અમદાવાદના ચંડોળા તળાવની નજીક આવેલ દાણીલીમડાના શાહનગર બીબી તળાવને કેટલાક લોકોએ પચાવી પાડ્યું હોવાનો આરોપ લાગી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો ફરતો થયો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શાહઆલમ દરગાહની સામે આવેલા શાહનગર બીબી તળાવ પર ગેરકાયદે કબજો કરવામાં આવી રહ્યો છે. વિડીયોમાં ‘નવાબ બિલ્ડર’ અને કોંગ્રેસી કોર્પોરેટર તથા AMC નેતા પ્રતિપક્ષ શહેઝાદ ખાન પઠાણ પર આરોપ લગાવવામાં આવ્યા છે.
વાયરલ વિડીયો એક સ્થાનિક નાગરિક દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હોવાનું કહેવાય રહ્યું છે. વિડીયોમાં કહેવામાં આવી રહ્યું છે કે, શાહનગરના બીબી તળાવમાં ગેરકાયદે પુરાણ કરીને મકાનો ઊભા કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ શાહઆલમ દરગાહના બીજા છેડે ચંડોળા તળાવ આવેલું છે. તે તળાવને બાંગ્લાદેશી ઘૂસણખોરોએ પચાવી પાડ્યું હતું. તાજેતરમાં જ સરકારે બુલડોઝર કાર્યવાહી હાથ ધરીને તળાવને મુક્ત કર્યું છે.
દાણીલીમડાની શાહઆલમ દરગાહ સામેનું શાહનગર બીબી તળાવ 'નવાબ બિલ્ડરે' પચાવી પાડ્યું હોવાનો મુસ્લિમ શખ્સનો આરોપ, વિડીયોમાં લીધા મોટા મોટા નામ
— ઑપઇન્ડિયા (@OpIndia_G) September 9, 2025
ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં સ્થાનિક કોંગ્રેસી કોર્પોરેટર અને AMC નેતા વિપક્ષનું પણ આપ્યું નામ
Danilimda | Shahalam Bibi Talav | Encroachment pic.twitter.com/kdJbc5JCDc
હવે એ જ વિસ્તારના શાહનગર બીબી તળાવને પચાવી પાડવામાં આવી રહ્યું હોવાનો આરોપ લાગી રહ્યો છે. વાયરલ વિડીયોમાં સ્થાનિક નાગરિક દબાણના આરોપીઓના નામ લેતો પણ સંભળાય છે. વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોંગ્રેસ નેતા શહેઝાદ ખાન પઠાણ, બાબા ખાન, મહેબૂબ ખાન, શરીફ ખાન અને નાઝીર ખાન સાથે મળીને બીબી તળાવમાં પુરાણનું કામ કરાવી રહ્યા છે અને તેના કારણે સ્થાનિકોને તકલીફ પડી રહી છે.
વધુમાં સેટેલાઈટ ઇમેજની તપાસ કરતા જાણવા મળ્યું છે કે, શાહનગરના બીબી તળાવ વિસ્તારમાં પુરાણનું કામ કરવામાં આવી રહ્યું છે અને ત્યાં અનેક ગેરકાયદે મકાનો પણ ઊભા કરવામાં આવ્યા છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો દ્વારા કાર્યવાહીની માંગણી કરવામાં આવી રહી છે.


