Tuesday, May 20, 2025
More
    હોમપેજગુજરાત‘ચંડોળા વોટર બોડી, બાંધકામ ગેરકાયદેસર હોય તો કાર્યવાહી ન અટકાવી શકાય’: ડિમોલિશન...

    ‘ચંડોળા વોટર બોડી, બાંધકામ ગેરકાયદેસર હોય તો કાર્યવાહી ન અટકાવી શકાય’: ડિમોલિશન સામેની માંગ ફગાવતાં હાઇકોર્ટે શું કહ્યું હતું, સુનાવણી દરમિયાન શું ચર્ચાઓ થઈ– વાંચો

    કોર્ટે એ પણ નોંધ્યું કે આ અરજદારોનો કબજો જે-તે સ્થળ પર લાંબા સમયથી છે એ સાબિત કરવા કોઈ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી. આધાર કાર્ડ, વીજળી બિલ, બર્થ સર્ટિ કે BPL કાર્ડ જે રજૂ કરવામાં આવ્યા છે તેમાં સરનામું માત્ર ચંડોળા તળાવ, દાણીલીમડા, અમદાવાદ લખવામાં આવ્યું છે.

    - Advertisement -

    ગુજરાતભરમાં ગેરકાયદેસર ઘૂસણખોરો વિરુદ્ધ સરકારે ઉપાડેલા મહાભિયાનના ભાગરૂપે અમદાવાદના ચંડોળા તળાવ (Chandola Talav) વિસ્તારમાં પણ મંગળવારે (29 એપ્રિલ) વહેલી સવારથી શહેરના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન (Demolition) અભિયાન ઉપાડવામાં આવ્યું હતું. પણ આ અભિયાન શરૂ થયું કે તરત હાઇકોર્ટના (Gujarat High Court) દરવાજા ખખડાવવામાં આવ્યા અને ત્યારબાદ રજા હતી છતાં કોર્ટ ખુલી અને સુનાવણી થઈ. જોકે હાઇકોર્ટે અરજી નકારી દીધી હતી અને ડિમોલિશન માટે લીલી ઝંડી આપી હતી. 

    હવે કોર્ટનો 12 પાનાંનો લેખિત આદેશ સાર્વજનિક કરવામાં આવ્યો છે. તેમાં કોર્ટમાં આ બાબતે શું-શું દલીલો થઈ હતી તેની વિસ્તૃત વિગતો જોવા મળે છે. 

    કોર્ટમાં કુલ 18 સ્થાનિકોના નામે અરજી દાખલ કરીને ડિમોલિશનની આ કાર્યવાહી ‘નેચરલ જસ્ટિસ’ના સિદ્ધાંતની વિરુદ્ધ હોવાનું કહીને તેની ઉપર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. 

    - Advertisement -

    અરજદારો તરફથી દલીલો કરતાં એડવોકેટ આનંદ યાજ્ઞિકે કોર્ટને કહ્યું કે, ડિમોલિશનની કાર્યવાહી કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર શરૂ કરી દેવામાં આવી. તેમના અસીલો લગભગ 60 વર્ષથી ચંડોળા તળાવ વિસ્તારમાં રહે છે. 28 એપ્રિલે સાંજે માત્ર મૌખિક રીતે તેમને જાણ કરવામાં આવી હતી અને કોઈ પ્રકારની નોટિસ અગાઉથી આપવામાં ન આવી. માત્ર આ કારણોસર જ કાર્યવાહી પર રોક લગાવી દેવામાં આવવી જોઈએ. 

    અરજીમાં જરૂરી દસ્તાવેજો રજૂ ન કરવા પાછળ એવું કારણ આપવામાં આવ્યું કે તમામ અરજદારોનાં ઘરો ડિમોલિશનની કાર્યવાહીમાં અસ્તવ્યસ્ત થઈ ગયાં છે અને આ અરજી દાખલ કરવામાં પણ ઉતાવળ કરવાની જરૂર હતી. પરંતુ પેપરબુક રેકર્ડ પર લેવી જોઈએ, જેમાં ચંડોળા તળાવ વિસ્તારમાં આ લોકો રહેતા હોવાની વાતની સાબિતી આપતાં અમુક ડોક્યુમેન્ટ્સ સામેલ કરવામાં આવ્યાં છે. આ ડોક્યુમેન્ટ્સમાં વૉટર આઇડી, આધાર કાર્ડ, વીજળી બિલ, અમુકનાં બર્થ સર્ટિફિકેટ વગેરેનો સમાવેશ થાય છે. આ દલીલો કરીને વકીલે કહ્યું કે, અરજદારો 60 વર્ષથી રહેતા હોવાથી તેમને નોટિસ આપ્યા વગર આમ ઘરવિહોણા કરી દેવાય નહીં અને જેથી ડિમોલિશનની કાર્યવાહી અટકાવવી જોઈએ. 

    દલીલો એવી પણ રજૂ કરવામાં આવી કે ચંડોળા તળાવ એક વૉટર બોડી છે, પણ આજ સુધી આ વસાહતીઓ વૉટર બોડીમાં આવે છે કે નહીં તે બાબતની કોઈ માપણી કરવામાં આવી નથી અને વિસ્તારને વોટર બૉડી તરીકે ડિમાર્ક પણ કરવામાં આવ્યો નથી. તેથી દસ્તાવેજોને ધ્યાનમાં ન લઈએ તોપણ કાર્યવાહી પર રોક લગાવવી જોઈએ. 

    આ અરજદારોની નાગરિકતા મુદ્દે તેમના વકીલે કોર્ટમાં સ્વીકાર્યું હતું કે નાગરિકતા સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ ઉપલબ્ધ નથી, પરંતુ બંધારણના આર્ટિકલ 14 અને 21 આગળ ધરીને એવી દલીલો આપવામાં આવી કે તેમાં ‘એની પર્સન’ લખવામાં આવ્યું છે અને દરેક અરજદારો જે-તે સરનામાં પર જ રહે છે, જેથી તેમને પણ જીવનનો મૂળભૂત અધિકાર છે. જ્યાં સુધી દેશની કોઈ કોર્ટ તેમને ફોરેનર્સ એક્ટ હેઠળ ‘નોન સિટીઝન’ જાહેર ન કરે ત્યાં સુધી તેમને અધિકાર મળવાપાત્ર છે. 

    એવું પણ કહેવામાં આવ્યું કે, આ કેસમાં અરજદારો ઘણા સમયથી અહીં રહેતા હોવા છતાં તેમાંથી કોઈ પણને રિહેબિલિટેશન સ્કીમ હેઠળ રહેઠાણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી નથી, જેથી જ્યાં સુધી આ યોજના હેઠળ તેમને આવરી લેવામાં આવવા જોઈએ કે નહીં તે નક્કી ન થાય ત્યાં સુધી તેમનાં ઘરો તોડવાં ન જોઈએ. 

    સરકાર પક્ષથી શું કહેવામાં આવ્યું?

    બીજી તરફ, સરકાર પક્ષથી પણ જવાબો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું કે, અરજીમાં અરજદારોનાં સરનામાંની કોઈ વિગતો આપવામાં આવી નથી. ઉપરાંત એક પણ દસ્તાવેજ એ સાબિત કરી શકતો નથી કે તેઓ અહીં 60 વર્ષથી રહે છે. એટલે આ અરજીમાં મૂળ પ્રાથમિક દસ્તાવેજોનો જ અભાવ છે. બીજું તેમની નાગરિકતા પર પણ એક મોટો સંદેહ છે તેમ પણ સરકારે કોર્ટને જણાવ્યું હતું. 

    “આ બધી બાબતોને બાજુ પર મૂકી દઈએ તોપણ એ તથ્ય સંપૂર્ણ સાચું છે કે ચંડોળા તળાવ એક ઐતિહાસિક તળાવ છે અને વોટર બોડીમાં નોટિફાઇડ કરવામાં આવ્યું છે. તેના નિયાઓ અનુસાર કોઈ પણ સ્થાનિક બોડીએ આ તળાવની જમીન પર કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવાની પરવાનગી આપી નથી. એટલે અરજદારોની અરજી ધ્યાને લેવા યોગ્ય જ નથી, કારણ કે વોટર બોડી પર ક્યારેય બાંધકામની મંજૂરી જ અપાઈ નથી. અને એટલા માટે કોઈ નોટિસ આપવાની જરૂર જ નથી. આ કારણોસર કુદરતી ન્યાયના સિદ્ધાંતના અનુપાલન વગર જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હોવાની દલીલોનો છેદ અહીં જ ઉડી જાય છે.”

