Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચારે બાજુ ગંદકી, તૂટેલી ખુરશીઓ અને બંધ પડેલા ઉપકરણો: પહેલાથી બનેલા 'પ્રાથમિક...

    ચારે બાજુ ગંદકી, તૂટેલી ખુરશીઓ અને બંધ પડેલા ઉપકરણો: પહેલાથી બનેલા ‘પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો’ને પંજાબની આપ સરકારે બનાવી દીધા ‘આમ આદમી ક્લિનિક’

    શુક્રવારે ઉદ્ઘાટનના દિવસે જ્યારે સ્ટાફ ત્યાં પહોંચ્યો ત્યારે તેમને ગંદા શૌચાલય, બાંધકામ હેઠળના રૂમ, જર્જરિત ખુરશીઓ અને જૂના એક્સ-રે મશીનો જોવા મળ્યા હતા. અમુક દવાખાનામાં સ્ટાફ અને અન્ય લોકોને બેસવા માટે પણ જગ્યા નહોતી.

    - Advertisement -

    મુખ્યમંત્રી ભગવંત માને શુક્રવારે (27 જાન્યુઆરી) પંજાબમાં 400 નવા આમ આદમી ક્લિનિક્સ (AAC)નું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીએ તેને પંજાબમાં હેલ્થકેર ક્રાંતિની શરૂઆત ગણાવી હતી. ઉદ્ઘાટન સમારોહની દેખરેખ માટે સરકારી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ જ્યારે તેઓ શુક્રવારે આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા.

    પંજાબમાં ઘણા જૂના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC)ને નવા AACમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે. જનસત્તાના અહેવાલ અનુસાર શુક્રવારે ઉદ્ઘાટનના દિવસે જ્યારે સ્ટાફ ત્યાં પહોંચ્યો ત્યારે તેમને ગંદા શૌચાલય, બાંધકામ હેઠળના રૂમ, જર્જરિત ખુરશીઓ અને જૂના એક્સ-રે મશીનો જોવા મળ્યા હતા. અમુક દવાખાનામાં સ્ટાફ અને અન્ય લોકોને બેસવા માટે પણ જગ્યા નહોતી.

    ફરજ પરના કર્મચારીઓએ જણાવ્યું હતું કે ક્લિનિક્સ ઉતાવળમાં ખોલવામાં આવી હતી અને બાંધકામ પૂર્ણ કર્યા વિના બધું જ ઉતાવળમાં કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે જ્યાં PHCની જગ્યાએ આમ આદમી ક્લિનિક બનાવવામાં આવ્યું છે ત્યાંના પ્રવેશદ્વાર પર માત્ર મુખ્યમંત્રીના ફોટા સાથેનું બોર્ડ હતું.

    - Advertisement -

    આમ આદમી ક્લિનિક્સ પર શિક્ષકોની ડ્યુટી લગાવાઈ

    આમ આદમી ક્લિનિક્સ ખાતે સ્માર્ટ LED સ્ક્રીન, લેપટોપ અને કોમ્પ્યુટરની કામગીરીમાં આરોગ્ય વિભાગને ટેકનિકલ સહાય પૂરી પાડવા માટે જે શાળાઓના કોમ્પ્યુટર શિક્ષકોને ફરજ સોંપવામાં આવી હતી, તે જ્યારે ક્લિનિક પર પહોચ્યા ત્યારે ચોંકી ઉઠ્યા હતા. ત્યાં કોઈ કોમ્પ્યુટર, LED સ્ક્રીન કે કોઈ ઉપકરણ જ નહોતું જેને તેઓ ઓપરેટ કરી શકે. સ્ટાફને બેસવાની જગ્યા ન હતી. બાંધકામ હજી ચાલુ હતું અને ક્લિનિક ખોલવા માટે તૈયાર નહોતું.

    કપૂરથલાના એક ક્લિનિકમાં ફરજ પરના એક શિક્ષકે જણાવ્યું હતું કે, “એક જ બાબત સારી એ હતી કે પ્રવેશદ્વાર પર એક બોર્ડ હતું જે સરસ રીતે લગાવવામાં આવ્યું હતું અને તેના પર સીએમ ભગવંત માનના ફોટા સાથે આમ આદમી ક્લિનિક વંચાતું હતું.”

    ડોક્ટર માટે રૂમ નહિ અને દર્દીઓ માટે જગ્યા નહીં

    કપૂરથલાના મકસૂદપુર ગામમાં, જ્યાં જૂની PHCને AACમાં રૂપાંતરિત કરવામાં આવી હતી, ત્યાં ભોંયતળિયા પર નવી ટાઇલ્સ લગાવવાનું કરવાનું કામ હજુ પણ ચાલી રહ્યું હતું. જ્યારે કર્મચારીઓ પહોંચ્યા ત્યારે પ્રવેશદ્વાર પર ઇંટો અને સિમેન્ટ સહિતની બાંધકામ સામગ્રીનો ઢગલો કરવામાં આવ્યો હતો.

    શિક્ષણ વિભાગના એક કર્મચારી કે જેને આમ આદમી ક્લિનિક પર ફરજ સોંપવામાં આવી હતી તેમણે કહ્યું, “ત્યાં ગંદા અને દુર્ગંધવાળા શૌચાલય હતા અને એક જૂનું, તૂટેલું એક્સ-રે મશીન બીજા રૂમમાં નિષ્ક્રિય પડેલું હતું. ડૉક્ટર માટેનો ઓરડો અને દર્દીઓ માટે વેઇટિંગ એરિયા તૈયાર ન હોવાથી બહાર એક ટેન્ટ લગાવવામાં આવ્યો હતો જ્યાં દરેક વ્યક્તિ ઉદ્ઘાટનની ઔપચારિકતા પૂરી કરવા બેઠા હતા.”

    નોંધનીય છે કે આ પહેલા પણ પંજાબની આપ સરકારના આ આમ આદમી ક્લિનિક્સ વિવાદોમાં આવી ચુક્યા છે. પંજાબની AAP સરકારના એક મોટા કાર્યક્રમ, 400 આમ આદમી ક્લિનિક્સની શરૂઆતના માત્ર પાંચ દિવસ પહેલાં, આરોગ્ય સચિવ અજોય શર્માની બદલી કરવામાં આવી હતી કારણ કે તેમણે આમ આદમી ક્લિનિક્સની એડ પર 30 કરોડ રૂપિયા ખર્ચવા સામે વાંધો ઉઠાવ્યો હતો, જેના પર સરકારે અત્યાર સુધીમાં 10 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

    સૂત્રોએ જણાવ્યું હતું કે બે અલગ-અલગ બેઠકોમાં શર્માને આરોગ્ય બજેટમાંથી પબ્લિસિટી પર 30 કરોડ રૂપિયા ખર્ચવાની મંજૂરી આપવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે તેમણે રકમ મંજૂર કરવાનો ઇનકાર એમ જણાવીને કર્યો કે વિભાગે મોહલ્લા ક્લિનિક્સની સ્થાપના માટે પહેલેથી જ રૂ. 10 કરોડનો ખર્ચ કર્યો છે અને તે તમિલનાડુ જેવા રાજ્યોમાં યોજનાની પબ્લિસિટી માટે વધુ રૂ. 30 કરોડ ખર્ચવાને યોગ્ય ઠેરવી શકશે નહીં. આમ તેઓએ આમ આદમી ક્લિનિક્સની એડ પાછળ વધુ ખર્ચ અયોગ્ય ગણાવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં