સુપ્રીમ કોર્ટે (Supreme Court) 28 માર્ચે એક અરજી પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટના (Delhi High Court) ન્યાયાધીશ યશવંત વર્મા (Justice Yashwant Varma) વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો. જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી 13-14 માર્ચની રાત્રે લાગેલી આગમાં મોટી રોકડ રકમ મળી આવી હતી. આ મામલે દેશભરમાં ઉહાપોહ બાદ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને જજ સામે FIR રદ કરવાના આદેશ આપવાની માંગ કરવામાં આવી, પરંતુ સુપ્રીમ કોર્ટે હાલ તેની જરૂર ન હોવાનું કહીને અરજી પર વિચાર કરવાની ના પાડી દીધી છે. કોર્ટે સાથે કહ્યું કે, આ મામલે ઇનહાઉસ ઇન્કવાયરી ચાલી રહી છે.
આ અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતા કોર્ટે કહ્યું હતું કે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાએ ગઠિત કરેલી આંતરિક સમિતિ પહેલાંથી જ આ મામલાની તપાસ કરી રહી છે અને જો સમિતિ એવું તારણ કાઢે છે કે કંઈક ખોટું થયું છે, તો કાયદો તેનું કામ કરશે. કોર્ટે આ અરજીને અપરિપક્વ ગણાવી હતી.
કોર્ટે કહ્યું હતું કે, “આંતરિક તપાસ ચાલી રહી છે. જો રિપોર્ટમાં કંઈ ખોટું જણાય તો FIR દાખલ કરવાનો નિર્દેશ આપી શકાય અથવા મામલો સંસદમાં મોકલી શકાય. આ બાબત પર વિચાર કરવાનો હમણાં સમય નથી. અરજી અપરિપક્વ છે.” જોકે વકીલ નેદુમ્પારાએ દલીલ કરી હતી કે, “જુઓ કેરળમાં શું થયું. POCSO કેસમાં નિવૃત્ત ન્યાયાધીશ સામે આરોપો મૂકવામાં આવ્યા હતા અને પોલીસ આરોપીઓનું નામ આપી શકી ન હતી. આરોપો હતા. ફક્ત પોલીસ તેની તપાસ કરી શકે છે. કોર્ટ તેની તપાસ કરી શકતી નથી.”
Supreme Court to shortly hear the plea seeking FIR against Justice Yashwant Varma in the #burntcash case. Plea by Advocate Mathews Nedumpara #SupremeCourt #justiceyashwantvarma pic.twitter.com/t6ey6G2ItQ
— Bar and Bench (@barandbench) March 28, 2025
નેદુમ્પારાએ દલીલ કરી હતી કે, “સામાન્ય માણસ પૂછી રહ્યો છે કે 14 માર્ચે જ કોઈ FIR કેમ દાખલ નહોતી થઈ, કોઈ ધરપકડ કેમ ન થઈ, કોઈ જપ્તી કેમ ન થઈ, કોઈ ફોજદારી કાયદો કેમ લાગુ ન કરવામાં આવ્યો? કૌભાંડને જાહેર કરવામાં એક અઠવાડિયાનો સમય કેમ લાગ્યો? કોલેજિયમે કેમ ન કહ્યું કે તેની પાસે વિડીયો વગેરે છે.?”
જોકે બેન્ચે કહ્યું હતું કે, “અમે અરજી જોઈ છે. આ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. હવે આંતરિક તપાસ ચાલી રહી છે. પરંતુ અમે આ તબક્કે દખલ કરી શકતા નથી અને આવશ્યકતા પડે તો ભારતના મુખ્ય ન્યાયાધીશ પાસે બધા વિકલ્પો ખુલ્લા છે.” એડવોકેટ નેદુમ્પારાએ એવી દલીલ કરી હતી કે સામાન્ય વ્યક્તિ આ બાબતો કઈ રીતે સમજી શકશે? ત્યારે બેન્ચે કહ્યું કે, “સુપ્રીમ કોર્ટના નિર્ણયો અંગે તમારે સામાન્ય માણસોને શિક્ષિત કરવા જોઈએ.” સાથે ઉમેર્યું કે એક આંતરિક સમિતિ પહેલાંથી જ આ મામલાની તપાસ કરી રહી છે.
કોર્ટે કહ્યું હતું કે, “અરજદારને રૂબરૂ સાંભળવામાં આવ્યા છે. જ્યાં સુધી ત્રીજા પ્રતિવાદી વિશેની ફરિયાદનો સંબંધ છે, તો સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પરથી જોઈ શકાય છે કે આંતરિક તપાસ ચાલી રહી છે. સમિતિ રિપોર્ટ રજૂ કરે પછી CJI માટે ઘણા વિકલ્પો ખુલ્લા રહેશે. તેથી આ તબક્કે અરજી પર વિચાર કરવો યોગ્ય નથી. આ તબક્કે આ કોર્ટના ચુકાદાઓ પર પુનર્વિચાર કરવાની જરૂર નથી.” એમ કરીને કોર્ટે FIRની માંગ કરતી અરજીનો નિકાલ કરી દીધો હતો.
શું છે મામલો
નોંધનીય છે કે 14 માર્ચની રાત્રે દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હતી. પરંતુ આ મામલો તાત્કાલિક બહાર આવ્યો નહતો. છેક અઠવાડિયા પછી 20 માર્ચેના રોજ મીડિયાએ રિપોર્ટ કર્યા બાદ આ મામલો સામે આવ્યો. ત્યારપછી સુપ્રીમ કોર્ટના કોલેજિયમે યશવંત વર્માની બદલી અલ્હાબાદ હાઇકોર્ટ ખાતે કરવાની ભલામણ કરી હતી. 22 માર્ચે CJI એ આરોપોની આંતરિક તપાસ કરવા માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. હાલ આ સમિતિ તપાસ કરી રહી છે.