    સરકારે કોર્ટમાં પહલગામ આતંકવાદી હુમલા બાદ રાજ્યમાં અનેક ઠેકાણે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પણ જણાવ્યું અને કહ્યું કે રાજ્યના નાગરિકોની સુરક્ષા અને સલામતી જાળવી રાખવા માટે આ કાર્યવાહી આવશ્યક છે, તેના આવા ન્યાયના સિદ્ધાંત જેવા શબ્દો વાપરીને અટકાવી શકાય નહીં. કાર્યવાહી થઈ રહી છે એ કાયદાની હદમાં રહીને જ થઈ રહી છે અને તેમાં કોઈ હસ્તક્ષેપની જરૂર નથી. 

    કોર્ટે શું કહ્યું?

    કોર્ટે આ તમામ દલીલો સાંભળ્યા બાદ અવલોકન કરતાં કહ્યું કે, એ વાતમાં કોઈ તકરાર નથી કે ચંડોળા એ વોટર બોડી છે અને ત્યાં કોઈ બાંધકામની પરવાનગી આપી ન શકાય. આ તબક્કે સુપ્રીમ કોર્ટનો એ ચુકાદો ધ્યાનમાં લેવો જોઈએ, જેમાં જણાવવામાં આવ્યુછે કે જો ગેરકાયદેસર બાંધકામો રસ્તા, ફૂટપાથ, રેલવે લાઇન, રિવર બોડી કે વોટર બોડી પર હોય તો કોર્ટના આ આદેશ (બુલડોઝર એક્શન પર ગાઈડલાઈન) લાગુ પડશે નહીં. કોર્ટે નેચરલ જસ્ટિસના સિદ્ધાંતવાળી દલીલો પણ ફગાવી દીધી હતી અને કહ્યું કે હાલ તેને ધ્યાને લેવાનું કોઈ કારણ નથી. 

    કોર્ટે એ પણ નોંધ્યું કે આ અરજદારોનો કબજો જે-તે સ્થળ પર લાંબા સમયથી છે એ સાબિત કરવા કોઈ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી. આધાર કાર્ડ, વીજળી બિલ, બર્થ સર્ટિ કે BPL કાર્ડ જે રજૂ કરવામાં આવ્યા છે તેમાં સરનામું માત્ર ચંડોળા તળાવ, દાણીલીમડા, અમદાવાદ લખવામાં આવ્યું છે. કોઈ પરવાનગીથી બાંધકામ કરવામાં આવ્યાં હોય તેવું સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજો નથી. 

    કોર્ટે અગત્યની નોંધ કરતાં કહ્યું કે, ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ અનુસાર તળાવ એ સરકારી જમીન છે અને આવી જમીન પર કોઈ બાંધકામની પરવાનગી ન આપી શકાય. એટલે આ કોર્ટના મતાનુસાર બાંધકામ ગેરકાયદેસર છે અને ઘણા સમયથી અહીં છે. અરજીઓ પરથી પણ એ સાબિત થાય છે કે બાંધકામો એક વોટર બોડી પર જ કરવામાં આવ્યાં હતાં. જેથી યોગ્ય પ્રક્રિયાનું પાલન ન થયું હોવાની દલીલો સ્વીકાર્ય નથી અને સરકારને કાર્યવાહી કરતા રોકવાની માંગ પણ ફગાવવામાં આવે છે. 

    જ્યાં સુધી વાત પુનર્વસનની છે, કોર્ટે કહ્યું કે, તે માટે અરજદારો અલગથી અરજીઓ કરી શકે છે અને જો તેઓ પાત્ર હશે તો કાયદા અનુસાર સરકાર નિર્ણય કરશે. પરંતુ આ પ્રક્રિયા કરે ત્યાં સુધી ડિમોલિશન અટકાવી દેવામાં આવે તે માંગ સ્વીકારી શકાય તેમ નથી કારણ કે તેમ કરવામાં આવે તો ગેરકાયદેસર બાંધકામો લાંબા સમય સુધી અહીં રહેશે અને જે કાયદાના સિદ્ધાંતની વિરુદ્ધ કહેવાશે. 

    કોર્ટે ત્યારબાદ કોઈ પણ પ્રકારની નોટિસ પાઠવ્યા વગર મામલો 19 જૂન, 2025 સુધી ટાળી દીધો હતો. કોર્ટના આદેશ બાદ બુલડોઝર કાર્યવાહી ફરીથી શરૂ કરવામાં આવી, જે હજુ ચાલી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં