Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજ્ઞાનવાપી કેસ: શિવલિંગના કાર્બન ડેટિંગની માંગ કરતી અરજી કોર્ટે ફગાવી, કહ્યું- તેનાથી...

    જ્ઞાનવાપી કેસ: શિવલિંગના કાર્બન ડેટિંગની માંગ કરતી અરજી કોર્ટે ફગાવી, કહ્યું- તેનાથી નુકસાન પહોંચી શકે તેમ છે, સુપ્રીમ કોર્ટ જશે હિંદુ પક્ષ

    કોર્ટે સુપ્રીમ કોર્ટનો મે મહિનાનો એક આદેશ ટાંકીને કહ્યું હતું કે, શિવલિંગના કાર્બન ડેટિંગ કે અન્ય કોઈ પણ તપાસ કરવાનો આદેશ આપવાથી સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થશે.

    - Advertisement -

    બહુચર્ચિત શૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષની શિવલિંગના કાર્બન ડેટિંગની માંગ કરતી અરજી ઉપર શુક્રવારે (13 ઓક્ટોબર 2022) વારાણસીની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે, કોર્ટે આ અરજી ફગાવી દીધી છે અને કહ્યું છે કે તેનાથી શિવલિંગને ક્ષતિ પહોંચી શકે છે અને લોકોની ધાર્મિક ભાવનાઓને પણ ઠેસ પહોંચી શકે તેમ છે. 

    કોર્ટે સુપ્રીમ કોર્ટનો મે મહિનાનો એક આદેશ ટાંકીને કહ્યું હતું કે, શિવલિંગના કાર્બન ડેટિંગ કે અન્ય કોઈ પણ તપાસ કરવાનો આદેશ આપવાથી સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થશે તેમજ તેનાથી સામાન્ય લોકોની ધાર્મિક ભાવનાઓ પણ આહત થઇ શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે મે મહિનામાં મામલાની સુનાવણી કરી સરવે દરમિયાન મળી આવેલા શિવલિંગની સુરક્ષા કરવાનો આદેશ કર્યો હતો. 

    આ મામલે હિંદુ પક્ષ તરફથી વકીલ વિષ્ણુશંકર જૈને કહ્યું છે કે તેઓ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. તેમણે કહ્યું, “કોર્ટે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે એ જગ્યાને સીલ કરી છે એટલે અમે કોઈ આદેશ આપી શકતા નથી. અમે આ આદેશ સામે સુપ્રીમ કોર્ટ જઈશું.

    - Advertisement -

    બીજી તરફ, આ મામલે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલ જવાબમાં હિંદુ પક્ષની શિવલિંગના કાર્બન ડેટિંગની માંગ કરતી અરજી પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. અંજુમન ઇંતેજામિયા મસ્જિદ સમિતિએ કોર્ટને કહ્યું કે, આ સંરચના ‘ફુવારો’ છે. જે દલીલ હિંદુ પક્ષે ફગાવી દીધી છે અને કહ્યું છે કે, કોર્ટ કમિશનરની હાજરીમાં કરવામાં આવેલ સરવેમાં એ જગ્યાએ મળેલ રચના શિવલિંગ છે, જે હિંદુઓ માટે પૂજનીય છે અને એટલું જ નહીં પરંતુ પ્રાચીન કાળથી ત્યાં સ્થિત છે. 

    ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી કેસમાં સરવે દરમિયાન વિવાદિત માળખા જ્ઞાનવાપીના વઝૂખાનામાંથી મળી આવેલ શિવલિંગની ઉંમર, લંબાઈ વગેરે જાણવા માટે કાર્બન ડેટિંગ કે અન્ય વૈજ્ઞાનિક પદ્ધતિના આધારે તપાસ કરવામાં આવે તેવી માંગ હિંદુ પક્ષ તરફથી ઉઠાવવામાં આવી હતી. જોકે, અરજદાર પાંચ મહિલાઓ પૈકી ચાર મહિલાઓએ તપાસની માંગ કરી, જ્યારે એક મહિલા રાખી સિંહે વાંધો ઉઠાવ્યો હતો. તેમનું માનવું હતું કે, આમ કરવાથી શિવલિંગ ખંડિત થઇ શકે તેમ છે. 

    આ મામલે ગત 7 ઓક્ટોબરના રોજ પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે હિંદુ પક્ષ પાસે અમુક સ્પષ્ટીકરણ માંગ્યાં હતાં, જેનો જવાબ પણ આપવામાં આવ્યો હતો. જોકે, મુસ્લિમ પક્ષે અરજીનો વિરોધ કર્યો હતો અને જવાબ દાખલ કરવા વધુ સમય માંગ્યો હતો. ત્યારબાદ કોર્ટે મામલાની સુનાવણી 13મી સુધી ટાળી દીધી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં