
ભારત અને પાકિસ્તાન વચ્ચે સમુદ્રમાં એક નૌસૈનિક ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર, 2026ની સાંજે નોર્થ અરેબિયન સીમાં પાકિસ્તાની નૌકાદળના એક જહાજની ભારતીય નૌકાદળના યુદ્ધજહાજ સાથે ટક્કર થઈ હતી. ઘટના આંતરરાષ્ટ્રીય જળસીમામાં બની હતી. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાની નૌકાદળના જહાજના વર્તનને ‘અસ્વીકાર્ય અને બિનવ્યાવસાયિક’ ગણાવીને 16 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના ચાર્જ ડી’અફેર્સને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો છે.
શું થયું?
સરકારી સૂત્રો અનુસાર ભારતીય નૌકાદળનું યુદ્ધજહાજ નોર્થ અરેબિયન સીમાં રૂટિન સર્વેલન્સ મિશન પર હતું. આ દરમિયાન પાકિસ્તાની નૌકાદળનું એક જહાજ ભારતીય જહાજની નજીક ઝડપે આવ્યું અને અસુરક્ષિત તથા બિનવ્યાવસાયિક રીતે મેન્યુવરિંગ કરવા લાગ્યું. આ મેન્યુવરિંગ દરમિયાન બંને જહાજો વચ્ચે ટક્કર થઈ હતી.
અહેવાલો અનુસાર આ ઘટના ગ્વાદર નજીક બની હતી અને તે સમયે બે મોટાં ભારતીય નૌકાદળનાં જહાજો પાકિસ્તાની નૌકાદળની કવાયત પર નજર રાખી રહ્યાં હતાં. અહેવાલમાં ભારતીય સરકારી સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે એક નાનું પાકિસ્તાની નૌકાદળનું જહાજ ઝડપથી ભારતીય જહાજોની નજીક આવ્યું હતું.
ભારતીય જહાજને નુકસાન નહીં, પાકિસ્તાની જહાજને નુકસાન થયાનો અહેવાલ
ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ ટક્કરમાં કોઈ મોટું નુકસાન થયું નથી. ભારતીય જહાજને નુકસાન થયું હોવાની માહિતી નથી. સરકારી સૂત્રોને ટાંકીને એવા પણ અહેવાલ આવ્યા છે કે ટક્કરમાં પાકિસ્તાની નૌકાદળના જહાજને નુકસાન થયું હતું અને ત્યારબાદ તે કરાચી બંદરે પરત ફર્યું હતું. ભારતીય નૌકાદળ તરફથી આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે ગંભીર નુકસાન થયું હોવાની માહિતી સામે આવી નથી.
ભારતે પાકિસ્તાનના રાજદ્વારીને કેમ બોલાવ્યા?
16 સપ્ટેમ્બરે વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના ચાર્જ ડી’અફેર્સને સમન્સ પાઠવ્યું હતું. ભારતે તેમની સમક્ષ પાકિસ્તાની નૌકાદળના જહાજના વર્તન અંગે સખત વિરોધ નોંધાવ્યો. MEA અનુસાર આંતરરાષ્ટ્રીય જળસીમામાં બનેલી આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નહોતું, પરંતુ પાકિસ્તાની નૌકાદળના જહાજનું વર્તન એપ્રિલ 1991માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ‘લશ્કરી કવાયત, મેન્યુવર્સ અને સૈનિકોની હિલચાલ અંગે અગાઉથી સૂચના આપવાના કરાર’ની કલમ 10નું સીધું ઉલ્લંઘન હતું.
The Chargé d'Affaires of the High Commission for Pakistan in New Delhi was summoned to the Ministry of External Affairs today, and a strong protest was lodged with him over the unacceptable and unprofessional conduct of Pakistani naval units at sea that led to a collision with a… pic.twitter.com/z10Kim5svg
— ANI (@ANI) September 16, 2026
ભારતે પાકિસ્તાનના ચાર્જ ડી’અફેર્સને સંબંધિત પાકિસ્તાની સત્તાધિકારીઓ સુધી આ વાત પહોંચાડવા કહ્યું છે કે બંને દેશો વચ્ચેના સંબંધિત કરારોની જોગવાઈઓનું સન્માન કરવામાં આવે અને તમામ લશ્કરી યુનિટોએ સમુદ્રમાં યોગ્ય સાવચેતી રાખવી, જેથી આવી ઘટના ફરી ન બને. સાથે જ ઇસ્લામાબાદમાં ભારતના ચાર્જ ડી’અફેર્સને પણ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સમક્ષ આ જ મુદ્દે સત્તાવાર વિરોધ નોંધાવવા સૂચના આપવામાં આવી છે.
પાકિસ્તાની જહાજનું ‘અસુરક્ષિત મેન્યુવરિંગ’
સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની જહાજ ભારતીય યુદ્ધજહાજની ખૂબ નજીક ઊંચી ઝડપે આવ્યું હતું. વિદેશ મંત્રાલયે તેને ‘unprofessional and unsafe’ મેન્યુવરિંગ ગણાવ્યું છે. જોકે, ભારતીય નૌકાદળ દ્વારા લેવામાં આવેલા સાવચેતીભર્યા પગલાંને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બનતી અટકી હતી.
1991ના કરારની કલમ 10 કેમ મહત્વની છે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે એપ્રિલ 1991માં લશ્કરી કવાયત, મેન્યુવર્સ અને સૈનિકોની હિલચાલ અંગે અગાઉથી સૂચના આપવા માટે કરાર થયો હતો. MEAએ હાલની ઘટનામાં પાકિસ્તાની જહાજના વર્તનને આ કરારની કલમ 10ના સીધા વિરોધમાં ગણાવ્યું છે. આ જ કલમનો ઉલ્લેખ ભૂતકાળની એક નૌસૈનિક ઘટનામાં પણ થઈ ચૂક્યો છે. MEAના દસ્તાવેજ મુજબ, જૂન 2011માં ભારતે પાકિસ્તાનના PNS બાબર દ્વારા INS ગોદાવરી સાથે હાઈ સીઝમાં કરવામાં આવેલા જોખમી મેન્યુવરિંગ સામે વિરોધ નોંધાવ્યો હતો અને 1991ના કરારની કલમ 10નો પણ ઉલ્લેખ કર્યો હતો.
હાલની ઘટના અંગે ભારતે પાકિસ્તાનને સ્પષ્ટપણે કહ્યું છે કે બંને દેશો વચ્ચેના કરારોનું પાલન કરવામાં આવે અને લશ્કરી યુનિટો સમુદ્રમાં યોગ્ય કાળજી રાખે, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. આ ઘટનામાં ટક્કરથી કોઈ મોટું નુકસાન થયું નથી, પરંતુ ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાની નૌકાદળના મેન્યુવરિંગને ગંભીરતાથી લઈને તાત્કાલિક રાજદ્વારી સ્તરે વિરોધ નોંધાવ્યો છે.

