એક ઐતિહાસિક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં માનસરોવર પેલેસ સિનેમા હૉલ પર 63 વર્ષ જૂના ભાડા વિવાદનો અંત લાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ભાડૂઆતના કાયદેસર વારસદારોને 2025ના અંત સુધીમાં મિલકત મૂળ માલિકના વારસદારોને સોંપવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે 2013માં અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશને પણ રદ કરી નાખ્યો છે. તે આદેશમાં અપીલ અધિકારીના નિર્ણયના આધારે ભાડૂઆતને કબજો જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન આદેશ આપ્યો છે કે, મિલકતનો ‘શાંતિપૂર્ણ કબજો’ મુરલીધર અગ્રવાલના વારસદાર અતુલ કુમાર અગ્રવાલને સોંપવામાં આવે. કોર્ટે કહ્યું છે કે, 31 ડિસેમ્બર, 2025 સુધીમાં મિલકતનો ‘શાંતિપૂર્ણ કબજો’ સોંપી દેવામાં આવવો જોઈએ. કોર્ટે દિવ્યાંગ અતુલ કુમાર અગ્રવાલની જરૂરિયાતોને વાજબી ગણાવીને ભાડૂઆતને મિલકત ખાલી કરીને મૂળ માલિકના વારસદારને સોંપવાનો આદેશ આપ્યો છે.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત 1952માં થઈ હતી, જ્યારે માનસરોવર પેલેસ સિનેમા હોલની મિલકત રામ અગ્યા સિંઘ નામના ભાડૂઆતને તત્કાલીન માલિક રામસ્વરૂપ ગુપ્તા દ્વારા 10 વર્ષના ભાડે આપવામાં આવી હતી. 1962માં મુરલીધર અગ્રવાલે આ મિલકત ખરીદી અને તેમના પરિવારની વ્યક્તિગત જરૂરિયાતોને ટાંકીને ભાડૂઆતને ખાલી કરવા માટે બહુવિધ નોટિસો મોકલી. જોકે, ભાડૂઆત પોતાને જ તે મિલકતનો માલિક ગણાવવા લાગ્યો હતો. આ વિવાદે ઉત્તર પ્રદેશ રેન્ટ કંટ્રોલ એક્ટ, 1947 હેઠળ અનેક કાનૂની લડાઈઓનો સામનો કર્યો, જેમાં પ્રારંભિક નિર્ણયો ભાડૂઆતની તરફેણમાં હતા.
1972માં નવો રેન્ટ કંટ્રોલ એક્ટ (યુપી એક્ટ નંબર 13, 1972) અમલમાં આવ્યો, જેના આધારે મુરલીધરે 1975માં નવી અરજી દાખલ કરી. આ અરજીમાં તેમણે તેમના અપંગ પુત્ર અતુલ કુમાર અગ્રવાલની આજીવિકા માટે મિલકતની ‘વાસ્તવિક અને આવશ્યક જરૂરિયાત’ (bona fide need) દર્શાવી. પ્રિસ્ક્રાઇબ્ડ ઓથોરિટીએ આ અરજી મંજૂર કરી અને ખાલી કરાવવાનો આદેશ આપ્યો, પરંતુ આ નિર્ણય અપીલમાં રદ થયો. આ બાબતે અલ્હાબાદ હાઇકોર્ટે 9 જાન્યુઆરી, 2013ના રોજ ભાડૂઆતની તરફેણમાં ચુકાદો આપ્યો, જેની સામે માલિકના વારસદારોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી.
‘હાઇકોર્ટે માલિકની વાસ્તવિક જરૂરિયાતોનું નથી કર્યું યોગ્ય મૂલ્યાંકન’- સુપ્રીમ
જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની સુપ્રીમ કોર્ટની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. ન્યાયમૂર્તિ વિશ્વનાથને 24 પાનાનો વિગતવાર ચુકાદો લખ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના 2013ના ચુકાદાને રદ કર્યો, જેણે ભાડૂઆતના કબજાને માન્ય રાખ્યો હતો. કોર્ટે નોંધ્યું કે હાઈકોર્ટે માલિકની વાસ્તવિક જરૂરિયાતનું યોગ્ય મૂલ્યાંકન નથી કર્યું.
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, માલિકની ‘વાસ્તવિક જરૂરિયાત’નું અર્થઘટન ઉદારતાથી કરવું જોઈએ. આ કેસમાં મુરલીધરના અપંગ પુત્ર અતુલ કુમારની આજીવિકા માટે મિલકતની જરૂરિયાતને કોર્ટે વાજબી અને ન્યાયી ગણી છે. અતુલ કુમારને કોઈ સ્વતંત્ર આવકનો સ્ત્રોત ન હોવાથી આ મિલકત તેમના પરિવારના ભરણપોષણ માટે આવશ્યક હતી.
વધુમાં ભાડૂઆતના વારસદારોને 31 ડિસેમ્બર, 2025 સુધીમાં મિલકત ખાલી કરીને માલિકના વારસદાર અતુલ કુમાર અગ્રવાલને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ ભાડૂઆતે ચુકાદાની તારીખથી ચાર અઠવાડિયાની અંદર સામાન્ય પ્રતિજ્ઞાપત્ર (undertaking) દાખલ કરવાનું અને બાકી ભાડું અથવા ઉપયોગ અને કબજાના ચાર્જીસ ચૂકવવાના રહેશે.
સુનાવણી દરમિયાન ભાડૂઆતે દલીલ કરી હતી કે, માલિકની જરૂરિયાત વાસ્તવિક નથી અને તેમની પાસે અન્ય મિલકતો છે. સુપ્રીમ કોર્ટે આ દાવાઓને ‘અપ્રસ્તુત અને પાયાવિહોણા’ ગણાવ્યા હતા અને નોંધ્યું હતું કે, માલિકની જરૂરિયાતની પ્રામાણિકતા નિર્ણાયક છે, નહીં કે ભાડૂઆતની સરખામણીમાં તેમની પરિસ્થિતિ.