હોમપેજદેશજે મોહમ્મદ જાવેદની રેકી બાદ થયું હતું કન્હૈયાલાલનું 'સર તન સે જુદા',...

જે મોહમ્મદ જાવેદની રેકી બાદ થયું હતું કન્હૈયાલાલનું ‘સર તન સે જુદા’, તેને રાજસ્થાન હાઈકોર્ટે આપ્યા જામીન: હત્યાકાંડ બાદથી જેલમાં બંધ હતો આરોપી

NIAએ કોર્ટને જણાવ્યું હતું કે, જાવેદ ટી સ્ટોલ પર હાજર હતો અને કન્હૈયાલાલની રેકી કરીને તેણે જ જાણકારી રિયાઝને આપી હતી, જેણે પછીથી ગૌસ મોહમ્મદ સાથે મળીને હત્યાકાંડને અંજામ આપ્યો હતો. એજન્સીએ એમ પણ જણાવ્યું હતું કે, જાવેદ પર હત્યાકાંડના મુખ્ય આરોપી રિયાઝનો ફોન પણ આવ્યો હતો અને બંને એકબીજાને ઓળખતા હતા.

- Advertisement -

રાજસ્થાન હાઈકોર્ટે ગુરુવારે (5 સપ્ટેમ્બર) ઉદયપુરના હિંદુ દરજી કન્હૈયાલાલના હત્યાકાંડમાં પકડાયેલા એક આરોપી મોહમ્મદ જાવેદને જામીન આપ્યા. કોર્ટે કહ્યું કે, NIA આરોપીનું લોકેશન સાબિત કરી શકી નથી અને તેની પાસેથી કંઈ રિકવર પણ નથી થયું, તેમજ ટ્રાયલમાં સમય લાગી શકે છે, જેથી જામીન મંજૂર કરવામાં આવે. મોહમ્મદ જાવેદ પર કન્હૈયાલાલની દુકાનની રેકી કરીને માહિતી હત્યારાઓને આપવાનો આરોપ છે, જે મામલે હત્યાના થોડા દિવસ બાદ જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાન હાઈકોર્ટે કન્હૈયાલાલ હત્યાકાંડના આરોપી મહોમ્મદ જાવેદને 3 લાખના બોન્ડ પર જામીન આપ્યા છે. એજન્સીએ તેની કન્હૈયાલાલની દુકાનની રેકી કરવાના આરોપસર ધરપકડ કરી હતી, ત્યારથી તે જેલમાં બંધ હતો. અગાઉ તેણે NIA કોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ ત્યાંથી જામીન ફગાવી દેવામાં આવ્યા હતા. હવે હાઇકોર્ટમાંથી તેને જામીન પ્રાપ્ત થયા છે.

સુનાવણી દરમિયાન જાવેદનો કેસ લડતાં વકીલ સૈયદ સઆદલે દલીલ કરી હતી કે, જાવેદ ક્યારેય પણ એ ચાની કીટલી પર ગયો નથી, જ્યાં હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું એજન્સી જણાવી રહી છે. બીજી તરફ, NIAએ કોર્ટને જણાવ્યું હતું કે, જાવેદ ટી સ્ટોલ પર હાજર હતો અને કન્હૈયાલાલની રેકી કરીને તેણે જ જાણકારી રિયાઝને આપી હતી, જેણે પછીથી ગૌસ મોહમ્મદ સાથે મળીને હત્યાકાંડને અંજામ આપ્યો હતો. એજન્સીએ એમ પણ જણાવ્યું હતું કે, જાવેદ પર હત્યાકાંડના મુખ્ય આરોપી રિયાઝનો ફોન પણ આવ્યો હતો અને બંને એકબીજાને ઓળખતા હતા. NIAએ કોર્ટમાં કોલ ડિટેલ પણ રજૂ કરી હોવાનું કહેવાય છે, જેમાં જાવેદ અને અન્ય આરોપીઓ વચ્ચે વાત થઈ હતી.

- Advertisement -

સાક્ષીએ પણ પુષ્ટિ કરી હતી: NIA

NIAએ કોર્ટમાં જણાવ્યું હતું કે, સાક્ષી ઝીશાને પણ પુષ્ટિ કરી હતી કે ઘટના પહેલાં રિયાઝ અને જાવેદ ચાની કીટલી પર મળ્યા હતા. આટલું જ નહીં, NIAના જણાવ્યા અનુસાર આરોપીએ પણ પોતાના નિવેદનમાં તે સ્વીકાર્યું હતું. જોકે રાજસ્થાન હાઈકોર્ટે એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા આ નિવેદનને લઈને પૂછ્યું હતું કે, આરોપીનું નિવેદન અંગ્રેજી ભાષામાં શા માટે લખવામાં આવ્યું છે? જે ભાષામાં તેણે નિવેદન આપ્યું છે તેમાં કેમ નથી લખવામાં આવ્યું?

NIA અને આરોપી પક્ષની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ પંકજ ભંડારીની ખંડપીઠે કહ્યું હતું કે, NIAએ માત્ર કોલ ડિટેલના આધારે આરોપીની ધરપકડ કરી છે અને એજન્સી તેનું લોકેશન પણ સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે. ઉપરાંત, આરોપી લાંબા સમયથી જેલમાં હતો અને આ કેસમાં ટ્રાયલ લાંબી ચાલશે. આ નિષ્કર્ષ પર પહોંચીને કોર્ટે આરોપીને જામીન આપ્યા હતા.

આ પહેલાં NIA કોર્ટે આપ્યા હતા ફરહાદ મહોમ્મદને જામીન

ઉલ્લેખનીય છે કે આ કેસમાં પહેલાં પણ એક આરોપીને જામીન મળી ચૂક્યા છે. 1 સપ્ટેમ્બર, 2023ના રોજ NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ની વિશેષ અદાલતે કન્હૈયાલાલ હત્યા કેસના એક આરોપી ફરહાદ મોહમ્મદને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. NIAએ કન્હૈયાલાલ હત્યાકાંડમાં 2 પાકિસ્તાની નાગરિકો સહિત 11 લોકોને આરોપી બનાવ્યા હતા. જેમાંથી 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ફરહાદ મોહમ્મદ આ 9 આરોપીઓમાંથી એક છે. ઉદયપુરમાં કન્હૈયાલ હત્યાકાંડ પહેલા ‘સર તન સે જુદા’ જેવા ઈસ્લામિક નારા લગાવવા અને ઘરમાંથી તલવાર મળવાના કારણે ફરહાદની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે આર્મ્સ એકટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

28 જૂન, 2022ના રોજ કન્હૈયાલાલની હત્યા થઇ હતી

28 જૂન, 2022ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં હિંદુ વ્યક્તિ કન્હૈયાલાલની છરાના ઉપરાછાપરી ઘા ઝીંકીને નિર્દયતાથી હત્યા કરી નાખવામાં આવી હતી. આ મામલે રિયાઝ અન્સારી અને મોહમ્મદ ગૌસ નામના બે હત્યારાની ધરપકડ કરવામાં આવી હતી. કન્હૈયાલાલે કથિત રીતે ફેસબુક ઉપર ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં એક પોસ્ટ મૂકી હતી, જેના કારણે કટ્ટરપંથી ઇસ્લામી હત્યારાઓએ તેમને નિશાન બનાવ્યા હતા. મામલાની ગંભીરતા સમજીને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી હતી અને ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર કેસની તપાસ NIAને સોંપવામાં આવી હતી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં