સુપ્રીમ કોર્ટે સોમવારે ((25 ઑગસ્ટ) દિલ્હીના ‘સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ’ના (CSDS) ‘ચૂંટણી વિશ્લેષક’ સંજય કુમાર સામે 2024ની લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓ સંદર્ભે ખોટી માહિતી પોસ્ટ કરવા બદલ નોંધાયેલી FIR પર રોક લગાવી દીધી છે. CJI બીઆર ગવાઈ અને જસ્ટિસ એનવી અંજારિયાની બેન્ચે સંજય કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર તેમને વચગાળાની રાહત આપી છે. અરજીમાં કુમારે આ મામલે નોંધાયેલ FIR રદ કરવાની માંગ કરી હતી.
The Supreme Court on Aug 25 stayed criminal proceedings initiated against election analyst Sanjay Kumar of Delhi's Centre for the Study of Developing Societies (CSDS) booked for sharing misleading information about voter data in connection with the 2024 Lok Sabha and Legislative… pic.twitter.com/x0pdfNOK19
— Bar and Bench (@barandbench) August 25, 2025
સંજય કુમારે પોતાની ભૂલ સ્વીકારીને સોશિયલ મીડિયા પરની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. જે બાદ વિવાદ વધુ વકર્યો હતો, કારણ કે તેમના આ ડેટાનો ઉપયોગ કરીને જ વિપક્ષે સરકાર અને ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા હતા. જે બાદ સંજય કુમાર વિરુદ્ધ FIR પણ નોંધાઈ હતી. કુમારના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, “આ વ્યક્તિની પ્રામાણિકતા નિષ્કલંક છે. તેમણે 30 વર્ષ સુધી દેશ અને વિશ્વની સેવા કરી છે. તેઓ આદરણીય છે. આ એક ભૂલ હતી. તેમણે માફી માંગી અને જાહેરમાં માફી માંગતા પોસ્ટ ડિલીટ કરી. તેમ છતાં, તેમની સામે FIR નોંધાઈ છે.” કોર્ટે આદેશ આપતા કહ્યું છે કે, “નોટિસ જારી કરો અને કાર્યવાહી પર રોક લગાવો.”
શું છે કેસ?
આ કેસ 17 ઑગસ્ટના રોજ સંજય કુમારે કરેલી બે X પોસ્ટ સાથે સંબંધિત છે, જેમાં તેમણે મહારાષ્ટ્રના કેટલાક મતવિસ્તારોના મતદાર ડેટાની તુલના કરી હતી અને કેટલીક અસંગતતાઓનો ઉલ્લેખ કર્યો હતો. 18 ઑગસ્ટે તેમણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી. 19 ઑગસ્ટે તેમણે માફીનામું પોસ્ટ કરીને જણાવ્યું કે, 17 ઑગસ્ટની પોસ્ટમાં ભૂલો હતી. તેમની અરજીમાં જણાવાયું છે કે, શુભેચ્છકો દ્વારા જાણ કરવામાં આવ્યા બાદ તેમને ખબર પડી કે 17 ઑગસ્ટે શેર કરેલી માહિતી ખોટી હતી, જેના કારણે તેમણે પોસ્ટ હટાવી દીધી.
તેમણે જણાવ્યું કે, 17 ઑગસ્ટની પોસ્ટ તેમના સહયોગી દ્વારા આપવામાં આવેલા સંશોધન અને ડેટાના ખોટા અર્થઘટન પર આધારિત હતી. તેમણે આ ભૂલ બદલ માફી માંગી અને કહ્યું કે તેમનો ખોટી માહિતી ફેલાવવાનો કોઈ ઈરાદો નહોતો. જોકે, વિવાદ ખૂબ ગંભીર બની જતા નાગપુર પોલીસ અને નાસિક પોલીસ દ્વારા તેમની સામે બે FIR નોંધવામાં આવી હતી.
તેમની અરજીમાં કહેવાયું, “અરજદારે પોતાની ભૂલને સુધારવા અને માફી માંગવા માટે તમામ પ્રયાસો કર્યા હોવા છતાં, ચૂંટણી પંચને રિપોર્ટ કરતા અધિકારીઓએ બે FIR નોંધી છે.” અરજીમાં કુમારે આ FIR રદ કરવાની માંગ કરી હતી અને ભવિષ્યમાં આવી અન્ય કોઈ FIR નોંધાય તો તેને પણ રદ કરવાની વિનંતી કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેને રાહત પણ આપી દીધી છે.


