સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો (Swaminarayana Sant) હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરવાને લઈને હંમેશા વિવાદમાં હોય છે. ત્યારે હવે અન્ય એક સંતે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેના વિરોધમાં દેવભૂમિ દ્વારકામાં (Dwarka) ભારે વિરોધ પ્રદર્શન થયું હતું. દ્વારકાધીશ જગત મંદિરના પૂજારીઓ, સમગ્ર ગૂગળી બ્રાહ્મણ સમુદાય અને વિવિધ હિંદુ સંગઠનોએ એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. હિંદુ સંગઠનોએ સંતને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેમણે ભગવાન દ્વારકાધીશના અસ્તિત્વ પર પ્રશ્નો ઉભા કર્યા હતા.
હિંદુ સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને માફી માંગવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. હિંદુ સંગઠનોએ 25 માર્ચે દ્વારકાના મુખ્ય માર્ગો પર વિશાળ રેલી કાઢી હતી. આ રેલી દ્વારકાધીશ મંદિરથી એસડીએમ કચેરી સુધી યોજાઈ હતી. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આહ્વાન કર્યું હતું કે હિંદુ સમાજને ન્યાય આપવામાં આવે.
સોશિયલ મીડિયામાં પણ અનેક હિંદુ સંતો મહંતો આગેવાનો તથા સ્થાનિકોએ આ કથિત નિવેદન પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો. આ બાબતે 24 માર્ચે બ્રહ્મપુરીમાં હિંદુ સંગઠનોની એક મીટીંગ યોજાઈ હતી જેમાં આવા વિવાદિત નિવેદનો આપતા સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ હિંદુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર લખાણ ધરાવતા પુસ્તકોનો નાશ કરવાની માંગ પણ કરવામાં આવી છે.
આ માંગને સમગ્ર હિંદુ સમાજે ટેકો આપ્યો છે. તથા વિરોધ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં ભૂદેવો, બ્રહ્મ સમાજ, આહિર સેના, હિંદુ સેના સહિતના સંગઠનોએ ભાગ લીધો હતો. આ સંતે ગૂગળી બ્રાહ્મણ સમાજ અંગે પણ અભદ્ર ટિપ્પણી કરી હતી. ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિના યુવા ટીમે સ્વામિનારાયણ સંપ્રદાયના જે લોકોએ આવી અભદ્ર ટિપ્પણી કરી છે તેમને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.
હિંદુ સમાજે માંગ કરી છે કે જે લોકોએ આવી ટિપ્પણી કરી છે તે 48 કલાકમાં દ્વારકા દ્વારકાધીશના શરણે આવી પોતાના નિવેદનો પરત લે અને હવે પછીના સમયમાં ક્યારેય પણ હિંદુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી નહીં કરે તેવો વિશ્વાસ આપે. નહીંતર ગૂગળી બ્રાહ્મણ યુવા ટીમ વડતાલ પહોંચશે અને ત્યાં જઈ અભદ્ર ટિપ્પણી કરનાર સંતોને લલકારવામાં આવશે.
શું હતો સમગ્ર મામલો
‘શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરૂશ્રી ગોપાળાનંદજી સ્વામીની વાતો’ નામના પુસ્તકની વાર્તા નંબર 33માં એવી ટિપ્પણી કરવામાં આવી છે કે ‘દ્વારકામાં ભગવાન કયાંથી હશે? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ’. આ ઉપરાંત ગૂગળી બ્રાહ્મણ સમાજ અંગે પણ અભદ્ર ટિપ્પણી કરી હતી. ત્યારે સમાજે આ સ્વામી માફી માંગે એવી માંગ કરી છે.


