અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ 

દેશના અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટાનું (Ratan Tata) 86 વર્ષની વયે અવસાન થયું છે. તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. 

ટાટા જૂથ દ્વારા રતન ટાટાના નિધનના સમાચાર આપીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી.

મીડિયા અહેવાલો અનુસાર, તેઓ છેલ્લા ઘણા દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા અને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખવામાં આવ્યા હતા. તાજેતરમાં તેમનું સ્વાસ્થ્ય વધુ કથળ્યું હતું. બુધવારે (9 ઑક્ટોબર) રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા. 

રતન ટાટા વર્ષ 1991થી 2012 સુધી ટાટા ગ્રુપના ચેરમેન રહ્યા. દરમ્યાન, ઉદ્યોગસમૂહે અનેક નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી. તેમના કાર્યકાળમાં જ ટાટા ગ્રુપ દરેક સેક્ટરમાં આગળ વધ્યું અને અનેક નવા કીર્તિમાન સ્થાપિત કર્યા. ચેરમેન પદ છોડ્યા બાદ તેમને ટાટા સન્સના માનદ ચેરમેનની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

તેમને દેશનાં બે નાગરિક સન્માન પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.