તૂર્કી, (Turkey) એક એવો મધ્ય-પૂર્વીય દેશ જેની ઐતિહાસિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિ દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે છે. ભારતીયો પણ મોટી સંખ્યામાં અહીં પ્રવાસે જાય છે, પરંતુ 22 એપ્રિલના પહલગામના આતંકવાદી હુમલા અને ત્યારબાદ પાકિસ્તાનની અવળચંડાઈમાં તૂર્કીના સમર્થન બાદ સમીકરણો બદલાયાં અને હવે તાજેતરના અહેવાલ અનુસાર ભારતીયોના બહિષ્કારના કારણે તૂર્કીના પ્રવાસન અને અર્થવ્યવસ્થા પર સારી એવી અસર થઈ છે.
ન્યૂઝ18ના એક અહેવાલ મુજબ, જૂન 2025માં માત્ર 24,250 ભારતીય પ્રવાસીઓએ તૂર્કીની મુલાકાત લીધી, જે ગયા વર્ષે જૂનમાં ગયેલા 38,307 પ્રવાસીઓની સરખામણીમાં 37% ઓછા છે. મે 2025માં પણ 31,659 ભારતીય પ્રવાસીઓએ તૂર્કીની મુલાકાત લીધી હતી, જે મે 2024ના 41,554ની સરખામણીમાં ઘટાડો દર્શાવે છે.
ભારતીય પ્રવાસીઓની આ ઘટાડાની અસર તૂર્કીના પ્રવાસન ઉદ્યોગ પર પડી રહી છે. 2024માં તૂર્કીએ પ્રવાસન દ્વારા $61.1 અબજની આવક મેળવી હતી, જેમાં 3,30,000 ભારતીય પ્રવાસીઓનું નોંધપાત્ર યોગદાન હતું. જોકે, ભારતીય ટ્રાવેલ પોર્ટલ્સ જેમ કે MakeMyTrip, EaseMyTrip અને Cleartrip દ્વારા તૂર્કીના પ્રવાસ પેકેજોનું પ્રમોશન બંધ કરવામાં આવ્યું છે, જેનાથી આ ઘટાડો વધુ તીવ્ર બન્યો છે.
ભારતીય પ્રવાસીઓના બહિષ્કારની અસર માત્ર પ્રવાસન સુધી મર્યાદિત નથી. ભારતે તૂર્કીનાં અન્ય આર્થિક ક્ષેત્રો, જેમ કે વેપાર અને રોકાણ વગેરે પર પણ દબાણ વધાર્યું છે. ઉદાહરણ તરીકે, પુણેના વેપારીઓએ તૂર્કીના સફરજનનો બહિષ્કાર કર્યો છે. આ ઉપરાંત, ભારતીય લગ્નોના આયોજન માટે તૂર્કી એક લોકપ્રિય સ્થળ હતું, પરંતુ હવે ઘણા ભારતીય પરિવારોએ તૂર્કીમાં લગ્નનું આયોજન રદ કર્યું છે, જેનાથી મધ્ય-પૂર્વીય દેશને મે મહિનાના અંત સુધી જ લગભગ ₹770 કરોડનું નુકસાન થયું હતું હવે આ આંકડો ઘણો વધી ગયો હશે.
પાકિસ્તાનના સમર્થન બાદ તૂર્કી પ્રત્યેનું વલણ બદલાયું
ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલ, 2025ના રોજ પહલગામની બૈસરન ખીણમાં થયેલા ઘૃણાસ્પદ આતંકવાદી હુમલામાં પાકિસ્તાન પ્રેષિત ઇસ્લામી આતંકીઓએ નિર્દોષ હિંદુઓ સહિત પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યા હતા. આ ઘટનાના પડઘા દેશ અને દુનિયામાં પડ્યા. ત્યારબાદ ભારત સરકાર અને સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે 6-7 મેની રાત્રે ઑપરેશન સિંદૂર લૉન્ચ કર્યું અને ઘરમાં ઘૂસીને આતંકવાદી અડ્ડાઓનો નાશ કર્યો. ત્યારબાદ પણ પાકિસ્તાને પશ્ચિમી મોરચે અવળચંડાઈ કરવાના પ્રયાસ કર્યા તો ભારતે તેની એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી નાખી અને આખરે પાકિસ્તાને ઝૂકવું પડ્યું, યુદ્ધવિરામની ભીખ માંગવી પડી.
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન મોટાભાગના દેશોએ ભારતનો સાથ-સહકાર આપ્યો હતો અને પાકિસ્તાનથી અંતર બનાવ્યું હતું. પરંતુ તૂર્કી સહિતના એક-બે દેશો પાકિસ્તાન પડખે રહ્યા હતા. ત્યારથી ભારતમાં તૂર્કી વિરુદ્ધ જનભાવના જાગી અને તેનાં પરિણામો હવે જોવા પણ મળી રહ્યાં છે.
ઑપરેશન સિંદૂર દરમિયાન 9 મેના રોજ ભારતે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે પાકિસ્તાને ભારત સામે હુમલામાં તૂર્કી નિર્મિત SONGAR ASISGUARD ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આ ખુલાસાએ ભારતમાં તૂર્કી પ્રત્યે રોષની લાગણી ઉભી કરી.
વધુમાં, તૂર્કી, ચીન અને આઝરબૈજાને ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય દેશોમાંથી માત્ર આ ત્રણ દેશોએ પાકિસ્તાનનું સમર્થન કર્યું, જ્યારે બાકીના દેશોએ ભારતનું સમર્થન કર્યું. તૂર્કીના આ વલણે ભારતમાં બહિષ્કારની લહેર શરૂ કરી, જેની સીધી અસર તૂર્કીના પ્રવાસન ઉદ્યોગ પર પડી. એ પણ નોંધવું જોઈએ કે થોડા સમય પહેલાં જ્યારે તૂર્કીમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે ભારતે સૌથી પહેલાં મદદનો હાથ લંબાવ્યો હતો. પરંતુ જ્યારે ભારતની વાત આવી ત્યારે તૂર્કીએ પાકિસ્તાનતરફી વલણ અપનાવ્યું હતું.
માલદીવ પણ ભૂતકાળમાં જોઈ ચૂક્યું છે બહિષ્કારની અસર
ભારતીય પ્રવાસીઓના બહિષ્કારની અસરનું આ પહેલું ઉદાહરણ નથી. માલદીવમાં 2024ની શરૂઆતમાં ભારત વિરોધી નિવેદનો બાદ ભારતીય પ્રવાસીઓએ દેશનો બહિષ્કાર કર્યો હતો. માલદીવના અધિકારીઓ દ્વારા વડાપ્રધાન મોદી અને ભારત વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જેના પરિણામે ભારતીય પ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી. માલદીવની અર્થવ્યવસ્થા, જે મોટે ભાગે પ્રવાસન પર નિર્ભર છે, આ બહિષ્કારથી ધરમૂળથી હચમચી ગઈ. આ ઘટના બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ ભારત સાથે સંબંધો સુધારવાના પ્રયાસો કર્યા અને ભારતીય પ્રવાસીઓને પાછા આવકારવા અપીલ કરી.
તૂર્કીની આર્થિક સ્થિતિ અને ભવિષ્યતૂર્કીની અર્થવ્યવસ્થા પહેલેથી જ ઊંચા ફુગાવા, ચલણના અવમૂલ્યન અને દેવાના બોજ હેઠળ દબાયેલી છે. ભારતીય પ્રવાસીઓના બહિષ્કારથી આ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. તૂર્કીના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગનની પાકિસ્તાન તરફી નીતિને રાજદ્વારી નિષ્ફળતા તરીકે જોવામાં આવી રહી છે, જેના કારણે ન માત્ર આર્થિક નુકસાન થયું છે, પરંતુ ભારત સાથેના લાંબા ગાળાના સંબંધોને પણ નુકસાન થયું છે.
તૂર્કીનું પાકિસ્તાન તરફી વલણ અને ઑપરેશન સિંદૂર દરમિયાન ભારત વિરોધી નીતિએ દેશને આર્થિક અને રાજદ્વારી રીતે નુકસાન પહોંચાડ્યું છે. ભારતીય પ્રવાસીઓના 37% ઘટાડાએ તૂર્કીના પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો આપ્યો છે, જે દેશની અર્થવ્યવસ્થા માટે મહત્ત્વનો આધાર છે. માલદીવ અને શ્રીલંકાનાં ઉદાહરણો દર્શાવે છે કે ભારતીય બહિષ્કારની અસર દૂરગામી હોય શકે છે. આ ઘટના એક ચેતવણી છે કે રાજદ્વારી નિર્ણયોના આર્થિક પરિણામો હોય શકે છે અને તૂર્કી જેવા દેશો માટે ભારત જેવા શક્તિશાળી બજાર સાથે સંબંધો જાળવવા મહત્ત્વપૂર્ણ છે.


