Friday, May 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા: મસ્જિદની છત પરથી પથ્થરમારો કરનાર નોમાન શેખ પકડાયો, ખુલ્લી તલવાર લઈને...

    વડોદરા: મસ્જિદની છત પરથી પથ્થરમારો કરનાર નોમાન શેખ પકડાયો, ખુલ્લી તલવાર લઈને ફરતા ઇસ્તિયાનની પણ ધરપકડ, અન્ય પાંચ આરોપીઓ પણ ઝડપાયા

    વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો થયા બાદ આ ઘટનાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. જેમાં એક વિડીયોમાં એક શખ્સ મસ્જિદ પર ચડીને પથ્થર ફેંકતો જોવા મળ્યો હતો.

    - Advertisement -

    વડોદરા (Vadodara) શહેરમાં રામનવમીના દિવસે ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારો (Stone Pelting) થયા બાદ આ કૃત્યને અંજામ આપનારા ઉપદ્રવીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરી રહી છે. અગાઉ 5 મહિલાઓ સહિત 23 આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ અન્ય કેટલાક આરોપીઓ પોલીસને હાથ લાગ્યા છે. જેમાં મસ્જિદ પર ચડીને પથ્થરમારો કરનાર ઈસમ પણ સામેલ છે. 

    વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો થયા બાદ આ ઘટનાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. જેમાં એક વિડીયોમાં એક શખ્સ મસ્જિદ પર ચડીને પથ્થર ફેંકતો જોવા મળ્યો હતો. વડોદરા પોલીસ બે દિવસની તેની શોધખોળ કરી રહી હતી. આખરે રવિવારે (2 એપ્રિલ, 2023) તેને પકડી પાડવામાં આવ્યો હતો. તેની ઓળખ નોમાન ઈલિયાસ શેખ તરીકે થઇ છે. 

    SITએ નોમાનના ભાઈ ઇસ્તિયાન શેખની પણ ધરપકડ કરી હતી. તોફાનો દરમિયાન તે હાથમાં ખુલ્લી તલવાર લઈને, ચહેરા પર બુકાની બાંધીને ફરતો જોવા મળ્યો હતો. પાંજરીગર મહોલ્લામાં શોભાયાત્રા પર હુમલો થયા બાદ ઇસ્તિયાન હાથમાં તલવાર લઈને ફરતો હોવાની તસ્વીરો વાયરલ થઇ હતી. જોકે, સંદેશના એક રિપોર્ટમાં તલવાર લઈને ફરતા આ આરોપીનું નામ ‘ફૈઝ શેખ’ હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઈ હતી. આ બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. 

    - Advertisement -

    અન્ય પાંચ આરોપીઓની પણ ધરપકડ 

    વડોદરામાં થયેલા પથ્થરમારા મામલે ક્રાઇમ બ્રાન્ચે રવિવારે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમની ઓળખ મોહિન ઝાકીર હુસૈન શેખ, સાહિલ અયુબ દૂધવાલા, ઝાહિદ મન્સુર મિયાં શેખ, મોહમ્મદ શેખ અને હરીશ સરાણિયા તરીકે થઇ છે. જેમાંથી હરીશના રિમાન્ડ મેળવીને બાકીના આરોપીઓને જેલભેગા કરવામાં આવ્યા હતા. 

    આ ઉપરાંત, અગાઉ પકડાયેલા 23 આરોપીઓમાંથી 5 આરોપીઓના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. જે રવિવારે બપોરે પૂર્ણ થતાં તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેમની ઓળખ મોઇનખાન પઠાણ, અલતમસ રાયાણી, સાહીલ ખાન બાબી, જાવેદ શેખ અને તૌસીફ શેખ તરીકે થઇ છે. ઉલ્લેખનીય છે કે બાકીના 18 આરોપીઓની જામીન અરજી કોર્ટ પહેલેથી જ ફગાવી ચૂકી છે. 

    ફેસબુક પર મોર્ફ કરેલો વિડીયો વાયરલ કરનાર ઈરફાન વ્હોરા પકડાયો 

    રામનવમીની શોભાયાત્રાઓ પર પથ્થરમારા બાદ ફેસબુક પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં રામનવમીની શોભાયાત્રાના એક હિંદુ કાર્યકરનાં નિવેદનને સાંકળીને સાથે આપત્તિજનક દ્રશ્યો જોડવામાં આવ્યાં હતાં. વડોદરા સાયબર ક્રાઇમે આ મામલે ગુનો દાખલ કરીને વિડીયો પોસ્ટ કરનાર ઈરફાન વ્હોરા નામના ઈસમની ધરપકડ કરી લીધી હતી. 

    (તાજા જાણકારી મળ્યા બાદ આ રિપોર્ટ અપડેટ કરવામાં આવ્યો છે.)

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં