Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુ દેવતાઓને ન માનવાના શપથ લેવડાવ્યા, ધર્મને ‘નર્ક’ ગણાવ્યો: દિલ્હીમાં હજારો હિંદુઓના...

    હિંદુ દેવતાઓને ન માનવાના શપથ લેવડાવ્યા, ધર્મને ‘નર્ક’ ગણાવ્યો: દિલ્હીમાં હજારો હિંદુઓના ધર્માંતરણ માટેનો કાર્યક્રમ યોજાયો, હાજર રહ્યા કેજરીવાલના મંત્રી; વિડીયો

    અરવિંદ કેજરીવાલ સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજેન્દ્રપણ ગૌતમ હિંદુઓના ધર્માંતરણ કાર્યક્રમમાં હાજર રહ્યા

    - Advertisement -

    દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજેન્દ્રપાલ ગૌતમ વિવાદમાં ફસાયા છે. તેઓ દિલ્હી ખાતે આયોજિત હિંદુઓના ધર્માંતરણ માટેના કાર્યક્રમમાં સ્ટેજ પર જોવા મળ્યા હતા, જેમાં હિંદુઓને તેમના દેવી-દેવતાઓને ઈશ્વર ન માનવા માટે અને તેમની પૂજા ન કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. 

    આ વિડીયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કાર્યક્રમમાં હજારો લોકો એકઠા થયેલા જોઈ શકાય છે. વિડીયોમાં સંભળાય છે કે મંચ પરથી એક વ્યક્તિ લોકોને શપથ લેવડાવે છે. જે કહે છે કે, “હું બ્રહ્મા-વિષ્ણુ અને મહેશને ક્યારેય ઈશ્વર નહીં માનીશ, અને ન તેમની પૂજા કરીશ. હું રામ અને કૃષ્ણને ઈશ્વરને નહીં માનીશ અને ન ક્યારેય તેમની પૂજા કરીશ. હું ગૌરી ગણપતિ વગેરે હિંદુ ધર્મના કોઈ દેવીદેવતાઓને નહીં માનીશ કે ન તેમની પૂજા કરીશ.”

    અન્ય એક વિડીયોમાં ‘પ્રતિજ્ઞા’ લેવડાવતાં કહેવામાં આવે છે કે, “હું શ્રાદ્ધ પક્ષ ક્યારેય નહીં કરીશ કે ન ક્યારેય પિંડ દાન કરીશ. હું બુદ્ધ ધર્મ વિરુદ્ધ ક્યારેય કોઈ વાત કરીશ નહીં. હું કોઈ પણ ક્રિયાક્રમ બ્રાહ્મણોના હાથોથી કરાવીશ નહીં.”

    - Advertisement -

    ત્યારબાદ શપથ લેવડાવનાર વ્યક્તિ આમ આદમી પાર્ટીના મંત્રીને તેમનામાંથી જ એક ગણાવીને અને બાબા સાહેબના સૈનિક ગણાવીને કહે છે કે, તેઓ હિંદુઓને બ્રાહ્મણ ધર્મરૂપી ‘નર્ક’માંથી બહાર આવી બૌદ્ધ ધર્મમાં સામેલ થવા માટે આમંત્રણ આપે છે. 

    કેજરીવાલ સરકારના મંત્રીએ પણ આ કાર્યક્રમ અંગે એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, ‘મિશન જય ભીમ’ના તત્વાધાનમાં 10 હજારથી વધુ બુદ્ધિજીવીઓએ તથાગત ગૌતમ બુદ્ધના ધમ્મમાં ઘરવાપસી કરીને જાતિવિહીન અને આભડછેટમુક્ત ભારત બનાવવાના શપથ લીધા.’

    એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હિંદુઓના મતો મેળવવા માટે તેમને ખુશ કરવામાં લાગી છે. એક સમયે ‘કોઈની મસ્જિદ તોડીને મારો રામ બિરાજમાન’ ન થઇ શકે તેમ કહેનાર અને કાશ્મીરી હિંદુઓના નરસંહાર પર બનેલી ફિલ્મની ભરી સભામાં મજાક ઉડાડનાર અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવીને મંદિરોમાં ફરી રહ્યા છે. 

    એક સમયે હાડોહાડ હિંદુ વિરોધ પર ઉતરી પડેલા અને કથામાં તાળીઓ પાડનારાઓને ‘હિજડા’ કહેનારા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ હવે સનાતની બનીને ફરી રહ્યા છે. પરંતુ બીજી તરફ, દિલ્હીમાં પાર્ટીના નેતાઓ આ પ્રકારની હિંદુવિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા જોવા મળે છે. 

    ભૂતકાળમાં અનેક વખત હિંદુઓનું, તેમની આસ્થાઓનું અને પરંપરાઓનું અપમાન કરી ચૂકેલી આમ આદમી પાર્ટી ચૂંટણી સમયે ભલે હિંદુત્વ અપનાવવાનો ડોળ કરતી હોય પરંતુ પાર્ટીના નેતાઓ તેમનું સાચું ચરિત્ર જણાવી જ દે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં