ઉમર ખાલિદ અત્યાર સુધી આઠ વખત જામીન માગી ચૂક્યો છે. આઠેય વખત સેશન્સ કોર્ટ, દિલ્હી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોએ દિલ્હી પોલીસની કેસ ફાઇલની સમીક્ષા કરીને એવું માન્યું છે કે તેના વિરુદ્ધનો કેસ એટલો મજબૂત છે કે તેને તિહાડ જેલમાં જ રાખવો જોઈએ. હવે જ્યારે દિલ્હી હાઇકોર્ટ તેની નવમી જામીન અરજી પર સુનાવણી કરી રહી છે ત્યારે આ અગાઉના તમામ નિર્ણયોની શ્રેણી પોતે જ એક પુરાવો કહે છે.
JNUનો ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા અને ‘યુનાઇટેડ અગેઇન્સ્ટ હેટ’ના સહ-સ્થાપક ઉમર ખાલિદની સપ્ટેમ્બર 2020માં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર ફેબ્રુઆરી 2020માં નાગરિકતા સુધારા કાયદા (CAA) વિરુદ્ધના વિરોધ પ્રદર્શન દરમિયાન ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલા હિંદુવિરોધી રમખાણોના કાવતરામાં સામેલ હોવાનો આરોપ છે. આ રમખાણોમાં 53 લોકોનાં મોત થયાં હતાં અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. FIR નં. 59/2020 હેઠળ નોંધાયેલા દિલ્હી પોલીસના કેસમાં એવો આરોપ નથી કે ખાલિદે પોતે પથ્થરમારો કર્યો હતો અથવા કોઈ વાહનને આગ ચાંપી હતી. તેના બદલે પોલીસનો આરોપ છે કે તેણે વધુ ગંભીર ગુનો કર્યો હતો– હિંસાનું આયોજન કરવામાં ભૂમિકા ભજવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ભાષણો, વોટ્સએપ ગ્રૂપો અને વ્યૂહાત્મક રીતે યોજાયેલા ચક્કાજામ દ્વારા મોટા કાવતરાના ભાગરૂપે આ હિંસા અમલમાં મૂકવામાં આવી હતી.
આ કેસ ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ નોંધાયેલો છે, જેને ભારતનો સૌથી કડક આતંકવાદ-વિરોધી કાયદો માનવામાં આવે છે. આ કાયદામાં સંસદે કલમ 43D(5) હેઠળ જામીન માટે એવી જોગવાઈ કરી છે જે સામાન્ય કાયદાકીય સિદ્ધાંતથી સંપૂર્ણપણે વિપરીત છે. આ જોગવાઈ મુજબ, જ્યાં સુધી ન્યાયાધીશને એવું ન લાગે કે આરોપ સાચા હોવાનું માનવા માટે કોઈ વાજબી આધાર નથી, ત્યાં સુધી જામીન આપી શકાય નહીં. ભારતીય કાયદામાં જામીન મેળવવા માટે આ સૌથી કડક અવરોધોમાંનો એક છે. અત્યાર સુધી ઉમર ખાલિદ આ કસોટી પાર કરી શક્યો નથી.
સૌપ્રથમ સેશન્સ કોર્ટ: 2022માં જામીનનો ઇનકાર
13 સપ્ટેમ્બર, 2020ની રાત્રે ઉમર ખાલિદની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે FIR નં. 59/2020 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જુલાઈ 2021માં તેણે સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી. સરકાર પક્ષ તરફથી સ્પેશિયલ સરકારી વકીલ અમિત પ્રસાદે ‘દિલ્હી પ્રોટેસ્ટ સપોર્ટ ગ્રૂપ’ નામના વોટ્સએપ ગ્રૂપની ચેટ્સ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. તેમનો દાવો હતો કે આ ચેટ્સ દર્શાવે છે કે ખાલિદ સરકાર પર દબાણ વધારવા માગતો હતો અને CAAવિરોધી આંદોલનનો ઉપયોગ માત્ર અસહમતિ વ્યક્ત કરવા માટે નહીં પરંતુ હિંસાના કેન્દ્રો ઉભા કરવા માટે કરવામાં આવી રહ્યો હતો. બચાવ પક્ષે આ ચેટ્સના અર્થઘટન પર સવાલ ઉઠાવ્યા અને ચાર્જશીટમાં રહેલી ખામીઓ તરફ કોર્ટનું ધ્યાન દોર્યું.
લગભગ આઠ મહિના બાદ 24 માર્ચ, 2022ના રોજ સેશન્સ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી. એડિશનલ સેશન્સ જજ અમિતાભ રાવતે કહ્યું કે રજૂ કરાયેલી સામગ્રીને પ્રાથમિક દૃષ્ટિએ જોતા એવું જણાય છે કે આ એક પૂર્વનિયોજીત કાવતરું હતું અને ઉમર ખાલિદ તેમાં સામેલ હતો. આ પહેલો એવો નિર્ણય હતો અને ત્યારબાદની તમામ અદાલતો પણ એ જ દિશામાં આગળ વધતી રહી.
હાઇકોર્ટે પણ જામીન નકારવાનો નિર્ણય યથાવત રાખ્યો (ઑક્ટોબર 2022)
24 માર્ચ, 2022ના સેશન્સ કોર્ટના નિર્ણયને ઉમર ખાલિદે 21 એપ્રિલ, 2022ના રોજ દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો. જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને જસ્ટિસ રજનીશ ભટનાગરની બેન્ચ સમક્ષ આ અરજીની સુનાવણી થઈ. સરકાર પક્ષે પોતાનો મોટો આધાર મહારાષ્ટ્રના અમરાવતીમાં રમખાણોના થોડા દિવસ પહેલાં ઉમર ખાલિદે આપેલા ભાષણ પર રાખ્યો હતો. કોર્ટે ખાસ કરીને એ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું કે વડા પ્રધાન વિરુદ્ધ આપવામાં આવેલા તેના નિવેદનો માત્ર રાજકીય ભાષણ હતા કે પછી તે હિંસા માટે ઉશ્કેરણી સુધી પહોંચતા હતા. કોર્ટે આ ભાષણને સહ-આરોપી શરજિલ ઈમામના ભાષણો સાથે પણ જોયાં, જેમાં વિવિધ પ્રકારના અવરોધો ઊભા કરવાની વાત કરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું હતું. બચાવ પક્ષે દલીલ કરી કે ચાર્જશીટમાં અનેક વિરોધાભાસ છે, પરંતુ બેન્ચ તેનાથી સંતુષ્ટ થઈ નહોતી.
18 ઑક્ટોબર, 2022ના રોજ દિલ્હી હાઇકોર્ટે જામીન અરજી ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે ચાર્જશીટ પ્રાથમિક દૃષ્ટિએ UAPA હેઠળ આતંકવાદી પ્રવૃત્તિઓ અને ગુનાહિત કાવતરાનો કેસ સ્થાપિત કરે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે UAPAની કલમ 43D(5) હેઠળ એકવાર પ્રાથમિક દૃષ્ટિએ એવો કેસ બની જાય તો માત્ર એ કારણસર જ જામીન મળવા મુશ્કેલ બની જાય છે, ભલે આરોપી કેટલો લાંબો સમય જેલમાં વિતાવી ચૂક્યો હોય.
એક મર્યાદિત રાહત અને અલગ નાના કેસનો અંત
3 ડિસેમ્બર, 2022ના રોજ કરકડડૂમા કોર્ટે ખજુરી ખાસ વિસ્તારમાં પાર્કિંગમાં તોડફોડ અને આગચંપીના એક અલગ અને પ્રમાણમાં નાના કેસમાં ઉમર ખાલિદ તથા સહ-આરોપી ખાલિદ સૈફીને નિર્દોષ જાહેર કર્યા હતા. અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ કેસમાં UAPAની કોઈ કલમ લાગુ કરવામાં આવી નહોતી અને આ કેસના કારણે તેઓ જેલમાં નહોતા. તેથી આ ચુકાદાથી FIR નં. 59/2020 હેઠળ ચાલતા મોટા કાવતરાના કેસ પર કોઈ અસર પડી નહોતી, જેમાં સેશન્સ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટ બંને પહેલેથી જ ઉમર ખાલિદ વિરુદ્ધ પ્રાથમિક દૃષ્ટિએ કેસ હોવાનું માની ચૂક્યા હતા.
ત્યારબાદ, નવ દિવસ પછી પરિવારના એક પ્રસંગમાં હાજરી આપવા માટે તેને એક અઠવાડિયાના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. જોકે, તેના પર એક ‘ગેગ ઓર્ડર’ પણ લાગુ કરવામાં આવ્યો હતો, જેના કારણે તે મીડિયાથી કોઈ વાતચીત કરી શકતો નહોતો. આ માનવતાના આધારે આપવામાં આવેલી અસ્થાયી અને શરતી રાહત હતી, કેસના ગુણદોષના આધારે આપવામાં આવેલા નિયમિત જામીન નહોતા.
સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો, પછી અરજી પોતે જ પરત ખેંચી
6 એપ્રિલ, 2023ના રોજ ઉમર ખાલિદે દિલ્હી હાઇકોર્ટના જામીન નામંજૂર કરવાના નિર્ણયને પડકારતી સ્પેશિયલ લીવ પિટિશન (SLP) સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી. પરંતુ એક વર્ષથી વધુ સમય સુધી આ અરજીમાં ખાસ કોઈ પ્રગતિ થઈ નહીં. ક્યારેક ન્યાયાધીશોએ પોતાને સુનાવણીથી અલગ કર્યા તો ક્યારેક વકીલો ઉપલબ્ધ ન રહ્યા. ઉપરાંત, આ અરજીને UAPA સામેના અલગ બંધારણીય પડકાર સાથે પણ જોડવામાં આવી હતી. પરિણામે સમગ્ર વર્ષ 2023 દરમિયાન કેસની વાસ્તવિક સુનાવણી થઈ જ નહીં.
લાંબા વિલંબને જોતા 14 ફેબ્રુઆરી, 2024ના રોજ ઉમર ખાલિદે પોતાની આ અરજી સ્વેચ્છાએ પરત ખેંચી લીધી. તેની વ્યૂહરચના એવી હતી કે જેલમાં વિતાવેલા લાંબા સમયને આધાર બનાવીને ટ્રાયલ કોર્ટમાં નવી જામીન અરજી કરવામાં આવે તો કદાચ વધુ સફળતા મળી શકે. પરંતુ એવું બન્યું નહીં.
ફરી ટ્રાયલ કોર્ટમાં (2024–25)
28 મે, 2024ના રોજ ઉમર ખાલિદે ફરીથી જામીન માટે અરજી કરી. સેશન્સ જજ સમીર બાજપાઈએ આ અરજી ફગાવી દીધી. તેમણે સુપ્રીમ કોર્ટના NIA v. Zahoor Ahmad Shah Watali અને Union of India v. Barkathullah કેસોમાં આપવામાં આવેલા ચુકાદાઓનો આધાર લીધો અને કહ્યું કે ઉપલબ્ધ પુરાવાઓને ઉપરછલ્લી રીતે જોતા પણ ઉમર ખાલિદની સંડોવણી પ્રાથમિક દૃષ્ટિએ દેખાય છે. કોર્ટે એ પણ નોંધ્યું કે અગાઉના જામીનના આદેશ પછી પરિસ્થિતિમાં એવો કોઈ વાસ્તવિક ફેરફાર આવ્યો નથી કે જેના આધારે અલગ નિર્ણય લઈ શકાય.
આ નિર્ણય સામે કરવામાં આવેલી અપીલની સુનાવણી 2025 સુધી લંબાઈ. અંતે જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ શાલિન્દર કૌરની બેન્ચ સમક્ષ કેસની સુનાવણી થઈ. સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્પષ્ટ શબ્દોમાં દલીલ કરી કે જો કોઈ વ્યક્તિ પર દેશ વિરુદ્ધ કાવતરામાં સામેલ હોવાનો આરોપ હોય તો ટ્રાયલમાં નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી તેને જેલમાં જ રહેવું જોઈએ.
હાઇકોર્ટે ફરી જામીન નકાર્યા, સરકાર પક્ષના વર્ઝનને સમર્થન આપ્યું
2 સપ્ટેમ્બર, 2025ના રોજ દિલ્હી હાઇકોર્ટે ઉમર ખાલિદ અને અન્ય આઠ સહ-આરોપીઓની જામીન અરજીઓ ફગાવી દીધી. જસ્ટિસ શાલિન્દર કૌરના ચુકાદામાં સરકાર પક્ષના એ દાવાને સ્વીકારવામાં આવ્યો કે દિલ્હી રમખાણો કોઈ સ્વયંભૂ ભડકેલી હિંસા નહોતા, પરંતુ પૂર્વ આયોજિત અને સુનિયોજિત કાવતરાનું પરિણામ હતા.
કોર્ટે એ પણ નોંધ્યું કે કેસનો વ્યાપ અત્યંત વિશાળ છે. લગભગ 3,000 પાનાંની ચાર્જશીટ ઉપરાંત 30,000 પાનાંથી વધુના ઇલેક્ટ્રોનિક પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. આટલી વિશાળ સામગ્રીને ધ્યાનમાં રાખતા ટ્રાયલને સંપૂર્ણ સ્વરૂપે ચાલવા દેવી જરૂરી છે અને તેને ઉતાવળમાં પૂર્ણ કરી શકાય નહીં.
ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ કહ્યું કે માત્ર ટ્રાયલમાં વિલંબ થવો એ UAPA હેઠળની જામીનની કડક જોગવાઈને બાજુ પર મૂકવા માટે પૂરતું કારણ બની શકતું નથી, ખાસ કરીને જ્યારે આરોપોની ગંભીરતા યથાવત હોય. જેલમાં પાંચ વર્ષ વિતાવી ચૂક્યો હોવા છતાં આ પરિસ્થિતિએ કોર્ટના અભિપ્રાયમાં કોઈ ફેરફાર કર્યો નહોતો.
સુપ્રીમ કોર્ટ: કેટલાકને જામીન, પરંતુ ‘કાવતરાના મુખ્ય સૂત્રધારો’ને નહીં (જાન્યુઆરી 2026)
2 સપ્ટેમ્બર, 2025ના દિલ્હી હાઇકોર્ટના નિર્ણયને પડકારતાં ઉમર ખાલિદે 10 સપ્ટેમ્બર, 2025ના રોજ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. અનેક દિવસોની સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે દિલ્હી રમખાણો કોઈ સામાન્ય વિરોધ પ્રદર્શન બેકાબૂ બનવાનું પરિણામ નહોતા, પરંતુ ભારતની સાર્વભૌમતા સામેનું એક ‘આયોજિત, પૂર્વનિયોજિત અને સુવિચારિત’ કાવતરું હતું.
સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એસ. વી. રાજુએ રાજ્યનો કેસ વિગતવાર રજૂ કર્યો. તેમના જણાવ્યા અનુસાર ચાંદબાગ વિસ્તારમાં CCTV કેમેરા ઢાંકવામાં આવ્યા હતા, છત પરથી એસિડની બોટલો ફેંકવામાં આવી હતી, 23 ફેબ્રુઆરી, 2020ના રોજ યોજાયેલી એક બેઠક અંગે સંરક્ષિત સાક્ષીઓના નિવેદનો હતા, શેલ કંપનીઓ અને જામિયા એલ્યુમ્ની એસોસિયેશન મારફતે ફંડિંગ નેટવર્ક કાર્યરત હતું અને લોકેશન ડેટા, ચેટ રેકોર્ડ્સ તથા સાક્ષીઓના નિવેદનોના આધારે એવો આરોપ હતો કે ઉમર ખાલિદે જ ચક્કાજામ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
બીજી તરફ, બચાવ પક્ષે પહેલેથી જામીન મેળવનાર અન્ય સહ-આરોપીઓ સાથે સમાનતાના (Parity) આધારે ઉમર ખાલિદને પણ જામીન આપવાની દલીલ કરી. પરંતુ સુપ્રીમ કોર્ટે બંને વચ્ચે સ્પષ્ટ ભેદ કર્યો.
5 જાન્યુઆરી, 2026ના રોજ સુપ્રીમ કોર્ટે પાંચ સહ-આરોપીઓ ગુલફિશા ફાતિમા, મીરાન હૈદર, શિફા ઉર રહેમાન, મોહમ્મદ સલીમ ખાન અને શાદાબ અહેમદને 12 શરતો સાથે જામીન આપ્યા હતા. જોકે, ઉમર ખાલિદ અને શરજિલ ઈમામને આ રાહત આપવામાં આવી નહોતી. કોર્ટે પોતાના આદેશમાં બંનેને કાવતરાના ‘આર્કિટેક્ટ્સ’ (મુખ્ય સૂત્રધારો) ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમની સ્થિતિ અન્ય સહ-આરોપીઓથી અલગ છે.
કોર્ટે જણાવ્યું કે તેઓ માત્ર કોઈ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા સામાન્ય ભાગીદાર નહોતા, પરંતુ સરકાર પક્ષના કેસ મુજબ સમગ્ર કાવતરાનું દિશાનિર્દેશન કરનાર વ્યક્તિઓ હતા. આ કારણે તેમને જણાવવામાં આવ્યું કે તેઓ એક વર્ષ પૂર્ણ થયા પછી અથવા સંરક્ષિત સાક્ષીઓની જુબાની નોંધાઈ જાય ત્યારબાદ, જે પહેલું બને તે પછી, ફરીથી જામીન માટે અરજી કરી શકશે.
નવો વળાંક, ટ્રાયલ કોર્ટનો ફરી ઇનકાર અને આજની સુનાવણી
22 મે, 2026ના રોજ સુપ્રીમ કોર્ટની એક અલગ બેન્ચે સહ-આરોપીઓમાંથી એકની અરજી પર સુનાવણી દરમિયાન છ મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. આ દરમિયાન કોર્ટે લાંબા સમયથી ચાલતી કસ્ટડી અંગેના અગાઉના એક ચુકાદાના અમલમાં અલગ-અલગ બેન્ચો વચ્ચે દેખીતી અસંગતતા (perceived divergence) હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને આ મૂળ કાયદાકીય પ્રશ્નને મોટી બેન્ચ સમક્ષ મોકલી આપ્યો હતો.
ઉમર ખાલિદ અને શરજિલ ઈમામે આ વિકાસને પોતાની પરિસ્થિતિમાં આવેલા નવા ફેરફાર તરીકે રજૂ કર્યો અને 13 જૂન, 2026ના રોજ ફરીથી જામીન અરજીઓ દાખલ કરી.
પરંતુ 4 જુલાઈ, 2026ના રોજ જસ્ટિસ સમીર બાજપાઈએ આ અરજીઓ સુનાવણીલાયક (maintainable) નથી તેમ કહીને ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2026ના પોતાના આદેશમાં ફરી અરજી કરવા માટે મૂકેલી શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાયલ કોર્ટ તે આદેશથી બંધાયેલી છે અને તેના વિરુદ્ધ જઈ શકે નહીં.
ત્યારબાદ ઉમર ખાલિદે આ નિર્ણયને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો. આ અપીલની 31 જુલાઈના રોજ જસ્ટિસ પ્રતિભા એમ. સિંઘ અને જસ્ટિસ વિકાસ મહાજનની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે દિલ્હી પોલીસને બે અઠવાડિયામાં પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
નિષ્કર્ષ
આઠ નિર્ણયો, ત્રણ અલગ-અલગ અદાલતો અને દરેક વખતે એક જ નિષ્કર્ષ- આ કેસ UAPA હેઠળ જામીન માટે નક્કી કરવામાં આવેલી કસોટી પાર કરતો નથી. છેલ્લા છ વર્ષના સમગ્ર કાયદાકીય સંઘર્ષમાં આ જ બાબત સતત જોવા મળે છે અને આ જ કારણ છે કે આજે, જ્યારે દિલ્હી હાઇકોર્ટ ઉમર ખાલિદની નવમી જામીન અરજી પર સુનાવણી કરી રહી છે, ત્યારે પણ તે જેલમાં જ છે.
હવે સમગ્ર કાયદાકીય પ્રક્રિયામાં ખરેખર માત્ર એક જ મહત્વનો પ્રશ્ન બાકી રહ્યો છે. તે એ નથી કે સરકાર પક્ષનો કેસ અત્યાર સુધી ટક્યો છે કે નહીં, કારણ કે અત્યાર સુધી દરેક અદાલતે પોતાના નિર્ણયોમાં એવો જ મત વ્યક્ત કર્યો છે કે પ્રાથમિક દૃષ્ટિએ સરકાર પક્ષનો કેસ ટકી રહ્યો છે.
હવે ચર્ચાનો મુદ્દો વધુ સંકુચિત કાયદાકીય પ્રશ્ન છે, જેને સુપ્રીમ કોર્ટે મોટી બેન્ચ સમક્ષ મોકલ્યો છે. પ્રશ્ન એ છે કે UAPAની કલમ 43D(5) હેઠળના કડક જામીન પ્રતિબંધ સામે કોઈ આરોપીએ વર્ષો સુધી જેલમાં વિતાવેલો સમય ક્યારેય પ્રાધાન્ય મેળવી શકે કે નહીં. જ્યારે પણ આ પ્રશ્નનો અંતિમ નિર્ણય આવશે ત્યારે તેની અસર માત્ર ઉમર ખાલિદના કેસ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ UAPA હેઠળ ચાલતા અન્ય અનેક કેસો પર પણ પડશે.


