવ્યો અને હુમલો કરનાર ટોળાં ‘આઈ લવ મુહમ્મદ’ના નારા લગાવી રહ્યા હતા. તેમણે અનેક ગાડીઓના કાચ તોડી નાખ્યા હોવાનું અને મહિલાઓ પર પણ હુમલો કરીને પથ્થર મારવામાં આવ્યા હોવાનું પણ જણાવ્યું. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.