Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતેમને જીવવાનો અધિકાર ન હતો... કારણકે તેઓ હિંદુ હતાં: નવજાત પુત્રીનો ચહેરો...

    તેમને જીવવાનો અધિકાર ન હતો… કારણકે તેઓ હિંદુ હતાં: નવજાત પુત્રીનો ચહેરો પણ જોઈ શક્યા ન હતા કિશન ભરવાડ, એક પોસ્ટના કારણે ઇસ્લામીઓએ કરી નાંખી હતી હત્યા

    ધંધુકાના હિંદુ યુવક કિશન ભરવાડની માત્ર એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ઇસ્લામીઓએ હત્યા કરી નાંખી હતી.

    - Advertisement -

    25 જાન્યુઆરી 2022. 27 વર્ષીય હિંદુ યુવક કિશન ભરવાડની માત્ર એક હિંદુ હોવાના કારણે ઇસ્લામીઓએ હત્યા કરી નાંખી હતી. કિશન ભરવાડ અમદાવાદના ધંધુકાનો નિવાસી હતો. તે બાઈક પર મોઢવાડા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે સવારની પહોરમાં તેને ગોળી મારીને મારી નાંખવામાં આવ્યો. ઇસ્લામીઓ દ્વારા થયેલી અન્ય હત્યાઓની જેમ આ હત્યા પાછળનું કારણ પણ એક જ હતું- મુસ્લિમો માનતા હતા કે તેણે તેમની મજહબી ભાવનાઓને ઠેસ પહોંચાડીને ‘ઇશનિંદા’ કરી હતી. 

    કિશન ભરવાડ ફોટોકૉપીની દુકાન ચલાવી, ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતો, સાદું જીવન જીવતો એક સામાન્ય માણસ હતો. તેને ગાયો પસંદ હતી. જાન્યુઆરી 2022માં તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી હતી. શોર્ટ વિડીયો ફોર્મેટની આ ફાઈલમાં ઈસુ ખ્રિસ્તને ‘ઈશ્વરના સંતાન’ અને મોહમ્મદ પયગંબરને ‘ઈશ્વરના સંદેશવાહક’ ગણાવવામાં આવ્યા હતા, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને સ્વયં ઈશ્વર દર્શાવવામાં આવ્યા હતા. શૅર કર્યાના માત્ર અડધા કલાકમાં જ કિશનને ધમકીઓ મળવાની શરૂ થઇ ગઈ હતી, કારણ કે તેણે પોતાની ધાર્મિક માન્યતાઓ પ્રસારિત કરી હતી અને જે ઇસ્લામીઓને પસંદ ન હતી. 

    લગભગ એક હજાર મુસ્લિમોના ટોળાએ સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચીને કિશન ભરવાડ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી અને ફરિયાદ નોંધાયા છતાં ટોળાએ કિશન ભરવાડને માર માર્યો હતો. કિશનને માર મારવામાં કેટલાક પોલીસકર્મીઓ પણ સામેલ હતા. કિશને પોલીસ મથકે જઈને હાજરી પણ નોંધાવી હતી અને તેણે લેખિતમાં અને વિડીયો ફોર્મેટમાં પણ માફી માંગી લીધી હતી. 

    - Advertisement -

    કિશન ભરવાડને હિરાસતમાં મોકલવામાં આવ્યો તેના બીજા જ દિવસે તેની પત્નીએ બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ કિશન તેની નવી જન્મેલી પુત્રીનો ચહેરો જુએ તે પહેલાં જ તેની હત્યા કરી નાંખવામાં આવી. ઘટનાને નજરે જોનારાઓનું કહેવું હતું કે કિશન પર ગોળીબાર કરનારાઓ મોઢવાડાથી તેનો પીછો કરી રહ્યા હતા. તેમણે એક વખત ગોળીબાર કર્યો પરંતુ ચૂકી ગયા, થોડા આગળ જઈને બીજી ગોળી મારી અને કિશન સ્થળ પર જ મૃત્યુ પામ્યો. 

    કિશનની હત્યા બાદ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, હિંદુ સંગઠનોએ હસ્તક્ષેપ કરી કડક પોલીસ તપાસની ખાતરી આપ્યા બાદ પરિવારે કિશનની અંતિમવિધિ કરી હતી. કડક પોલીસ સુરક્ષા વચ્ચે કિશનની સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. 

    ‘ગુસ્તાખ-એ-રસૂલ કી એક હી સજા, સર તન સે જુદા’ના જેહાદી નારાને અનુસરીને કિશનની હત્યા કરી નાંખવામાં આવી હતી, અને તેનું કારણ એ હતું કે તેણે કથિત રીતે મોહમ્મદ પયગંબર વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જેને મુસ્લિમો ‘ઇશનિંદા’ ગણે છે. કિશનની હત્યા બાદ રાજ્યમાં પગપેસારો કરતા જેહાદી એજન્ડાના વિરોધમાં અને હિંદુ યુવાનને ન્યાય અપાવવાની માંગ સાથે ગુજરાતના અમદાવાદ, ધંધુકા, વડોદરા જેવા અનેક શહેરોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા

    27 જાન્યુઆરી 2022ના રોજ અમદાવાદ પોલીસે કિશન ભરવાડની હત્યાના કેસમાં બે ઈસમોની ધરપકડ કરી હતી. જે બાદ કેસમાં બે મૌલવીઓનાં નામ પણ ખૂલ્યાં હતાં. તપાસમાં જાણવા મળ્યું હતું કે હત્યા બે મૌલવીઓના કહેવા પર કરવામાં આવી હતી. જેમાંથી એક અમદાવાદનો હતો અને એક મુંબઇનો. અમદાવાદના જમાલપુર વિસ્તારના એક મૌલવીએ હત્યારાઓને હથિયાર પૂરાં પાડ્યાં હતાં, જ્યારે મુંબઈના મૌલવીએ હત્યા માટે દોરવણી આપી હતી. 29 જાન્યુઆરીએ હત્યા કેસમાં નવો વળાંક આવ્યો જ્યારે પાકિસ્તાનની એક રાજકીય પાર્ટીની લિંક પણ સામે આવી હતી. 

    કિશન ભરવાડ હત્યા કેસમાં પાકિસ્તાન સ્થિત સંગઠન તેહરીક-એ-નામુસ-એ-રિસાલતનું નામ પણ સામે આવ્યું હતું. આ સંગઠન અગાઉ તહેરીક-એ-ફરોખ-ઈ-ઇસ્લામ નામથી જાણીતું હતું. આ ઇસ્લામિક સંગઠન કટ્ટર ઇસ્લામિક વિચારધારા ધરાવતી પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહેરીક-એ-લબ્બૈક સાથે સબંધ ધરાવે છે. જેનો નેતા ખાદીમ રીઝવી એક પાકિસ્તાનો ઇસ્લામિસ્ટ છે. આ સંગઠન કથિત રીતે ગુજરાતમાં પાકિસ્તાનના જેહાદના એજન્ડાને ગુજરાતમાં સેટ કરવાના પ્રયત્નો કરી રહ્યું હતું અને કિશન ભરવાડની હત્યા તેનો જ એક ભાગ હતો. 

    કિશન ભરવાડ હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યા બાદ પોલીસે હિંદુ વ્યક્તિની હત્યા બદલ છ મૌલવીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા મૌલવી અયૂબની ધરપકડ બાદ પૂછપરછમાં સામે આવ્યું હતું કે કિશન ભરવાડની હત્યા પહેલાં જામનગરના અન્ય એક યુવકની ઇસ્લામ વિરુદ્ધ ‘ઇશનિંદા’ બદલ હત્યા કરવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારાઓને પાઠ ભણાવવા માટે એક આખું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હતું અને તે માટે હત્યાઓ પણ શરૂ થઇ ગઈ હતી. આ માટે રાજકોટના અઝીમ બસીર સમા નામના એક ઇસમે હથિયાર આપ્યાં હતાં. 

