Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોરબી પુલ હોનારતમાં રાજ્ય સરકારની મહત્વની કાર્યવાહી, પાલિકાને સુપરસીડ કરવામાં આવી: મૃતકના...

    મોરબી પુલ હોનારતમાં રાજ્ય સરકારની મહત્વની કાર્યવાહી, પાલિકાને સુપરસીડ કરવામાં આવી: મૃતકના પરિવારજનોને 10 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ

    ફેબ્રુઆરીમાં સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને નોટિસ ફટકારીને નગરપાલિકા સુપરસીડ કેમ ના કરવી તેનો જવાબ આપવા એક સપ્તાહની મુદ્દત આપવામાં આવી હતી. નગરપાલિકા પ્રમુખ અને ચૂંટાયેલા સભ્યોના જવાબ બાદ 52 સભ્યોની નગરપાલિકા સુપરસીડ કરવામાં આવી છે.

    - Advertisement -

    મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં રાજ્ય સરકારે મહત્વની કાર્યવાહી કરતા મોરબી નગરપાલિકાને સુપરસીડ જાહેર કરી છે. 30 ઓક્ટોબર 2022 ના રોજ મચ્છુ નદી પરનો ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. આ બ્રિજ ઓરેવા કંપનીએ નવીનીકરણ બાદ કોઈ તપાસ વિના ખુલ્લો મૂકી દીધો હતો. જે બાદ ગણતરીના દિવસોમાં જ પુલ ધરાશાયી થઈ ગયો હતો. આ માટે મોરબી નગરપાલિકાને જવાબદાર ઠેરવવામાં આવી હતી.

    મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષોએ જીવ ગુમાવ્યા

    મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોનો ભોગ લેવાયો હતો. આ સમગ્ર ઘટનામાં મોરબી પાલિકાની ઘોર બેદરકારી સામે આવી હતી જેને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાની પણ માગ થઈ હતી. મોરબી નગરપાલિકાએ નિયમોનું ઉલ્લંઘન કરીને ઓરેવા ગ્રુપને આ બ્રિજનો 15 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

    મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં પાલિકાના સભ્યો પર સવાલ ઉઠ્યા હતા. આ કેસને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પણ ગંભીરતાથી લઈ રહ્યા હતા. આ મામલે હાઈકોર્ટમાં સુઓમોટો કરવામાં આવી હતી. સુઓમોટો અને PIL મુદ્દે હાઈકોર્ટે મોરબી પાલિકાને પક્ષકાર તરીકે જોડવા માટે અગાઉ નોટિસ ફટકારી હતી.

    - Advertisement -

    52 સભ્યોની મોરબી નગરપાલિકા સુપરસીડ કરાઈ

    ફેબ્રુઆરીમાં સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને નોટિસ ફટકારીને નગરપાલિકા સુપરસીડ કેમ ના કરવી તેનો જવાબ આપવા એક સપ્તાહની મુદ્દત આપવામાં આવી હતી. નગરપાલિકા પ્રમુખ અને ચૂંટાયેલા સભ્યોના જવાબ બાદ 52 સભ્યોની નગરપાલિકા સુપરસીડ કરવામાં આવી હતી. અધિક કલેક્ટર નરેન્દ્ર મુછાળને ચીફ ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

    મૃતકના પરિવારજનોને 10 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ

    દિવાળીના તહેવારોમાં થયેલી મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના મામલે સતત ત્રીજા દિવસે હાઈકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં અવી હતી, જેમાં કોર્ટે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને મૃતક પરિવારને 10 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને બે લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

    બ્રિજ રિનોવેટ કરાયાના 5 દિવસમાં તૂટી પડ્યો હતો

    30 ઓક્ટોબર 2022 ના રોજ સાંજે 6 વાગ્યે તહેવારના માહોલમાં લોકો ઝૂલતા પુલ પર ભેગા થયા હતા. એકાએક આ પુલ તૂટી પડતાં 135 જેટલા લોકો કાળને ભેટ્યા હતા. બ્રિજ રિનોવેટ કરાયાના 5 દિવસમાં જ તૂટી પડ્યો હતો. આ મામલે જવાબદાર લોકોએ કોઈ ફિટનેસ સર્ટિફિકેટ કે ટ્રાયલ વગર જ પુલ ખુલ્લો મૂકી દીધો હતો.

    તપાસમાં સામે આવ્યું હતું કે પુલના મહત્વના ભાગ પર જ કાટ લાગેલો હતો અને બોલ્ટ ઢીલા થઈ ગયા હતા. આ પુલનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપનીને અપાયો હતો. દુર્ઘટનાના બીજા દિવસે વાયરલ થયેલા વિડીયોમાં કમકમાટીભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા અને ઓરેવા કંપની અને પાલિકા સામે કાર્યવાહીની માંગણી ઉઠી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં