Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેનેડા-યુએસ બોર્ડર પર વધુ એક ભારતીય પરિવારનો ભોગ લેવાયો: ગેરકાયદેસર ઘૂસણખોરી કરતી...

    કેનેડા-યુએસ બોર્ડર પર વધુ એક ભારતીય પરિવારનો ભોગ લેવાયો: ગેરકાયદેસર ઘૂસણખોરી કરતી વખતે બોટ પલટી ખાઈ ગઈ, મૃતકોમાં બે બાળકો પણ સામેલ

    મૃતકોમાં એક બાળક ત્રણ વર્ષથી નાની ઉંમરનો હતો અને તેની પાસે કેનેડિયન પાસપોર્ટ હતો. તો અન્ય બાળક પણ કેનેડાનો નાગરિક હોવાનું પોલીસને માલૂમ પડ્યું હતું.

    - Advertisement -

    એક ચોંકાવનારા કિસ્સામાં કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરનારા 8 લોકોના મોત થઈ ગયા છે. તેમનું મૃત્યુ સેન્ટ લૉરેન્સ નદી પાર કરતી વખતે બોટ પલટી ખાઈ જતાં ડૂબવાથી થયું હતું. હતભાગીઓમાં ભારતીય પરિવારના સભ્યો પણ સામેલ છે. અધિકારીઓએ શુક્રવારે આ ઘટનાની માહિતી આપતાં જણાવ્યું હતું કે મૃતકોમાં 2 બાળકોનો પણ સમાવેશ થાય છે.

    કેનેડા-અમેરિકા બોર્ડર પાસેની નદીમાંથી કેનેડા પોલીસે 6 મૃતદેહો બહાર કાઢ્યા હતા, જે રોમાનિયન અને ભારતીય મૂળના બે પરિવારો હોવાનું કહેવાય છે. મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ અને ટોક્સિકોલોજી ટેસ્ટનો આદેશ આપવામાં આવ્યો છે.

    પોલીસના જણાવ્યા મુજબ, પહેલી ડેડબોડી સ્થાનિક સમય મુજબ સાંજના 5 વાગ્યે મળી હતી. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ડેડબોડી યુએસ-કેનેડા બોર્ડરની વચોવચ એક મોહૉક ટેરિટરી અક્વેસાસ્નેમાં ત્સી સ્નેઈહનેમાં એક દલદલમાંથી મળી આવી હતી.

    - Advertisement -

    રિપોર્ટ મુજબ, જાન્યુઆરીથી અત્યારસુધીમાં લગભગ 80 લોકો મોહૉક ક્ષેત્રના માધ્યમથી ગેરકાયદેસર રીતે કેનેડા કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં પ્રવેશવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે. તેમાંથી મોટાભાગના ભારતીય અથવા રોમાનિયન મૂળના છે.

    પોલીસને ગુરુવારે છ મૃતદેહો મળ્યા હતા અને આ દુર્ઘટના બુધવારે રાત્રે થઈ હોય તેવું તેનું માનવું છે. બે મૃતદેહોને પોલીસ હેલિકોપ્ટરની મદદથી શોધવામાં આવ્યા હતા. પોલીસે આપેલા નિવેદન મુજબ, “પાણીમાંથી કુલ આઠ મૃતદેહો મળી આવ્યા છે. તમામ કેનેડાથી યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.”

    મૃતકોમાં એક બાળક ત્રણ વર્ષથી નાની ઉંમરનો હતો અને તેની પાસે કેનેડિયન પાસપોર્ટ હતો. તો અન્ય બાળક પણ કેનેડાનો નાગરિક હોવાનું પોલીસને માલૂમ પડ્યું હતું.

    કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ શોક વ્યક્ત કર્યો

    આ દુર્ઘટના પર પર પ્રતિક્રિયા આપતાં કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, “આ બહુ દુઃખદ પરિસ્થિતિ છે. આપણે એ સમજવાની જરૂર છે કે શું થયું, કેવી રીતે થયું અને ફરી આવી ઘટના ન ઘટે એ માટે શું કરી શકીએ છીએ.”

    અમેરિકાના પ્રમુખ જો બાઇડન અને જસ્ટિન ટ્રુડો ગયા અઠવાડિયે ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસિંગ કરીને કેનેડા આવતાં નાગરિકોને અટકાવવા માટે સંમત થયા હતા.

    ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે કેનેડા-યુએસ બોર્ડર પર કલોલના ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં જતી વખતે થીજી જવાના કારણે મોત થયા હતા. આ મામલે ઘૂસણખોરી કરાવનારા એજન્ટો પર સકંજો કસાયો હતો.

    બોગસ એજન્ટોની જાળમાં ફસાયો હતો તાલાલાનો યુવાન

    તાજેતરમાં જ ગીર-સોમનાથ જિલ્લાના તાલાલાના એક યુવાન સાથે થાઈલેન્ડમાં નોકરી અપાવવાના બહાને ફ્રોડ થયો હતો. નીરવ બામરોટીયા એજન્ટ મારફતે દુબઈ પહોંચ્યો હતો. ત્રણ મહિના ત્યાં નોકરી કર્યા બાદ નવા એજન્ટે તેને થાઈલેન્ડમાં જોબ આપવાની બાંહેધરી આપી હતી. પરંતુ તેને થાઈલેન્ડને બદલે મ્યાનમાર મોકલવામાં આવ્યો હતો અને ઓરડામાં પૂરી દેવામાં આવ્યો હતો.

    એક વખત મોબાઈલ ફોનથી તેણે પોતાના પિતાને સમગ્ર ઘટના કહી અને પોલીસ તંત્ર તેમજ સરકારની મદદથી તે ભારત પરત આવી શક્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં