Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘એક તરફ અઝાન ચાલતી હતી અને બીજી બાજુ આ લોકો ઘોંઘાટ કરી...

    ‘એક તરફ અઝાન ચાલતી હતી અને બીજી બાજુ આ લોકો ઘોંઘાટ કરી રહ્યા હતા’: ઇમરાન ખાન પર ગોળી ચલાવનાર ઈસમની કબૂલાત, કહ્યું- તેમને મારવા જ આવ્યો હતો

    ઇમરાન ખાન લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા અને મારાથી એ જોવાયું નહીં એટલે ગોળી મારી દીધી: હુમલાખોર ફૈઝલ બટ

    - Advertisement -

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને એક રેલી દરમિયાન પગમાં ગોળી મારવામાં આવ્યા બાદ હુમલાખોર પકડાઈ ગયો હતો. જેની ઓળખ પાકિસ્તાનના પંજાબના રહેવાસી ફૈઝલ બટ તરીકે થઇ છે. તેણે કહ્યું કે, ઇમરાન ખાન લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. એમ પણ કહ્યું કે, તેનો ટાર્ગેટ ઇમરાન ખાન જ હતા. 

    પકડાઈ ગયા બાદ કબૂલાત કરતો એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં તે કહેતો જોવા મળે છે કે, “ઇમરાન ખાન લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા અને મારાથી એ જોવાયું નહીં એટલે ગોળી મારી દીધી. મારવાના પ્રયત્નો કર્યા, માત્રને માત્ર ઇમરાન ખાનને જ મારવા માટે આવ્યો હતો, બીજા કોઈને નહીં.”

    આગળ તે કહે છે કે, “એક તરફ અઝાન થઇ રહી છે અને બીજી તરફ તેઓ ડેક લગાવીને ઘોંઘાટ કરી રહ્યા હતા, મને એ યોગ્ય નહીં લાગ્યું. જે દિવસથી લાહોરથી રેલી નીકળી હતી તે દિવસથી મેં હુમલો કરવાનું વિચારી રાખ્યું હતું કે મારે આને છોડવો નથી.”

    - Advertisement -

    તેની સાથે કોણ હતું તેમ પૂછવામાં આવતાં તેણે કહ્યું કે, “મારી પાછળ કોઈ નથી કે મારી સાથે કોઈ ન હતું. હું એકલો જ આવ્યો હતો. મેં મારા મામાની દુકાને મોટરસાયકલ પાર્ક કરી હતી, તેમની મોટરસાયકલની દુકાન છે.”

    ઉલ્લેખનીય છે કે પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને લાહોરથી ઇસ્લામાબાદ સુધી એક રેલીનું આયોજન કર્યું છે. જે આજે વઝીરાબાદથી પસાર થઇ રહી હતી ત્યારે સાંજના અરસામાં એક ઈસમે આવીને ગોળીબાર કરી દીધો હતો. જેના કારણે ઇમરાન ખાનને પગમાં ગોળી વાગી હતી. આ ઉપરાંત, પણ તેમની આસપાસના અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

    ઈજાગ્રસ્ત થયા બાદ ઇમરાન ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, તેમનું ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે અને પગમાંથી ગોળી કાઢવામાં આવી રહી છે.  જોકે, તેમના જીવનને કોઈ જોખમ નથી તેવું જણાવવામાં આવ્યું છે. 

    એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે ઇમરાન ખાન આ ઇજા બાદ ત્રણ અઠવાડિયા સુધી ચાલી શકશે નહીં અને તેમણે આરામ કરવો પડશે. બીજી તરફ, ઇમરાન ખાને આ હુમલા બાદ પાકિસ્તાનના મંત્રી રાણા સનાઉલ્લાહ ખાનને જવાબદાર ઠેરવ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં