Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફિલ્મ હજી પુરી નથી થઇ – અજીત પવાર મામલે આગામી બે ત્રણ...

    ફિલ્મ હજી પુરી નથી થઇ – અજીત પવાર મામલે આગામી બે ત્રણ દિવસમાં કશુંક મોટું થશે: મહારાષ્ટ્રના મંત્રીનો દાવો

    ગુલાબ રાવ પાટીલનો દાવો હતો કે આગામી બેથી ત્રણ દિવસમાં કશુંક મોટું થવાનું છે. પાટીલે કહ્યું છે કે અજીત પવારે નિર્ણય લઇ જ લીધો છે કે તેઓ ભાજપમાં જોડાઈ જશે.

    - Advertisement -

    અજીત પવાર અને શરદ પવાર વચ્ચેની લડાઈ ગઈકાલે જાણે કે પૂરી થઇ ગઈ હોવાનું લાગી રહ્યું હતું જ્યારે અજીત પવારે પોતે NCPમાં જ રહેશે એમ એક પત્રકાર પરીષદમાં કહ્યું હતું. પરંતુ તેનાથી ઉલટ મહારાષ્ટ્ર કેબિનેટમાં મંત્રી એવા ગુલાબરાવ પાટીલે દાવો કર્યો છે કે આ લડાઈ હજી પણ પુરી નથી થઇ અને હજી આ મામલે ઘણું જોવાનું બાકી છે.

    ગુલાબ રાવ પાટીલે કહ્યું હતું કે, “અત્યારે તારીખ અને કુંડળી મળી નથી રહી એટલે લગ્ન થવામાં વાર લાગી રહી છે.” ગુલાબ રાવ પાટીલનો દાવો હતો કે આગામી બેથી ત્રણ દિવસમાં કશુંક મોટું થવાનું છે. પાટીલે કહ્યું છે કે અજીત પવારે નિર્ણય લઇ જ લીધો છે કે તેઓ ભાજપમાં જોડાઈ જશે. આ માટે તેઓ (અજીત પવાર) પાર્ટી છોડશે જ અને આ માટે કોઈ જ્યોતિષીને પૂછવાની જરૂર નથી.

    શરદ પવારે એમ કહ્યું હતું કે અજીત પવાર પાર્ટીને છોડી જશે એવું કશું બનવાનું જ નથી. આ મામલે ગુલાબ રાવ પાટીલનું માનવું હતું કે અત્યારસુધી શરદ પવાર જે કહે છે તેનાથી ઉલટું જ થયું છે અને જો તેઓ એમ કહે છે કે આવું કશું જ નથી બનવાનું તેનો મલતબ છે કે એવું જરૂર થશે. પાટીલે આગળ કહ્યું હતું કે અત્યારે પણ અજીત પવાર તેમનાં સમર્થક વિધાનસભ્યોને મળી રહ્યાં છે જો પાર્ટીમાં બધું જ બરોબર હોય તો તેઓ કેમ બેઠકો કરી રહ્યા છે?

    - Advertisement -

    ગઈકાલે જ અજીત પવારે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ચાલતી અટકળોને પૂર્ણવિરામ આપવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ NCPમાં જ રહેવાનાં છે. મામલો ત્યારે શરુ થયો હતો જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે અમુક વિધાનસભ્યો NCP છોડીને ભાજપમાં જવાના છે. ગઈકાલે અજીત પવારે સંજય રાઉતનું નામ લીધા વગર કહ્યું હતું કે કેટલાક લોકો પાર્ટીની બહાર છે પરંતુ NCPના પ્રવક્તા બનીને વાતો કરી રહ્યાં છે અને હું આ વાત મહા આઘાડીની બેઠકમાં કરીશ.

    અજીત પવારના આ ટોણાનો જવાબ આપતા સંજય રાઉતે કહ્યું હતું કે હું ફક્ત શરદ પવારને જ જવાબ આપવા બંધાયેલો છું અને હું કોઈનાથી ડરતો નથી. ગુલાબ રાવના દાવા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરીથી વમળો સર્જાવાના શરુ થઇ ગયા છે.

    ગુલાબ રાવ પાટીલ એ જ વ્યક્તિ છે જેઓ એકનાથ શિંદે દ્વારા કરવામાં આવેલા બળવા સમયે તેમનાં પર નજર રાખી રહેલાં શિવ સૈનિકોને થાપ આપીને મંત્રાલયના પાછલા દરવાજેથી ભાગીને ગુવાહાટી પહોંચી ગયા હતાં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં