Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘વહેલી તકે નાઈજર છોડી દે ભારતીયો’: વિદેશ મંત્રાલયે જારી કરી એડવાઈઝરી, તખ્તાપલટ...

    ‘વહેલી તકે નાઈજર છોડી દે ભારતીયો’: વિદેશ મંત્રાલયે જારી કરી એડવાઈઝરી, તખ્તાપલટ બાદ આફ્રિકન દેશમાં અસ્થિરતાનો માહોલ

    સરકાર નાઈજરના ઘટનાક્રમ પર નજર રાખી રહી છે. હાલની સ્થિતિને જોતાં ભારતીય નાગરિકો જેમની હાજરીની ત્યાં જરૂર ન હોય તેમને તાત્કાલિક દેશ છોડી દેવા માટે સલાહ આપવામાં આવે છે- વિદેશ મંત્રાલય

    - Advertisement -

    ભારત સરકારના વિદેશ મંત્રાલયે શુક્રવારે (11 ઓગસ્ટ, 2023) એક એડવાઈઝરી જારી કરીને આફ્રિકન દેશ નાઈજરમાં રહેતા ભારતીયોને તાત્કાલિક દેશ છોડી દેવા માટે કહ્યું છે. 

    શુક્રવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં તેમણે જણાવ્યું કે, ભારત સરકાર નાઈજરમાં ઉદભવેલી સ્થિતિનું નજીકથી મોનિટરિંગ કરી રહી છે અને નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો તેઓ નિયામી (નાઈજરનું પાટનગર) જવા માટે યોજના બનાવી રહ્યા હોય તો માંડવાળ કરે. 

    વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, “સરકાર નાઈજરના ઘટનાક્રમ પર નજર રાખી રહી છે. હાલની સ્થિતિને જોતાં ભારતીય નાગરિકો જેમની હાજરીની ત્યાં જરૂર ન હોય તેમને તાત્કાલિક દેશ છોડી દેવા માટે સલાહ આપવામાં આવે છે. ધ્યાન રહે કે હાલ એરસ્પેસ બંધ છે. જેથી જમીન માર્ગે દેશ છોડતી વખતે પૂરતી સુરક્ષાની પૂરતી કાળજી રાખવામાં આવે. જેઓ આગામી દિવસોમાં નાઈજર જવા માટે વિચારી રહ્યા હોય તેમને પણ આ એડવાઈઝરી લાગુ પડે છે અને તેઓ પણ પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી જવાનું ટાળે.”

    - Advertisement -

    આ ઉપરાંત, વિદેશ મંત્રાલયે એક ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે તેમજ જણાવ્યું છે કે નાઈજરમાં રહેતા જે નાગરિકોએ ભારતીય દૂતાવાસમાં નોંધણી ન કરાવી હોય તેઓ વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરી લે. 

    નાઈજરમાં કેટલા ભારતીયો ફસાયેલા છે, તેમ પૂછવામાં આવતાં બાગચીએ જણાવ્યું કે, લગભગ 250 ભારતીયો ત્યાં છે અને ભારતીય દૂતાવાસ તેમની સાથે સંપર્કમાં છે. અમને જણાવવામાં આવ્યું છે કે તેઓ સુરક્ષિત છે. 

    નાઈજરમાં શું ચાલી રહ્યું છે? 

    નાઈજર પશ્ચિમી આફ્રિકાનો એક દેશ છે અને ફરતે અન્ય દેશોથી ઘેરાયેલો છે. વસ્તીની વાત કરવામાં આવે તો 2.5 કરોડની વસ્તી ધરાવે છે. મોટાભાગના લોકો ઇસ્લામ પાળે છે. બીજા ક્રમે ખ્રિસ્તી ધર્મ પાળનારા લોકોની સંખ્યા વધુ છે. 1960માં ફ્રાન્સ પાસેથી તેને સ્વતંત્રતા મળી હતી. 

    તાજેતરમાં નાઈજર વિશ્વભરમાં ચર્ચામાં આવ્યો જેનું કારણ હતું ત્યાં થયેલ તખ્તાપલટ. ગત 26 જુલાઈ, 2023ના રોજ ત્યાંના આર્મી જનરલે રાષ્ટ્રપતિ મોહંમદ બજૌમને હટાવીને પોતાને ‘નેશનલ કાઉન્સિલ ફોર ધ સેફગાર્ડ ઑફ ધ હોમલેન્ડ’નો વડો ઘોષિત કરી દીધો હતો. સ્વતંત્રતા બાદથી નાઈજરમાં આ પાંચમી વખત બળવો થયો છે. અહીં જેહાદી વિદ્રોહ સામાન્ય બાબત છે અને તેના કારણે અસ્થિરતા સર્જાતી રહે છે. 

    તાજેતરના તખ્તાપલટ બાદ દેશમાં અસ્થિરતા સર્જાઈ છે. બજારો ઉભરાઈ રહ્યાં છે કારણ કે લોકો જરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરવા માગે છે તો બીજી તરફ કેટલાક લોકોએ પલાયન શરૂ કરી દીધું છે. આ પરિસ્થિતિમાં આગળ શું થશે તેની ચિંતા વચ્ચે ભારત સરકારે નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં