Sunday, April 20, 2025
More
    હોમપેજદેશ‘રકમ જપ્ત કેમ ન થઈ? વિડીયો કેમ હટાવ્યો’: જસ્ટિસ વર્મા કેસની તપાસ...

    ‘રકમ જપ્ત કેમ ન થઈ? વિડીયો કેમ હટાવ્યો’: જસ્ટિસ વર્મા કેસની તપાસ કરતી પેનલના પોલીસ-ફાયર અધિકારીઓને સવાલ, જવાબમાં જણાવાયું FIR ન થઈ હોવાનું કારણ

    પ્રશ્નનો ઉત્તર આપતા અધિકારીઓએ કહ્યું હતું કે, પ્રથમ પ્રતિસાદ આપનારાના ફોનમાંથી સળગતી ચલણી નોટોનો વિડીયો ડિલીટ કરવા પાછળ તેમના વરિષ્ઠ અધિકારીઓના નિર્દેશો કારણભૂત હતા. અધિકારીઓને ટાંકીને કહેવાયું છે કે, વિડીયો કોઈ ખોટા હાથમાં ન જતા રહે તે માટે તેને ડિલીટ કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    14 માર્ચના રોજ દિલ્હી હાઇકોર્ટના (Delhi High Court) તત્કાલીન જજ (Judge) યશવંત વર્માના (Yashwant Varma) આવાસ પર આગ લાગ્યા બાદ મોટી સંખ્યામાં રોકડ મળી આવી હતી. હાલ જસ્ટિસ વર્મા કેસને લઈને ત્રણ ન્યાયાધીશોની પેનલ (Panel of Judges) તપાસ કરી રહી છે. તેવામાં હવે સમાચાર સામે આવ્યા છે કે, પેનલ સામે હાજર થવા દરમિયાન દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોડા, DCP દેવેશ મહેલા અને દિલ્હી ફાયર સર્વિસના ચીફ અતુલ ગર્ગે જજના ઘરેથી રોકડ રકમ મળી આવી હોવાની પુષ્ટિ કરી છે. વધુમાં પેનલે ત્રણેય અધિકારીઓને સવાલ પણ પૂછ્યા છે.

    પેનલે પ્રશ્ન પૂછ્યા છે કે, રોકડ રકમને જપ્ત કરવા માટે કોઈ કાર્યવાહી કેમ નહોતી કરવામાં આવી અને ફોનમાંથી વિડીયો શા માટે હટાવવામાં આવ્યો? માહિતી અનુસાર, આ પ્રશ્નનોના જવાબમાં અધિકારીઓએ કહ્યું હતું કે, આ મામલે કોઈ FIR નોંધાઈ નહોતી, તેથી રોકડ રકમ જપ્ત કરી શકાય તેમ નહોતી. જોકે, આગ લાગ્યાની ઘટના બાદ પોલીસકર્મીઓએ યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું હતું અને આ કેસને પોતાના વરિષ્ઠ અધિકારીઓ સુધી પહોંચાડ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસને 14 માર્ચની રાત્રે ઘટના વિશે જાણ કરવામાં આવી હતી.

    મીડિયામાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે, બીજા પ્રશ્નનો ઉત્તર આપતા અધિકારીઓએ કહ્યું હતું કે, ફર્સ્ટ રિસ્પોન્ડરના ફોનમાંથી સળગતી ચલણી નોટોનો વિડીયો ડિલીટ કરવા પાછળ તેમના વરિષ્ઠ અધિકારીઓના નિર્દેશો કારણભૂત હતા. અધિકારીઓને ટાંકીને કહેવાયું છે કે, વિડીયો કોઈ ખોટા હાથમાં ન જતા રહે તે માટે તેને ડિલીટ કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    યોગ્ય પ્રક્રિયાનું પાલન થયું છે- પોલીસ

    અહેવાલો અનુસાર, પેનલ સામે પોલીસ અધિકારીઓએ ‘યોગ્ય પ્રક્રિયા’નું પાલન કર્યું હોવાનું કહ્યું હતું. તે પ્રક્રિયા એ જ હતી કે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિરુદ્ધ ત્યાં સુધી FIR નોંધવામાં ન આવી શકે, જ્યાં સુધી સરકાર પહેલાં દેશના મુખ્ય ન્યાયાધીશની પરવાનગી ન લે. તેથી જુનિયર પોલીસ અધિકારીઓએ આ કેસને પોતાના વરિષ્ઠ અધિકારીઓ સુધી પહોંચાડ્યો હતો. જેમણે બાદમાં દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીકે ઉપાધ્યાયને આ કેસ વિશે માહિતી આપી હતી અને હાઇકોર્ટના ચીફ જજે CJI સંજીવ ખન્નાને આ વિશેની માહિતી પહોંચાડી હતી. આ સમગ્ર પ્રક્રિયાને પોલીસે યોગ્ય ગણાવી છે.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ હાલમાં એક કાર્યક્રમ દરમિયાન આ કેસનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, “તેમણે (અધિકારીઓએ) જપ્તીના ખાનાંમાં ‘નીલ’ જ લખ્યું છે. કારણ કે, અમે FIR નોંધી નથી શકતા તો પછી જપ્તી કઈ રીતે થઈ શકે? FIR માત્ર CJIની પરવાનગીથી જ નોંધી શકાય છે. હાલ તો અમે પેનલના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ.” જોકે, તમામ અધિકારીઓએ પેનલ સમક્ષ રોકડ રકમ મળી આવી હોવાની પુષ્ટિ કરી છે.

    શું છે કેસ?

    નોંધનીય છે કે, 14 માર્ચની રાત્રે જસ્ટિસ વર્માના નિવાસસ્થાને આગ લાગી હતી. જેની જાણ તેમના ખાનગી સચિવે પોલીસ અને ફાયર બ્રિગેડને કરી હતી. આગ નિવાસસ્થાનના એક સ્ટોરરૂમમાં લાગી હતી, જેનું કારણ પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. આગ ઓલવવા દરમિયાન ફાયર બ્રિગેડના કર્મચારીઓને અર્ધ-બળેલી રોકડની થેલીઓ મળી હતી. આ ઘટનાનો વિડીયો પણ રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જે બાદમાં ડિલીટ કરવામાં આવ્યો છે.

    જોકે, જસ્ટિસ વર્માએ આ આરોપોને નકારી કાઢ્યા હતા અને દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડીકે ઉપાધ્યાયને આપેલા જવાબમાં જણાવ્યું હતું કે, “અમારા નિવાસસ્થાને કોઈ રોકડ મળી નથી. આગ લાગી ત્યારે હું અને મારી પત્ની મધ્ય પ્રદેશમાં હતા. સ્ટોરરૂમ, જ્યાં આગ લાગી, તે ઘરનો ભાગ નથી અને તે સ્ટાફ માટે ખુલ્લો હતો.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “આગ ઓલવાયા બાદ જ્યારે સ્ટાફે સ્થળની તપાસ કરી ત્યારે કોઈ રોકડ કે નાણાં મળ્યા ન હતા. આ બધું મને બદનામ કરવાનું ષડયંત્ર છે.”

    સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ આ મામલે તપાસ માટે ત્રણ ન્યાયાધીશોની સમિતિ રચી છે, જેમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જી.એસ. સંધાવાલિયા અને કર્ણાટક હાઇકોર્ટના ન્યાયાધીશ અનુ શિવરામનનો સમાવેશ થાય છે. આ સમિતિએ પોલીસ, ફાયર બ્રિગેડના કર્મચારીઓ, ન્યાયમૂર્તિ વર્માના સ્ટાફ અને અન્ય સંબંધિત લોકોના નિવેદનો નોંધ્યા છે. સમિતિએ સ્ટોરરૂમને સીલ કરવાનો આદેશ પણ આપ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં