Friday, September 20, 2024
More
    હોમપેજગુજરાતગણેશ મંડપ પર કટ્ટરપંથીઓના પથ્થરમારાથી લઈને આરોપીની મિલકત પર બુલડોઝર સુધી: જાણો...

    ગણેશ મંડપ પર કટ્ટરપંથીઓના પથ્થરમારાથી લઈને આરોપીની મિલકત પર બુલડોઝર સુધી: જાણો સુરતના સૈયદપુરામાં વકરેલા વિવાદનો આખો ઘટનાક્રમ, જેમાં હજારો હિંદુઓ ઉતરી આવ્યા હતા તાંડવ પર

    ઘટનાને લઈને 50થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ પણ આ મામલે કાર્યવાહી શરૂ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ સુરત મહાનગરપાલિકા પણ ઘટનાને લઈને સખત કાર્યવાહી હાથ ધરી છે. સોમવારે (9 સપ્ટેમ્બર) બપોરે સુરતના સૈયદપુરામાંદાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું.

    - Advertisement -

    સુરતના સૈયદપુરામાં ભગવાન ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો થયા બાદ ભયાનક સ્થિતિ ઊભી થવા પામી હતી. રવિવારની રાત્રે અજાણ્યા મુસ્લિમ કિશોરોએ રિક્ષામાં આવીને ગણેશજીની પ્રતિમા પર પથ્થરો ફેંક્યા હતા. જેના કારણે હજારોની સંખ્યામાં હિંદુઓએ સૈયદપુરા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી. ઘટના વધુ વકરતા આખા સુરત શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સુરક્ષાદળોના કાફલા ખડકી દેવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા એટલી હતી કે, રાજ્ય સરકારે સ્વતઃ સંજ્ઞાન લઈને કાર્યવાહી સખત કરવાના આદેશો આપી દીધા હતા.

    સોમવારે સવાર સુધી સુરતના સૈયદપુરામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો થયા બાદ હિંદુઓની સહનશક્તિ સમાપ્ત થઈ ગઈ હતી. સોમવારે વહેલી સવારે પણ મોટી સંખ્યામાં હિંદુઓ ગણેશ પંડાલ પર એકઠા થયા હતા અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે ભગવાન શ્રીગણેશની આરતી કરી હતી. આટલી ભયંકર ઘટનાને માત્ર અમુક કલાકોમાં જ શાંત પાડી દેવી પોલીસ અને રાજ્ય સરકાર માટે એક સફળતા ગણી શકાય છે. પરંતુ ઘટનાની વિગતે માહિતી હજુ સુધી માત્ર અમુક લોકો સુધી જ સીમિત છે. રાત્રે અંદાજિત 9 વાગ્યે શરૂ થયેલા આ વિવાદ બાદ હમણાં સુધીમાં શું-શું ઘટનાઓ બની અને કેવા પગલાં લેવાયા તેને લઈને ચર્ચા કરીશું.

    9:30 કલાકે રિક્ષામાં આવેલા 6 સગીર મુસ્લિમોએ ગણેશજી પર ફેંક્યા પથ્થરો

    રવિવારની રાત્રે 9 કલાકે સુરતના સૈયદપુરામાં ‘વરિયાવી ચા રાજા’ ગણપતિ મંડપમાં સ્થાનિક હિંદુઓ આરતી-પૂજા અને કીર્તન કરી રહ્યા હતા. ઉત્સાહ અને ભક્તિભાવ પૂર્વક શાંતિમય રીતે હિંદુઓ પોતાના આરાધ્યની આરાધના કરી રહ્યા હતા. તેવામાં લગભગ 9:30 કલાકે રિક્ષામાં આવેલા 6 મુસ્લિમ સગીરોએ ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો કરી દીધો હતો. જેના કારણે હિંદુઓ દઘાઈ ગયા હતા અને વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવાય છે કે, સ્થાનિક હિંદુઓએ કેટલાક મુસ્લિમ આરોપીઓને પકડી પાડ્યા હતા અને જાહેરમાં જ તેની સરભરા કરી હતી. જ્યારે બાકીના આરોપીઓ નાસી ગયા હોવાનું પણ સામે આવ્યું હતું. પરતું ઘટનાના પડઘા આખા રાજ્યમાં પડી ગયા હતા.

    - Advertisement -

    ઘટના બાદ હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટના વધુ વણસે નહીં તે માટે હિંદુ પક્ષ તરફથી શાંતિ પણ જાળવી હતી. મોટી સંખ્યામાં હિંદુઓ એકઠા થઈ ગયા બાદ આરોપીઓને લઈને પોલીસ સ્ટેશન જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઘટનાને પગલે હિંદુઓએ પોતે જ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

    10:30 કલાકે ફરી થયો પથ્થરમારો અને હિંદુઓની સહશક્તિએ પણ ગુમાવ્યો પારો

    મુસ્લિમ સગીરોએ કરેલા પથ્થરમારા મામલે હિંદુઓ હજુ તો સૈયદપુરા પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા. સૈયદપુરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને હિંદુઓએ શાંતિમય રીતે સૂત્રોચ્ચાર કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગણી કરી હતી. દરમિયાન ભાજપના સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હિંદુઓ સાથે વાતચીત કરી હતી. પોલીસ સ્ટેશન બહાર જ ધારાસભ્ય અને હિંદુ સમાજના લોકો એકઠા થયા હતા. સ્થળ પર પહોંચેલા ધારાસભ્ય કાંતિ બલરે હિંદુ યુવકોને સંબોધતાં કહ્યું હતું કે, “હું તમારી સાથે છું. ભારતીય જનતા પાર્ટી તમારી સાથે છે. આ રીતે અવારનવાર પથ્થરો ફેંકવામાં આવે છે તે આપણે ચલાવી લઈશું નહીં. જેમને પકડવામાં આવ્યા છે તેમને છોડવામાં નહીં આવે.”

    ત્યારબાદ હિંદુઓની ફરિયાદ મામલે પોલીસ કાર્યવાહી શરૂ કરવા માટે તૈયાર થઈ હતી. દરમિયાન 10:30 કલાકની આસપાસ નકીલ આવેલી બિલ્ડિંગો પરથી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. સુરત સ્થિત હિંદુ સંગઠનનાં સૂત્રોએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, પથ્થરો શનિવારે (7 ઓગસ્ટ) ગણેશ ચતુર્થીના દિવસે પણ ફેંકાયા હતા. ત્યારબાદ સતત બીજા દિવસે આવી ઘટના બની. જેથી હિંદુઓએ પોલીસને જાણ કરી હતી. સુરત બજરંગ દળ કાર્યકર્તા યજ્ઞેશ પટેલે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, પોલીસ કાર્યવાહી કરવા માટે ગઈ તો તેમની ઉપર પણ મુસ્લિમ વિસ્તારમાંથી પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. ભીડ એકઠી થઈ ગઈ હતી અને પથ્થરો ફેંકાયા હતા. આસપાસની મસ્જિદો પાસેથી પણ પથ્થરમારો થયો હોવાનો હિંદુ સંગઠનોએ આરોપ લગાવ્યા હતા. બીજી વાર થયેલા પથ્થરમારા બાદ હિંદુઓએ સહનશક્તિ ગુમાવી દીધી હતી અને હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.

    કતારગામ દરવાજા સુધી ફેલાયો હોબાળો

    સૈયદપુરામાં ફાટી નીકળેલો હોબાળો છેક કતારગામ દરવાજા સુધી પહોંચ્યો હતો. 11 વાગ્યાની આસપાસ કતારગામમાં પણ પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું હતું. આટલું જ નહીં, પરંતુ અનેક વાહનોના આગ ચાંપી દીધી હોવાનું પણ સામે આવ્યું હતું. આ દરમિયાન 1000થી વધુ પોલીસકર્મીઓ ખડકી દેવામાં આવ્યા હતા. ખુદ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી પણ હેલમેટ પહેરીને કાર્યવાહીમાં જોડાઈ ગયા હતા. પોલીસે પણ સખત કાર્યવાહી શરૂ કરી દીધી હતી. દરમિયાન પોલીસ પર પણ પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું હતું.

    જોકે, સ્થિતિ વણસે નહીં અને આખા શહેરમાં આગ ન ફેલાય તે માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. આ સાથે ટિયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. હિંદુ અને મુસ્લિમો સામસામે આવી ગયા હતા. પથ્થરમારામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિતના 10 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ગણતરીના કલાકમાં જ પોલીસે પથ્થરમારો કરનારા સગીરોને ઝડપી પાડ્યા હતા અને સૈયદપુરા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા.

    ભાજપ સાંસદ પહોંચતા લાગ્યા હતા ‘જય શ્રીરામ’ના નારા

    રાતના 12:15 કલાકે સાંસદ મુકેશ દલાલ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. દરમિયાન હિંદુ સમાજના યુવાનોએ ‘જય શ્રીરામ’નારા લગાવવાના શરૂ કરી દીધા હતા. મુકેશ દલાલે પણ હિંદુ સમાજના યુવાનો સાથે વાતચીત કરી હતી અને હાજર પોલીસ અધિકારીઓને કડક કાર્યવાહી કરવા માટેના નિર્દેશ આપ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, પથ્થરમારો કરનારા સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. ઘટનાને પગલે સાંસદે વધુ પોલીસ ફોર્સ તહેનાત કરવાના નિર્દેશો આપ્યા હતા. સુરત મેયર દક્ષેશ માવાણી પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપી મુસ્લિમોને પકડવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.