    કિશનની હત્યામાં વપરાયેલા પિસ્તોલ અને બાઈક ધંધુકાની સર મુબારક બુખારી દાદા દરગાહ નજીકથી મળી આવ્યા હતા. હત્યારાઓ શબ્બીર અને ઈમ્તિયાઝ પકડાઈ ગયા બાદ પોલીસે તેમની મદદથી દરગાહ પાછળથી બાઈક અને પિસ્તોલ મેળવી લીધી હતી. હત્યા બાદ સામે આવ્યું હતું કે શબ્બીરે કિશન પર ગોળીબાર કર્યો હતો, જ્યારે ઈમ્તિયાઝ ગાડી ચલાવતો હતો. 

    કિશન ભરવાડ હત્યા કેસની તપાસમાં ગુજરાત એટીએસને જાણવા મળ્યું હતું કે મૌલવી અયૂબ અને શબ્બીર અન્ય એક વ્યક્તિની હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા. આ બંનેએ મે 2021માં પોરબંદરમાં સાજન ઓડેદરાની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. જોકે, તેઓ સાજનને શોધી શક્યા ન હતા. સાજને ત્યારે પયગંબર મોહમ્મદ વિશે કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેના કારણે એફઆઈઆર પણ થઇ હતી અને તેણે 2 મહિના જેલમાં રહેવું પડ્યું હતું. 

    શબ્બીર અને ઇમ્તિયાઝે પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તેઓ મૌલવી કમર ગની ઉસ્માનીએ 2021માં સુરત આપેલા એક ભાષણથી હત્યા કરવા માટે પ્રેરાયા હતા. જે બાદ ગુજરાત એટીએસે કિશનની હત્યા મામલે દિલ્હીથી કમરગની ઉસ્માનીની ધરપકડ કરી લીધી હતી. સલામી તહેરીક-એ-ફરોખ-ઇસ્લામ સાથે જોડાયેલો હતો. ગત વર્ષે તે ત્રિપુરા રમખાણોના કેસમાં પણ પકડાયો હતો. શબ્બીરે પોલીસને જણાવ્યું હતું કે ઉસ્માનીએ તેને ઇશનિંદા વિરુદ્ધ હથિયાર ઉઠાવવા માટે કહ્યું હતું. ગુજરાત એટીએસે કિશનની હત્યા કેસમાં તેની ધરપકડ કરી લીધી તે પહેલાં મૌલાના કમર ગનીનો એક વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં તેણે મુસ્લિમોને કોઈ પણ જાતના ભય વગર મોહમ્મદ પયગંબરના સન્માનની રક્ષા કરવા માટે અપીલ કરી હતી.

    તપાસમાં સામે આવ્યું હતું કે ઉસ્માનીએ એક સોશિયલ મીડિયા ટીમ બનાવી હતી જેઓ સોશિયલ મીડિયા પર અમુક અકાઉન્ટ ચલાવતા હતા, જેનો મકસદ મુસ્લિમોને આ ઇસ્લામિક નેટવર્ક સાથે જોડવાનો હતો. આ એ જ યુવાનો હતા જેમનો ઉપયોગ પછીથી હિંદુઓની હત્યા માટે કરવામાં આવતો હતો. 

    તપાસ કરતી એજન્સીઓએ બાદમાં શોધી કાઢ્યું હતું કે આ જેહાદી નેટવર્કના હિટલિસ્ટમાં 26 લોકોનાં નામ સામેલ હતાં. જેમાં યતિ નરસિહાનંદ, જીતેન્દ્ર નારાયણ ત્યાગી ઉર્ફ વસીમ રીઝવી, બીએસ પટેલ, પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ, મહેન્દ્રપાલ આર્ય, રાહુલ આર્ય, રાધેશ્યામ આચાર્ય, સાજન ઓડેદરા, આરએસએન સિંહ, ઉપદેશ રાણા વગેરેનો સમાવેશ થતો હતો. આ તમામની પ્રોફાઈલ મૌલવી અયૂબના ફોનમાંથી મળી આવી હતી. 

    પકડાયેલા મૌલાના અયૂબે ‘જજબા-એ-શહાદત’ શીર્ષકથી લગભગ 1500 નકલ છાપી હતી અને જેનો ઉપયોગ ગુજરાતના મુસ્લિમ યુવાનોના બ્રેનવોશ કરવા માટે કરવામાં આવતો હતો. આ પુસ્તક મૌલવી અયૂબ તેના સંપર્કમાં આવતા તમામ લોકોને આપતો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે મૌલાના કમર ગની ગુજરાત પણ આવ્યો હતો અને સુરત, અમદાવાદ વડોદરામાં આવીને અનેક યુવાનોને મળ્યો હતો. 

    એટીએસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, પાકિસ્તાનના દાવત-એ-ઇસ્લામી સંગઠનની ગુજરાતમાં અમુક સ્થળોએ દાનપેટીઓ હતી, જેના થકી દાન ઉઘરાવવામાં આવતું હતું. જે પાકિસ્તાન અને ત્યાંથી દુબઇ મોકલવામાં આવતું હતું. જે રકમ હવાલા નેટવર્ક થકી ગુજરાત પરત આવતી હતી અને બ્રેનવોશિંગ અને જેહાદી પ્રવૃત્તિઓમાં વાપરવામાં આવતી હતી. અમદાવાદમાં જ આવી 2000 દાનપેટી હતી. દાનપેટી અંગે દાવો કરવામાં આવતો હતો કે આ દાન ઇસ્લામી સંસ્થા માટે વાપરવામાં આવતું હતું, પરંતુ વાસ્તવમાં તેનો ઉપયોગ મુસ્લિમ યુવાનોના બ્રેનવોશ કરવા માટે કરવામાં આવતો હતો. 

    કિશન ભરવાડ હત્યા કેસ બાદ હિંદુઓની સ્વતંત્રતા અને જીવન સામે જોખમ તરીકે સર્જાતી જેહાદી માનસિકતા વિશે અનેક તથ્યો સામે આવ્યાં હતાં. એ પણ સાબિત થવા માંડ્યું કે ઇસ્લામ કે પયગંબર મોહમ્મદ વિશે કંઈ પણ બોલવું એ પણ હત્યાની ધમકીઓ માટે પૂરતું છે. 

    ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ હદીસને ટાંકીને ટીવી ડિબેટમાં કરેલી ટિપ્પણીઓને પણ કથિત ઇશનિંદા તરીકે ગણી લેવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર નૂપુર શર્માનું સમર્થન કરતા લોકોને પણ ઇસ્લામીઓ દ્વારા મારી નાંખવામાં આવ્યા. ઉદયપુરમાં કન્હૈયાલાલ અને અમરાવતીમાં ઉમેશ કોલ્હેની હત્યા કરી નાંખવામાં આવી. ઇસ્લામીઓ દ્વારા કોઈ પણ વ્યક્તિ ઉપર ઇશનિંદાનો આરોપ મૂકવામાં આવ્યો હોય તેની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સમર્થન કરવું પણ જીવલેણ હુમલાને આમંત્રણ આપવા સમાન બની ગયું છે. કન્હૈયાલાલ જેવી હાલત કરવાની ધમકીઓ જાણે પછીથી સામાન્ય બાબત બની ગઈ. 

    એવું નથી કે આવું નૂપુર શર્માના કેસમાં જ પહેલીવાર જોવા મળ્યું તેમ નથી. તે પહેલાં પણ છોટાઉદેપુરમાં કિશન ભરવાડની હત્યાનો વિરોધ કરતા લોકો પર ઇસ્લામીઓના ટોળાએ હુમલો કરી દીધો હતો. ગુજરાતના ઘણા લોકોને પણ કિશન ભરવાડ જેવી હાલત કરવાની ધમકી આપવામાં આવી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં