જમ્મુ-કાશ્મીરના પહલગામમાં (Pahalgam) થયેલા આતંકવાદી હુમલાનો (Terror Attack) એક નવો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. પહલગામ ફરવા ગયેલી અમદાવાદની એક વ્યક્તિએ ઝીપલાઇન રાઇડ દરમિયાન પોતાના માટે આ વિડીયો બનાવ્યો હતો, પરંતુ તેમાં હુમલાનાં અમુક લાઇવ દ્રશ્યો કેદ થઈ ગયાં હતાં. વિડીયોથી રાઇડ ઑપરેટર પણ શંકાના દાયરામાં આવી ગયો છે.
પત્રકાર સાગર પટોળીયાએ સોમવારે (28 એપ્રિલ) એક્સ પર આ 52 સેકન્ડનો વિડીયો અપલોડ કર્યો છે. અમદાવાદના પાલડીના ઋષિ ભટ્ટના મોબાઈલમાં આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો. ભટ્ટ તેમના પરિવાર સાથે કાશ્મીરના પહલગામ ફરવા ગયા હતા. હુમલો થયો તે સમયે તેઓ ત્યાં જ હતા અને ઝીપલાઇન પર રાઇડ કરી રહ્યા હતા ત્યારે આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો.
પહલગામ હુમલાનો વધુ એક વિડીયો સામે આવ્યો!
— Sagar Patoliya (@kathiyawadiii) April 28, 2025
અમદાવાદના પાલડીમાં રહેતા ઋષિ ભટ્ટના કેમેરામાં કેદ થયા પહલગામ હુમલાના ભયાનક દ્રશ્યો!! #PahalgamTerroristAttack pic.twitter.com/sJ7dQG2qKG
જોકે વિડીયો પરથી લાગી રહ્યું છે કે તેમને તે સમયે ખબર જ પડી ન હતી કે સ્થળ પર આતંકવાદીઓ ઘૂસી આવ્યા છે અને આડેધડ ગોળીબાર કરી રહ્યા છે. વિડીયોમાં જોકે ગોળીઓના અવાજ સંભળાય રહ્યા છે. ધ્યાનથી જોવા પર અમુક લોકો નીચે ભાગદોડ કરતા પણ જોવા મળે છે અને અમુક લોકો ગોળી વાગતાં પડી પણ જાય છે. આતંકવાદીઓના ગોળીબાર વચ્ચે અફરાતફરીનો આ માહોલ ઋષિ ભટ્ટના કેમેરામાં કેદ થઈ ગયો હતો.
બીજી તરફ આ વિડીયોથી રાઇડ ઑપરેટર પર પણ શંકા ઉપજી રહી છે. કારણ એ છે કે જ્યારે પહેલી વખત કેમેરાની પાછળ થોડે દૂરથી ગોળીઓનો અવાજ સંભળાય છે ત્યારે તે ‘અલ્લાહુ અકબર’ બોલે છે. ત્યારબાદ પણ તે લગભગ 2 વખત નારો બોલે છે. આ દરમિયાન ગોળીઓ ચાલતી રહે છે અને તે ગ્રાઉન્ડ પર જોતો પણ દેખાય છે.
એક તરફ ગોળીઓ વાગે છે અને ત્યારબાદ તરત તે આ નારા બોલવાનું ચાલુ કરી દે છે. ત્યારપછી તે ઋષિ ભટ્ટને રાઇડ માટે આગળ મોકલી દે છે. લોકો પૂછી રહ્યા છે કે આખરે તેના નારા લગાવવાનું શું કારણ હતું અને ગોળીઓ વાગતી હતી તે તેણે જોયું હતું છતાં પણ શા માટે પર્યટકને આગળ મોકલ્યા હતા. બીજું, તેના ચહેરા પર ડરનો કે ઉચાટનો કોઈ ભાવ પણ જોવા મળતો નથી.
અગાઉ ક્યાંય ઑપરેટરે નારા લગાવ્યા ન હતા: ઋષિ
વિડીયો વાયરલ થયા બાદ ઋષિ ભટ્ટે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, તેમને શરૂઆતમાં કશું ખબર જ ન પડી પરંતુ થોડે સુધી ગયા પછી બે-ત્રણ જણાને પડતા જોયા ત્યારે જાણ્યું કે હુમલો થયો છે અને ગોળીઓ ચાલી રહી છે. “હું પહોંચ્યો ત્યારે મારી પત્ની અને દીકરો ત્યાં જ હતાં, તેઓ ડરી ગયાં હતાં. આતંકવાદીઓએ તેમની આંખ સામે બે પુરુષોને ધર્મ પૂછીને ગોળી મારી દીધી હતી. તે એ જ લોકો હતા જે મારા પહેલાં ઝીપલાઇનથી ત્યાં ગયા હતા.”
"Pahalgam Attack: Ahmedabad’s Rishi Bhatt’s Video Captures Suspicious Figure, Recounts Narrow Escape! | TV9Gujarati#PahalgamAttack #RishiBhatt #TerrorEyewitness #AhmedabadWitness #ZiplineVideo #KashmirTerror #IndiaSecurity #Gujarat #TV9Gujarati pic.twitter.com/LW2VVLUSbe
— Tv9 Gujarati (@tv9gujarati) April 28, 2025
રાઇડર વિશે તેઓ કહે છે કે, આ જ વ્યક્તિએ મારી આગળ બે પરિવારોને રાઇડ કરાવી હતી. ત્યાં સુધી એ માણસ કશું બોલ્યો ન હતો. જ્યારે હું જઈ રહ્યો છું ત્યારે જ એ વખત ત્રણ વખત અલ્લાહુ અકબર બોલે છે. મને આશંકા છે કે તે પણ એ લોકો (આતંકવાદીઓ) સાથે સંકળાયેલો હોય શકે.
તેમણે જણાવ્યું કે, “પાછળ પગથિયાં પર બેઠો-બેઠો એક માણસ વાંચી રહ્યો હતો. અમને ત્યારે લાગ્યું કે કશુંક વાંચતો હશે, પણ પછીથી પ્રશ્ન થયો કે આ ઘટનાઓ મારી વખતે જ કેમ બની. આગળ મારી પત્ની અને દીકરો ઝીપલાઈન ગયાં ત્યારે એ કંઈ બોલ્યો ન હતો.” તેમણે એમ પણ કહ્યું કે, વાસ્તવમાં માણસ પહેલાં અલ્લાહુ અકબર બોલ્યો હતો અને ગોળીબાર પછી થયો હતો.