દિલ્હીનાં (Delhi) હિંદુવિરોધી રમખાણોના (Anti-Hindu riots) માસ્ટરમાઇન્ડ તાહિર હુસૈનને (Tahir Hussain) ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે કસ્ટડી પેરોલ (Custody parole) મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, દિલ્હીની કડકડ્ડૂમા કોર્ટે બુધવારે (15 જાન્યુઆરી) તાહિર હુસૈનને પેરોલ આપી છે. નોંધવા જેવું છે કે, ઔવેસીની પાર્ટી AIMIMએ આરોપીને મુસ્તફાબાદથી ઉમેદવાર બનાવ્યો છે. જેમાં નામાંકન દાખલ કરવા માટે તેને કોર્ટે રાહત આપી છે.
Large conspiracy of Delhi riots | Delhi's Karkardooma Court on Wednesday granted custody parole to Tahir Hussain for January 16 to file a nomination for Delhi assembly election.
— ANI (@ANI) January 15, 2025
The court has also directed to take Tahir Husain for nomination on January 17 if in case it is not…
કોર્ટે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે, તાહિર હુસૈનને 16 જાન્યુઆરીના રોજ ચૂંટણી ફોર્મ ભરવા માટે લઈ જવામાં આવે અને જો જરૂર જણાય તો 17 જાન્યુઆરીના રોજ પણ તેને લઈ જઈ શકાશે. આ ઉપરાંત હિંદુવિરોધી રમખાણો દરમિયાન થયેલી IB ઓફિસર અંકિત શર્માની હત્યા મામલે પણ આરોપી તાહિર હુસૈનને મંગળવારે (14) કસ્ટડી પેરોલ આપી દેવામાં આવી હતી.
કસ્ટડી પેરોલ અમુક ખાસ સંજોગોમાં આપવામાં આવે છે. જામીન લાંબા સમયગાળા માટે કે અમુક સંજોગોમાં અનિશ્ચિત સમય માટે હોય છે, જ્યારે પેરોલ અમુક દિવસો કે કલાકો માટે હોય છે. ખાસ કરીને કસ્ટડી પેરોલમાં કેદીન પોલીસ જ જેલમાંથી જે-તે સ્થળે લઈ જાય છે અને ત્યારબાદ પરત જેલ લઈ આવે છે. દરમ્યાન તે બીજી કોઈ પ્રવૃત્તિ કરી શકતો નથી.
દિલ્હી હાઇકોર્ટે પણ આપી હતી પેરોલ
દિલ્હી હાઇકોર્ટે મંગળવારે (14 જાન્યુઆરી) આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર અને હાલમાં AIMIMના ઉમેદવાર તાહિર હુસૈનને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. તેણે અંકિત શર્મા હત્યાકાંડ મામલે ચૂંટણી સંબંધિત ઔપચારિકતાઓ પૂરી કરવા માટે વચગાળાના જામીન માંગ્યા હતા. કોર્ટે તેના પર લાગેલા આરોપોની ગંભીરતાને ધ્યાને રાખીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે, હાઇકોર્ટે તેને આગામી વિધાનસભામાં નામાંકન દાખલ કરવા અને પ્રચારમાં ભાગ લેવા માટે કસ્ટડી પેરોલ આપી હતી.
પેરોલની સાથે તાહિર હુસૈને અનેક શરતોનું પાલન પણ કરવું પડશે. હાઇકોર્ટે કહ્યું છે કે, આરોપી મોબાઈલ, લેન્ડલાઇન અથવા તો ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે નહીં. તે નામાંકન પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ સિવાય અન્ય કોઈપણની સાથે વાત કરી શકશે નહીં. આ ઉપરાંત તે મીડિયાને સંબોધિત પણ કરી શકશે નહીં.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, નામાંકન દરમિયાન તેના પરિવારના સભ્યો હાજર રહી શકે છે, પરંતુ તેમને ફોટા પાડવા અને સોશિયલ મીડિયા પર તે સંબંધિત માહિતી પોસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે કે, તે તાહિર હુસૈનના નામાંકન માટે જરૂરી વ્યવસ્થા કરે અને તે બાબતે મદદ પણ પૂરી પાડે.
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે, “સરકાર સંબંધિત અધિકારીઓ સાથે સમન્વય કરી શકે છે. જેથી તે સુનિશ્ચિત થઈ શકે કે, તમામ પ્રક્રિયા સમયસર પૂર્ણ થઈ જાય અને અરજદારના નામાંકનના અધિકાર પર તેની કોઈપણ પ્રકારની અસર પણ ન પડે.”
દિલ્હીના હિંદુવિરોધી રમખાણોનો છે માસ્ટરમાઈન્ડ
નોંધવા જેવું છે કે, 2020માં થયેલા દિલ્હીના હિંદુવિરોધી રમખાણોમાં સૌથી મોટું નામ પૂર્વ AAP કોર્પોરેટર તાહિર હુસૈનનું છે. તેણે પોતે એક નિવેદનમાં કબૂલ્યું હતું કે, રમખાણો માટે તેણે પોતાનું ઘર જ લૉન્ચપેડ તરીકે પસંદ કર્યું હતું. કારણ કે, તેનું ઘર ખૂબ ઊંચું હતું અને નિર્માણાધીન હતું, જેથી કરીને ત્યાં ઈંટ અને પથ્થરોને સરળતાથી રાખી શકાય તેમ હતા અને કોઈ વ્યક્તિને શંકા પણ જઈ શકે તેમ નહોતી. આ સાથે તેણે એ પણ કબૂલ્યું હતું કે, તેણે અને તેના સાથીઓએ પહેલાંથી જ ઈંટ-પથ્થરો અને દારૂગોળા એકઠા કરવાના શરૂ કરી દીધા હતા, જેથી CAAનું સમર્થન કરનારાઓને સીધા ટાર્ગેટ કરી શકાય.
દિલ્હીના આ રમખાણોમાં જ IB ઓફિસર અંકિત શર્માની પણ હત્યા કરી નાખવામાં આવી હતી. અંકિત શર્માના પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું હતું કે, તેમના શરીર પર કુલ 51 ઘા હતા. આ ઘટનામાં મૃતક અંકિતના પિતાની ફરિયાદના આધારે દયાલપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. દિલ્હીના રમખાણો બાદ અંકિતની લાશ એક નાળામાંથી મળી આવી હતી. હાલ તે કેસ મામલે જ હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.