Saturday, September 28, 2024
More
    હોમપેજરાજકારણયુએન જઈને કાશ્મીર, આર્ટિકલ 370 અને ‘ભારતમાં ઇસ્લામોફોબિયા’નાં રોદણાં રડી આવ્યા પાકિસ્તાન...

    યુએન જઈને કાશ્મીર, આર્ટિકલ 370 અને ‘ભારતમાં ઇસ્લામોફોબિયા’નાં રોદણાં રડી આવ્યા પાકિસ્તાન PM, ભારતનો પણ જડબાતોડ જવાબ

    પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે UNGAમાં પોતાના ભાષણ દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કલમ 370 હટાવવાને લઈને પણ આપત્તિ જતાવી હતી અને કહ્યું હતું કે ભારત સરકારે તે નિર્ણય પલટાવીને 370 ફરી લાગુ કરી દેવી જોઈએ.

    - Advertisement -

    પાકિસ્તાનની (Pakistan) માનસિકતાથી આમ તો કોઈ અજાણ નથી. આતંકવાદને લઈને તેનું કુણું વલણ જગજાહેર છે. ત્યારે હવે ફરી એકવાર UNGAમાં (સંયુક્ત રાષ્ટ્ર મહાસભા) ભારતે આતંકવાદ મામલે પાકિસ્તાનનો ઉધડો લીધો. ખાસ તો શાહબાઝ શરીફના ભાષણ બાદ ભારતનાં એક મહિલા અધિકારીએ દેશનો પક્ષ રાખતાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી હાટ. આ બધું થવા પાછળનું કારણ, પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયને પરત લેવાનું કહેવામાં આવ્યું તે છે. પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે આ રાગ આલાપ્યા બાદ ભારતે પ્રતિક્રિયા આપીને વૈશ્વિક મંચ પર પાકિસ્તાનના ધજાગરા ઉડાવ્યા હતા.

    પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તાજેતરમાં UNGAમાં પોતાના ભાષણ દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કલમ 370 હટાવવાને લઈને પણ આપત્તિ વ્યક્ત કરી અને કહ્યું હતું કે ભારત સરકારે તે નિર્ણય પલટાવીને 370 ફરી લાગુ કરી દેવી જોઈએ. સાથે એમ પણ કહ્યું કે, ભારતે કાશ્મીરના મુદ્દાના ‘શાંતિપૂર્ણ ઉકેલ’ માટે વાટાઘાટો માટે આગળ આવવું જોઈએ.

    શરીફે જમ્મુ-કાશ્મીરના લોકોની સરખામણી પેલેસ્ટેનિયનો સાથે કરી હતી અને કહ્યું કે, પેલેસ્ટાઇનના લોકોની જેમ જ જમ્મુ-કાશ્મીરના લોકો પણ સદીઓથી સ્વતંત્રતા માટે સંઘર્ષ કરી રહ્યા છે. શરીફ આગળ ભારત પર આરોપ લગાવતાં કહે છે કે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સમક્ષ જે વાતો કહી હતી તેનો અમલ કાશ્મીરમાં થઈ રહ્યો નથી. 

    - Advertisement -

    શહબાઝ શરીફે પોતાના સંબોધનમાં ભારતમાં મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાનો પણ રાગ આલાપ્યો હતો, જ્યારે પાકિસ્તાનમાં હિંદુઓ સહિતના લઘુમતીઓની હાલત શું છે તે જગજાહેર છે. શરીફે કહ્યું કે, “ભારતમાં હિંદુ સુપ્રીમિસ્ટ એજન્ડા ચલાવવામાં આવે છે અને ઇસ્લામોફોબિયા (ઇસ્લામવિરોધી બાબતો)ને પ્રોત્સાહન આપવામાં આવે છે. 

    ભારત પક્ષે હાજર અધિકારીએ તેમની આ ટિપ્પણીઓ પર જડબાતોડ જવાબ આપ્યો છે.

    પાકિસ્તાન શું છે તે દુનિયા જાણે જ છે

    સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં પ્રથમ સચિવ ભાવિકા મંગલનંદને પાકિસ્તાનનો વૈશ્વિક મંચ પર જ ઉધડો લઇ લીધો. તેમણે વૈશ્વિક આતંકવાદમાં પાકિસ્તાનની મિલીભગત હોવાનો આરોપ લગાવીને કહ્યું કે, પાકિસ્તાન ઘણા લાંબા સમયથી સીમા પર આતંકવાદનું સમર્થન કરતું આવ્યું છે. તેમણે કહ્યું કે, “આજે સવારની જ ઘટના જુઓ, આતંકવાદ, નશાના પદાર્થોનો વેપાર અને ઇન્ટરનેશનલ ક્રાઈમ માટે વૈશ્વિક પંકાયેલા અને સેના સંચાલિત એક દેશે (પાકિસ્તાને) વિશ્વના સહુથી મોટા લોકતંત્ર પર હુમલો કરવાનું દુસ્સાહસ કર્યું છે. વિશ્વ પોતે જ જોઈ શકે છે કે પાકિસ્તાન વાસ્તવમાં છે શું.” આ દરમિયાન ભારતે 2001માં ભારતીય સંસદ પર અને 2008માં થયેલા મુંબઈ હુમલાને પણ યાદ કરીને પાકિસ્તાનને ઘેર્યું હતું.

    વૈશ્વિક મંચ પર ઉધડો, ઓસામા બિન લાદેનનો ઉલ્લેખ

    ભારત તરફે હાજર મહિલા અધિકારી કહ્યું કે, “જે દેશ પાડોશી દેશની સીમા પર આતંકવાદને હથિયારની જેમ વાપરતો હોય તેના મોઢે અન્ય દેશ પર હિંસાની વાત કરવી પાખંડ છે. વાસ્તવિકતા તે છે કે પાકિસ્તાન અમારા ક્ષેત્રોને જોઈને લલચાય છે અને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીઓમાં ખલેલ પહોંચાડવા માટે વ્યાપક પ્રમાણે આતંકવાદનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ” કાશ્મીર પર રોદણાં રડતા પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપતાં ભારતે કહ્યું કે, દુનિયાભરમાં આતંકવાદની ઘટનાઓ પર પાકિસ્તાનની આંગળીઓનાં નિશાન છે. પાકિસ્તાને તે સમજી લેવું જોઈએ કે સીમા પર ભારત વિરુદ્ધ આતંકવાદને સમર્થન આપવા બદલ તેને પરિણામ ભોગવવું જ પડશે.”

    UNGAમાં ભારતે પાકિસ્તાનનો ઉધડો લેતાં ઓસામા બિન લાદેન વિશે પણ વાત કરી. ભારતે કહ્યું કે, પાકિસ્તાન એક એવો દેશ છે, કે જેણે લાંબા સમય સુધી અલ-કાયદાના મુખિયા અને ખૂંખાર આતંકવાદી ઓસામા બિન લાદેનને શરણ આપ્યું હતું. વિશ્વની અનેક આતંકવાદી ઘટનાઓમાં પાકિસ્તાનની છાપ છે. તેમાં કોઈ જ આશ્ચર્યની વાત ન હોવી જોઈએ કે તે દેશના વડાપ્રધાન આ પવિત્ર હૉલમાં આવું કશું કહેશે. અમે જાણીએ છીએ કે પાકિસ્તાન વાસ્તવિકતાનો મુકાબલો જુઠ્ઠાણાંનથી કરવાનો પ્રયત્ન કરશે. વારંવાર આ બધું કરવાથી કશું જ નથી મળવાનું, અમારો મિજાજ સ્પષ્ટ છે અને તેને દોહરાવવાની કોઈ જ જરૂર નથી.”

    અહીં ઉલ્લેખનીય છે કે શનિવારે (28 સપ્ટેમ્બર) ભારત તરફથી વિદેશ મંત્રી એસ જયશંકર સંયુક્ત રાષ્ટ્રમહાસભાને સંબોધિત કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં