હોમપેજરાજકારણબિહારના એક ગામમાં એક જ સરનામે 947 મતદારો નોંધાયેલા હોવાના રાહુલ ગાંધી...

બિહારના એક ગામમાં એક જ સરનામે 947 મતદારો નોંધાયેલા હોવાના રાહુલ ગાંધી અને કોંગ્રેસના દાવા પાછળ હકીકત શું છે?

રાહુલે આરોપ લગાવ્યો હતો કે 100થી વધુ ઘરો ધરાવતા આ ગામમાં સેંકડો મતદારોનું સરનામું એક જ ઘર નંબર 6 તરીકે નોંધાયેલું છે. પણ આમાં હકીકત જુદી છે, જે સ્વયં ગામવાસીઓએ પણ જણાવી છે.

- Advertisement -

બિહારમાં જેમ વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ટીમ કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો ઉચાટ વધતો જાય છે. તેઓ જાણી ગયા છે કે આ વખતે પણ મતદારો તેમની તરફ જુએ તેની શક્યતાઓ ઓછી છે અને ફરી એક વખત મીંડું જ મળવાની શક્યતા છે, એટલે ચૂંટણી પ્રક્રિયા પર, ચૂંટણી પહેલાં હાથ ધરવામાં આવેલી પારદર્શી અને તટસ્થ SIR પ્રક્રિયા પર સવાલો ઉઠાવવાના ચાલુ કર્યા છે, મતદારોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.

ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા પર આક્ષેપો કરવા એ રાહુલ ગાંધીની જૂની અને જાણીતી આદત છે. જ્યાં-જ્યાં, જે-જે ચૂંટણીમાં પાર્ટી કંઈ ઉકાળી શકે તેમ નથી તેવું જાણે એટલે તેઓ આ ‘રણનીતિ’નો અમલ શરૂ કરી દે છે. આ વખતે બિહારમાં પાર્ટીની હાર રાહુલ ભાળી ગયા છે, એટલે અત્યારથી હોહા કરવા માંડી છે. તેમની પાછળ-પાછળ ફર્યા કરનારાઓ આમાં સૂર પુરાવતા રહે છે અને ઇકોસિસ્ટમ સુવ્યવસ્થિત નરેટિવ સ્થાપિત કરવા માટે મંડી પડી છે.

બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન– SIR પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં પહોંચી છે ત્યારે રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર મતદાર યાદીમાં ગોટાળો કરવાનો આરોપ લગાવ્યો. ગુરુવારે (28 ઑગસ્ટ) રાહુલે તેમની પાર્ટીના X એકાઉન્ટ પરથી શેર કરેલી પોસ્ટમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગયા જિલ્લાના નિદાની ગામમાં, બરાચટ્ટી વિધાનસભા મતવિસ્તારના બૂથ નંબર 161 હેઠળ આવતા લગભગ 947 મતદારો એક જ ઘરના સરનામે, એટલે કે ઘર નંબર 6 પર નોંધાયેલા હતા.

- Advertisement -

રાહુલે આરોપ લગાવ્યો હતો કે 100થી વધુ ઘરો ધરાવતા આ ગામમાં સેંકડો મતદારોનું સરનામું એક જ ઘર નંબર 6 તરીકે નોંધાયેલું છે.

રાહુલ ગાંધીના આ આરોપોનું બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) દ્વારા ખંડન કરવામાં આવ્યું છે, જેમણે ગયાના જિલ્લા ચૂંટણી અધિકારી-કમ-જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પોસ્ટ કરાયેલા વિડીયો પુરાવા તરફ ધ્યાન દોર્યું હતું, જેમાં નિદાની ગામના મતદારોનાં નિવેદનો પણ સામેલ હતાં.

ગાંધીના જૂઠાણાંનો પર્દાફાશ કરતાં ગયાના DEOએ સ્પષ્ટ કર્યું હતું કે ઘણાં ગામોમાં ઘરોના નંબરો આપવામાં આવતા નથી. તેથી મતદાર યાદીમાં મતદારોને પ્રતીકાત્મક અથવા નામાંકિત ઘર નંબરો આપવામાં આવે છે. તેમણે નિદાની ગામના બૂથ નંબર 161ના મતદારોના વિડીયો પોસ્ટ કર્યા હતા, જેમણે જણાવ્યું હતું કે તેમનાં નામ મતદાર યાદીમાં છે અને તેઓ નિયમિતપણે ચૂંટણીમાં મતદાન કરે છે.

DEOએ નિદાની ગામના ચાર મતદારોના વિડીયો નિવેદનો શેર કર્યાં હતાં, જેમણે પુષ્ટિ કરી હતી કે ગામમાં ઘણાં ઘરોને ઘર નંબરો નથી, તેથી મતદાર યાદીમાં પ્રતીકાત્મક અથવા નામાંકિત ઘર નંબરોનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તમામ લાયક મતદારોનો યાદીમાં સમાવેશ થાય. આનો અર્થ એ નથી કે મતદારો નકલી છે કે મતદાર યાદીમાં છેડછાડ કરવામાં આવી છે.

મતદારોએ બિહારમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી SIR પ્રક્રિયા પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગામના ઘણા લોકો 1987થી મતદાર યાદીમાં સામેલ છે અને મતદાન કરે છે અને કોઈ પણ માન્ય મતદારને મતદાર યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા નથી. તેમણે મતદાર યાદીમાં ગોટાળો થયો હોવાના ખોટા દાવાઓને ફગાવી દીધા હતા.

રાહુલ ગાંધી અને તેમના જૂના જૂઠાણાં

આ પહેલી વાર નથી કે રાહુલ ગાંધીના ખોટા દાવાઓનો ચૂંટણી પંચ દ્વારા પર્દાફાશ થયો હોય. આ મહિનાની શરૂઆતમાં ગાંધીએ ચૂંટણી પંચ પર ચૂંટણીમાં ગેરરીતિઓના ગંભીર આરોપો લગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે ચૂંટણી પંચ ભાજપ સાથે મળીને ચૂંટણીઓમાં ગોટાળો કરી રહ્યું છે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં લાખો મતોની ‘વોટ ચોરી’ થઈ છે, જ્યાં મતદાર યાદીઓમાં છેડછાડ કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો કે આ રાજ્યોના વિધાનસભા મતવિસ્તારોમાં ઘણા મતદારો ‘ઘર નંબર 0’ અથવા એક જ ઘર નંબર પર નોંધાયેલા છે, જે તેમના મતે એ દર્શાવે છે કે આ મતદારો નકલી છે.

ચૂંટણી પંચ દ્વારા ફેક્ટ-ચેક દ્વારા આ આરોપોનો પર્દાફાશ થયા બાદ તેમને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી પંચે સમજાવ્યું હતું કે જે લોકો પાસે ચોક્કસ ઘર નંબર નથી અને જેઓ બેઘર છે, તેમને ચૂંટણી પંચ દ્વારા ‘ઘર નંબર 0’ આપવામાં આવે છે જેથી તેઓ મતદાર યાદીમાંથી બાકાત ન રહે. આવી જ રીતે ભાડાંનાં મકાનો અથવા સંયુક્ત પરિવારો એક જ ઘરમાં રહેતા હોય તેવા કિસ્સામાં ઘણા મતદારો એક જ સરનામે નોંધાયેલા હોય છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં