નર્મદા મૈયાની ઉત્તરવાહીની પરિક્રમા (Narmada Parikrama) છેલ્લા પડાવમાં પહોંચી ચૂકી છે. હજારો શ્રદ્ધાળુઓએ નર્મદાની પરિક્રમા પૂર્ણ કરી છે અને સુવિધાઓની પ્રશંસા પણ કરી છે. અંતિમ દિવસોમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) પણ નર્મદાની પવિત્ર પરિક્રમા કરી છે. તેઓ નર્મદા જિલ્લાના ભાજપ કાર્યકર્તાઓ સાથે પરિક્રમા માટે નીકળ્યા હતા. રામપુરા ખાતે રણછોડજીના દર્શન કર્યા બાદ તેમણે પરિક્રમાની શરૂઆત કરી હતી. દરમિયાન તેમણે મીડિયા સાથે વાત પણ કરી હતી અને સુવિધા વધારવા માટેની તૈયારી પણ દર્શાવી હતી.
તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, “પરિક્રમાવાસીઓને કોઈ તકલીફ પડી હોય તો હું માફી માંગુ છું. આવતા વર્ષે વધુ સારી સુવિધાઓ આપવામાં આવશે. મા નર્મદા સૌનો દુઃખ દૂર કરનારી છે. સ્થાનિક લોકોની સેવાભાવનાની પણ હું પ્રશંસા કરું છું. આવતા વર્ષે આ પરિક્રમામાં જે પણ નવી જરૂરિયાત હશે તેના માટે હું રિવ્યુ બેઠક કૃષ અને જરૂરિયાતોને પૂર્ણ પણ કરીશું. ફરી એક વખત પરિક્રમાવાસીઓને કોઈ તકલીફ પડી હોય તો હું માફી માંગુ છું.”
‘સનાતની તરીકે આવ્યો છું પરિક્રમામાં’- સંઘવી
હર્ષ સંઘવીને પત્રકારોએ મહારાષ્ટ્રના સંજય રાઉતને લઈને સવાલ પૂછતાં તેમણે કહ્યું હતું કે, “હું એક સનાતની છું અને પરિક્રમા કરવા આવ્યો છું. એટલે હું કોઈ રાજકીય બાબત પર ચર્ચા નહીં કરું.” વધુમાં તેમણે જમ્મુ-કાશ્મીરની ઘટના વિશે વાત કરતા સંવેદના પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક આપદામાં ગુજરાતી પરિવારો પણ ફસાયા હતા. તેમણે કહ્યું કે, “અમે તે 50 ગુજરાતી લોકોને ત્યાંથી બહાર લાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છીએ. જમ્મુ-કાશ્મીરના ગૃહ વિભાગ સાથે ગુજરાત ગૃહ વિભાગે સંકલન કરીને ગુજરાતના પ્રવાસીઓને ત્યાં વ્યવસ્થા મળે એ માટે વાતચીત કરી છે.”
નોંધનીય છે કે, મા નર્મદાની પરિક્રમા 29 માર્ચના રોજ શરૂ થઈ હતી અને 27 એપ્રિલ સુધી તે ચાલવાની છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પવિત્ર યાત્રામાં જોડાઈ રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે. નાંદોદ તાલુકાના રામપુરા ઘાટથી રણછોડરાયના મંદિર અને તિલકવાડાથી શરૂ થતી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા પંચકોશી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. સરકાર તરફથી ખૂબ ઉમદા સુવિધાઓ આપવામાં આવી હતી અને આવતા વર્ષે વધુ સારી સુવિધા આપવામાં આવશે તેવી બાહેંધરી પણ આપવામાં આવી છે.