પાકિસ્તાન (Pakistan) માટે જાસૂસીના (Spying) ગંભીર આરોપસર હરિયાણાથી પકડાયેલી જ્યોતિ મલ્હોત્રાને (Jyoti Malhotra) લઈને અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. પાકિસ્તાની એજન્ટના સંપર્કથી લઈને તેની પાકિસ્તાનની યાત્રા સુધીના બધા તાર જોડવામાં આવી રહ્યા છે. તેવામાં હવે એ પણ જાણવા મળ્યું છે કે, જ્યોતિ મલ્હોત્રા ઑપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન પાકિસ્તાની એજન્ટ દાનિશના સંપર્કમાં હતી. વધુમાં તેણે દેશમાં લાગુ થયેલા બ્લેકઆઉટની (Blackout) સંવેદનશીલ માહિતી પણ પાકિસ્તાન સુધી પહોંચતી કરી હતી.
સૂત્રોને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, બ્લેકઆઉટ અંગેની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને આપ્યા સુધી જ્યોતિ પાકિસ્તાનના સંપર્કમાં હતી. હિસાર પોલીસ પ્રવક્તા વિકાસ કુમારના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન આરોપી મહિલાએ જણાવ્યું છે કે, તે નવેમ્બર 2023થી માર્ચ 2025 સુધી પાકિસ્તાની નાગરિક અને હાઈકમિશનના અધિકારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશના સંપર્કમાં હતી. ઑપરેશન સિંદૂર દરમિયાન પણ તેનો સંપર્ક થયો હોવાનું તેણે કબૂલ્યું છે.
જ્યોતિ મલ્હોત્રા પહલગામના આતંકી હુમલા પહેલાં પણ પાકિસ્તાની અધિકારીના સંપર્કમાં હોવાનું તેણે જણાવ્યું છે. વિકાસ કુમારે વધુમાં કહ્યું છે કે, આરોપી અન્ય પણ ઘણા પાકિસ્તાની યુટ્યુબર્સ અને સેલિબ્રિટીઓના સંપર્કમાં હતી. હાલ તેના ત્રણ મોબાઈલ અને લેપટોપ જપ્ત કરાયા છે અને ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. NIA અને IBએ પાકિસ્તાન અધિકારીઓ સાથેના તેના સંબંધોને લઈને પણ ગહન પૂછપરછ શરૂ કરી છે.
બેન્ક એકાઉન્ટની પણ થઈ રહી છે તપાસ
અહેવાલો અનુસાર, હિસારના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે, જ્યોતિ મલ્હોત્રાના બે બેન્ક ખાતાંની પણ તપાસ કરવામાં આવી રહી છે અને તેમાં ઘણી લેવડદેવડ પણ જોવા મળી છે. આ સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે, નાણાકીય ડેટાનું વિશ્લેષણ કરવામાં થોડો સમય લાગી શકે છે. આ ઉપરાંત અધિકારીઓ આરોપી મહિલાની આંતરરાષ્ટ્રીય યાત્રાઓ વિશે પણ તપાસ કરી રહ્યા છે.
નોંધનીય છે કે, બુધવારે (21 મે) જ્યોતિ મલ્હોત્રાને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. પોલીસ વધુ પૂછપરછ માટે હજુ પણ કેટલાક દિવસોની રિમાન્ડ મેળવવા માટેની માંગણી કરશે. 17 મેના રોજ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો અને દેશની સંવેદનશીલ માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડવાનો આરોપ છે.