કાશ્મીરના પહલગામ (Pahalgam) ખાતે થયેલા બર્બર આતંકવાદી હુમલાને અંજામ આપનારા આતંકવાદીઓની શોધખોળ માટે સેના હાલ સઘન સર્ચ ઑપરેશન ચલાવી રહી છે અને બીજી તરફ આશંકા એવી પણ છે કે હુમલામાં અમુક સ્થાનિક આતંકવાદીઓ અને સ્લીપર સેલ પણ સામેલ હોય શકે છે, કારણ કે આવો હુમલો સ્થાનિકોની મદદ વગર શક્ય નથી. આમાં એક આદિલ નામના સ્થાનિક આતંકવાદીનું નામ સામે આવ્યું છે.
‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ના રિપોર્ટ અનુસાર, આદિલ ઠોકર નામનો અનંતનાગનો એક સ્થાનિક આતંકવાદી આ હુમલામાં સંડોવાયેલો હોય શકે છે. તેણે પાકિસ્તાની આતંકવાદીઓને મદદ પૂરી પાડી હોવાની આશંકા છે.
રિપોર્ટ અનુસાર, વર્ષ 2018માં તે અટારી-વાઘા સરહદ પરથી કાયદેસર પરવાનગી લઈને પાકિસ્તાન ગયો હતો. પાકિસ્તાનમાં તેણે આતંકવાદી તાલીમ મેળવી હોવાની જાણકારી મળી છે. ગત વર્ષે જ તે જમ્મુ-કાશ્મીર પરત ફર્યો હતો. તેનો પરિવાર હજુ પણ અનંતનાગમાં જ રહે છે.
પરત ફર્યા બાદ આદિલ બહાર બહુ દેખાયો ન હોવાનું સૂત્રોને ટાંકીને TOIએ જણાવ્યું છે. જોકે તે દક્ષિણ કાશ્મીરમાં અમુક સમયે જોવા મળ્યો હતો, પરંતુ કોઈ આતંકવાદી ગતિવિધિમાં સામેલ થયો ન હતો. સંભવતઃ તે તેને કોઈ અસાઇનમેન્ટ મળે તેની રાહ જોઈ રહ્યો હોવાનું પણ અહેવાલ જણાવે છે. આ અસાઇનમેન્ટ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરો તરફથી મળવાનું હોય શકે અને શક્યતા છે કે તેને જ પહલગામમાં આતંકવાદીઓની મદદ કરવાનું કામ સોંપવામાં આવ્યું હોય શકે.
એક સ્થાનિક હોવાના કારણે આદિલને અનંતનાગ અને પહલગામના ભૂગોળ વિશે સારી એવી જાણકારી છે. તેણે આતંકવાદીઓને રહેવા માટે, સંતાવા માટે મદદ કરી હોય, સ્થળની રેકી કરવામાં મદદ કરી હોય , હુમલો કર્યા બાદ ભાગવામાં મદદ કરી હોય તેવી પૂરેપૂરી શક્યતા છે.
બીજી તરફ, એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પહલગામમાં આતંકવાદી હુમલા બાદ અમુક નાના દુકાનદારો ‘ગાયબ’ થઈ ગયા છે. જેમાં ચાવાળા, ભેલપુરીની લારીવાળા, પંચરવાળાઓનો સમાવેશ થાય છે. આ ઘટનાક્રમ પર સ્લીપર સેલ હુમલામાં સામેલ હોવાની આશંકા વધુ બળવાન બનાવે છે.
આ રીતે નાના દુકાનદારોનું ગાયબ થવું એ ઘણી શંકા ઉભી કરે છે. તાજેતરમાં જ સામે આવ્યું હતું કે આતંકીઓએ વધુ નુકસાન પહોંચાડી શકાય એટલા માટે થઈને બૈસરન ખીણ પર હુમલો કર્યો હતો. આ હુમલા પહેલાં આતંકીઓ લગભગ 1 મહિનાથી આ સ્થળની રેકી કરી રહ્યા હતા. ત્યારે હવે આ નાના દુકાનદારોનું અચાનક ગાયબ થયું એ શંકા ઉભી કરે છે કે આ ઘટનામાં સ્લીપર સેલનો હાથ હોઈ શકે છે.
पहलगाम; छोटे दुकानदार गायब, इनके स्लीपर सेल से जुड़े होने का संदेह बढ़ा…#PahalgamTerroristAttack pic.twitter.com/ECQN63dviX
— Akhilesh Tiwari (अखिलेश तिवारी) (@Akhilesh_tiwa) April 24, 2025
અહેવાલ અનુસાર રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને સ્થાનિક પોલીસને શંકા છે કે આતંકવાદીઓને સ્થાનિક ઓવરગ્રાઉન્ડ વર્કર્સે લોજિસ્ટિક્સ અને રેકીમાં મદદ કરી હતી, જેના કારણે તેમને સ્થળની ચોક્કસ વિગતો અને ક્યાં હુમલો કરે તો વધુ નુકસાન થાય એની જાણકારી મળી હતી.
નોંધનીય છે કે બૈસરન ખીણ એક પર્યટક સ્થળ છે જેને મિની સ્વિટ્ઝર્લેન્ડ પણ કહેવામાં આવે છે. ત્યારે એ કહેવું ખોટું નથી કે સ્થાનિક દુકાનદારોને ચોક્કસથી એ માહિતી હોય જ કે કયા સમયે, કઈ સીઝનમાં, કયા દિવસોમાં આ જગ્યા પર વધુ પ્રવાસીઓ હોય છે. આવા સમયે તેમનું ગાયબ થવું એ શંકા તરફ દોરી જાય છે કે આતંકીઓએ હુમલા પહેલાં સ્લીપર સેલની મદદ લીધી હશે. અગાઉ પણ આ રીતે આતંકવાદી હુમલાઓમાં સ્થાનિકોએ લોજિસ્ટિક મદદ પૂરી પાડી હોવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.
આ ઉપરાંત સામે આવેલ માહિતી અનુસાર હુમલામાં 7 આતંકવાદીઓ સામેલ હતા, જેમાં 4-5 પાકિસ્તાની અને 2 સ્થાનિક હોવાનું માનવામાં આવે છે. આ વિસ્તારમાં વાહનોની અવરજવર શક્ય નથી, અને ત્યાં ફક્ત પગપાળા અથવા ઘોડા દ્વારા જ પહોંચી શકાય છે, જેનો આતંકવાદીઓએ લાભ લીધો.
વિશ્વ હિંદુ પરિષદે (VHP) પણ કાશ્મીરમાં સ્લીપર સેલની હાજરી અને પાકિસ્તાન સાથેના તેમના જોડાણનો દાવો કર્યો છે. બીજી તરફ આર્મીએ આતંકવાદીઓ અને તેમના સહયોગીઓને શોધવા વ્યાપક સર્ચ ઓપરેશન પણ શરૂ કરી દીધું છે. આ મામલે પોલીસે સ્થાનિક લગભગ 1500 જેટલા લોકોને રાઉન્ડ અપ કરીને પૂછપરછ કરી હોવાના પણ અહેવાલો છે.
હુમલાની વિગતો
જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે 22 એપ્રિલ, 2025ના રોજ બપોરે આશરે 2:45 વાગ્યે આતંકી હુમલો થયો હતો. જેમાં નામ પૂછી પૂછીને હિંદુ પ્રવાસીઓનો જીવ લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. સુરક્ષા એજન્સીઓએ હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓની ઓળખ કરી છે, જેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા છે. આ મામલે હાલ સઘન સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.