    12:40એ ફરીથી પોલીસ સ્ટેશન પાસે થયો પથ્થરમારો

    સાંસદ મુકેશ દલાલની હાજરીમાં જ પોલીસ અધિકારીઓએ હિંદુ સમાજના આગેવાનોને શાંત થવા માટેની અપીલ કરી હતી. દરમિયાન હિંદુઓએ ‘વી વોન્ટ યોગી’ અને ‘બુલડોઝર એક્શન’ જેવા નારા લગાવવાના શરૂ કરી દીધા હતા. દરમિયાન પોલીસે જણાવ્યું હતું કે, ગણેશજીની પ્રતિમા પર પથ્થરો ફેંકનારા આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, જો અન્ય કોઈ આરોપીઓ પણ આમાં હશે તો તેને પણ વહેલી તકે પકડી પાડવામાં આવશે. પોલીસે કડક કાર્યવાહીની ખાતરી આપીને હિંદુઓને ઘરે પરત ફરવા માટેની અપીલ કરી હતી. આ દરમિયાન જ 12:40 કલાકની આસપાસ સૈયદપુરા પોલીસ સ્ટેશનની બાજુમાંથી પસાર થતાં રસ્તા પરથી કટ્ટરપંથીઓ પથ્થરો ફેંકવા લાગ્યા હતા. જેથી પોલીસ દ્વારા તે લોકોને અંતિમ ચેતવણી આપવામાં આવી હતી અને નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું હતું.

    સંઘવીના નિર્દેશ બાદ પોલીસ એક્શનમાં, એક-એક ઘરના તાળાં તોડી આરોપીને વીણી લેવાયા

    પોલીસની અંતિમ ચેતવણી બાદ પણ કટ્ટરપંથી ટોળાંઓ પથ્થરો વરસાવતા રહ્યા હતા. જે દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સતત પોલીસ અધિકારીઓના સંપર્કમાં હતા. ગૃહમંત્રીના આદેશ બાદ રાત્રે 12:50 કલાકે અલગ-અલગ ટુકડીઓ બનાવીને પોલીસે કોમ્બિંગ શરૂ કરી દીધું હતું. પોલીસના ધાડેધાડાં સુરતમાં ઉતારી દેવામાં આવ્યા હતા. પોલીસના કાફલા જે બિલ્ડિંગ પરથી પથ્થરમારો થયો હતો ત્યાં પહોંચ્યા હતા અને એક-એક રૂમના તાળાં તોડીને આરોપીઓને વીણી-વીણીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. આ કોમ્બિંગ દરમિયાન પોલીસે 20 જેટલા કટ્ટરપંથીઓને દબોચી લીધા હતા.

    ડ્રોન-CCTVથી મોનીટરીંગ, 1:30 કલાકે આરોપી સગીરોને ક્રાઇમ બ્રાન્ચ ખસેડાયા હતા

    1 વાગ્યા આસપાસ પોલીસે હાઇટેક રીતે કામગીરી શરૂ કરી દીધી હતી. હવે કોઈપણ પથ્થરમારાની ઘટનાને ચલાવી શકાય તેમ નહોતી. પોલીસે CCTV અને ડ્રોન દ્વારા આખા વિસ્તાર પર નજર રાખવાની શરૂ કરી દીધી હતી. કોઈપણ અસામાજિક તત્વો બહાર નીકળે કે તેને ઝડપી પાડવામાં આવી રહ્યા હતા. પોલીસે ડ્રોન દ્વારા પરિસ્થતિ પર નજર રાખી હતી અને સતત કોમ્બિંગની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ઉપરાંત CCTV ફૂટેજ પણ રાતોરાત ચેક કરવામાં આવ્યા હતા. જે પણ આરોપીઓ પથ્થર પકડતા દેખાયા હતા તે તમામને રાતોરાત જ ઉઠાવી લેવામાં આવ્યા હતા.

    તે સિવાય 1:30 કલાક સુધીમાં ગણેશજી પર પથ્થરો ચલાવનારા કિશોરોને સૈયદપુરા પોલીસ સ્ટેશન પરથી ક્રાઇમ બ્રાન્ચ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અલગ-અલગ પોલીસ વાન અને બસમાં આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ સુધી લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સુધીમાં બહાર એકઠા રહેલા તમામ લોકોને પણ હટાવી દેવામાં આવ્યા હતા અને પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં પોલીસના ધાડા આખા સુરતમાં ફરી રહ્યા હતા.

    2 કલાકે હર્ષ સંઘવી ઘટનાસ્થળ પર, શ્રીજીની ઉતારી આરતી

    મધ્યરાત્રિના લગભગ 2 કલાકે મેયર દક્ષેશ માવાણી અને ધારાસભ્ય કાંતિ બલર ગણેશ પંડાલ પહોંચી ગયા હતા. ત્યારબાદ 2:07 કલાકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે પણ ગણેશ ભગવાનના સાનિધ્યમાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ 9 વાગ્યાની જે આરતી બાકી હતી તે હર્ષ સંઘવીએ પોતાના હાથે ઉતારી હતી. ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે આરતી શરૂ થઈ હતી. ત્યારબાદ હર્ષ સંઘવીએ આયોજકો સાથે પણ વાત કરી હતી અને આખા હિંદુ સમાજને કાર્યવાહીની બાહેંધરી પણ આપી હતી.

    ‘ગમે તેવા તાળાં મારશો, તોડીને કાઢીશું, સૂર્યના પ્રથમ કિરણ પહેલાં તમામને પકડીશું’- હર્ષ સંઘવીનો સંકલ્પ

    હર્ષ સંઘવીએ રાત્રે જ ગણેશજીના સાનિધ્યમાં સંકલ્પ લીધો હતો કે, આરોપીઓ ગમે તેટલા મોટા તાળાં મારે પણ તેને ઝડપી પાડવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, સૂર્યનું પહેલું કિરણ સુરત પર પડે તે પહેલાં તમામને પકડી પાડવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, “સૂર્યના પ્રથમ કિરણ પહેલાં તમામ આરોપીઓને પકડી પાડવામાં આવશે, આ હું અને સુરત પોલીસ ગણપતિ બાપ્પાની સાક્ષીમાં સંકલ્પ લઈએ છીએ. ગુજરાતની શાંતિ ડોળવા માટે જે લોકો કામ કરી રહ્યા છે, તે તમામને છોડવામાં નહીં આવે અને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. પથ્થરમારો કરનારા ભલે તે ગમે તે લોકો હોય પણ તેને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.”

    સંઘવીએ વચન પાળ્યું, સવાર થતાં 27ને દબોચ્યા અને કરી સરભરા

    જોકે, હર્ષ સંઘવીએ રાત્રે આપેલું વચન પણ તેમણે પાળ્યું હતું. તેમણે કહ્યા અનુસાર, સોમવારે સવારે સૂર્યોદય પહેલાં જ 27 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને પણ એ અંગેની જાણકારી આપતા કહ્યું હતું કે, 27ની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ ફરતો હતો, જેમાં તમામ આરોપીઓ પોલીસ વાહનમાંથી ઉતરતા જોઈ શકાય છે. તમામ લોકો લથડિયા ખાતા ચાલતા જોવા મળે છે.

    વાયરલ થઈ રહેલા વિડીયોમાં પોલીસ સ્ટેશન ખાતે પોલીસની ગાડીમાંથી એક પછી એક પથ્થરબાજો ઉતરતા જોવા મળી રહ્યા છે. જેઓ સીધી રીતે ચાલવામાં અસમર્થ દેખાઇ રહ્યા છે. જોકે, પોલીસની અને સરકારની આ ત્વરિત કાર્યવાહી બાદ હિંદુ સમાજમાં પણ આશાનું કિરણ જાગી ઉઠ્યું છે. હાલ સુરત શહેર પહેલાંની માફક ધમધવવા લાગ્યું છે, પરંતુ પોલીસ કાર્યવાહી હાથ પણ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.

    50થી વધુની ધરપડક અને સૈયદપુરામાં ફરી વળ્યું બુલડોઝર

    તાજા જાણકારી અનુસાર, આ ઘટનાને લઈને 50થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ પણ આ મામલે કાર્યવાહી શરૂ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ સુરત મહાનગરપાલિકા પણ ઘટનાને લઈને સખત કાર્યવાહી હાથ ધરી છે. સોમવારે (9 સપ્ટેમ્બર) બપોરે સુરતના સૈયદપુરામાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ જ વિસ્તારમાં ભગવાન ગણેશની પ્રતિમા પર પથ્થરમારો થયો હતો. સૈયદપુરા પોલીસ સ્ટેશનની આસપાસ દબાણ કરેલી મિલકતો પર પણ તાત્કાલિક અસરથી બુલડોઝર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વહીવટીતંત્રની સખત કાર્યવાહીને લઈને વિસ્તારમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં