Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજ્ઞાનવાપી પરિસરના ASI સરવે પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, મુસ્લિમ પક્ષને અલાહાબાદ હાઇકોર્ટ...

    જ્ઞાનવાપી પરિસરના ASI સરવે પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, મુસ્લિમ પક્ષને અલાહાબાદ હાઇકોર્ટ જવા કહ્યું: CJI ડીવાય ચંદ્રચુડની બેન્ચનો આદેશ 

    સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને જણાવ્યું છે કે 26 જુલાઈ, 2023 પાંચ વાગ્યા સુધીમાં તેઓ હાઇકોર્ટનો સંપર્ક કરે અને હાઇકોર્ટ નક્કી કરશે કે વારાણસી કોર્ટના આદેશ પર રોક લગાવવી કે નહીં.

    - Advertisement -

    વારાણસીની કોર્ટે ‘જ્ઞાનવાપી મસ્જિદ’ તરીકે ઓળખાતા વિવાદિત માળખામાં વજૂખાનાને છોડીને બાકીના પરિસરનો વૈજ્ઞાનિક સરવે કરવા માટેનો આદેશ આપ્યા બાદ આજે સવારથી આર્કિયોલોજિકલ સરવે ઑફ ઇન્ડિયાએ કામગીરી શરૂ કરી હતી. જેને લઈને મુસ્લિમ પક્ષે વાંધો ઉઠાવીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતાં કોર્ટે કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. 

    સુપ્રીમ કોર્ટે 26 જુલાઈ, 2023ના રોજ સાંજે પાંચ વાગ્યા સુધી જ્ઞાનવાપીના ASI સરવે પર રોક લગાવી દીધી છે અને મુસ્લિમ પક્ષને અલાહાબાદ હાઇકોર્ટ જવા માટે કહ્યું છે. હવે મસ્જિદ સમિતિ વારાણસી કોર્ટના સરવેની પરવાનગી આપતા આદેશને હાઇકોર્ટમાં પડકારશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે આ આદેશ પસાર કર્યો હતો. 

    અમે વાંધો ઉઠાવીશું, સરવે થાય તો જ જ્ઞાનવાપીનું સત્ય બહાર આવશે: હિંદુ પક્ષના વકીલ 

    આ કેસમાં હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને જણાવ્યું કે, “સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને કહ્યું છે કે 26 જુલાઈ, 2023 પાંચ વાગ્યા સુધીમાં તેઓ હાઇકોર્ટનો સંપર્ક કરે અને હાઇકોર્ટ નક્કી કરશે કે વારાણસી કોર્ટના આદેશ પર રોક લગાવવી કે નહીં. સુપ્રીમ કોર્ટે હાલ વચગાળાની રોક લગાવી છે.” તેમણે ઉમેર્યું કે, “જિલ્લા કોર્ટના આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ જાતની ક્ષતિ પહોંચાડ્યા વગર આ સર્વેક્ષણ કરવામાં આવે પરંતુ મુસ્લિમ પક્ષ તરફથી દલીલ આપવામાં આવી કે સરવેના કારણે મસ્જિદનું કેરેક્ટર બદલાય જશે. પરંતુ અમે જણાવ્યું કે, તેવું કશું જ નથી અને સરવેથી માળખાને કોઈ નુકસાન નહીં પહોંચે. પરંતુ મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેમને સમય જોઈએ છે, ત્યારબાદ કોર્ટે વચગાળાની રાહત આપી છે.” 

    - Advertisement -

    વિષ્ણુ જૈને કહ્યું કે, “અમે હાઇકોર્ટ જઈ રહ્યા છીએ અને આ બાબતનો વાંધો ઉઠાવીશું. ASI સરવે થાય તો જ જ્ઞાનવાપીનું સત્ય બહાર આવી શકશે. હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટનાં અવલોકનોને ધ્યાને લીધા વગર પોતાની રીતે મેરિટના આધારે નક્કી કરીને આદેશ પસાર કરશે.” 

    ઉલ્લેખનીય છે કે શુક્રવારે (21 જુલાઈ, 2023) વારાણસીની કોર્ટે હિંદુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી સ્વીકારીને ASI સરવે માટે ગ્રીન સિગ્નલ આપ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, મસ્જિદનું વજૂખાનું જ્યાંથી ગયા વર્ષે શિવલિંગ મળી આવ્યું હતું તેને છોડીને સમગ્ર પરિસરનો સરવે કરાવવામાં આવે. ત્યારબાળ આજે જ્ઞાનવાપી પરિસરનો સરવે પણ હાથ ધરવામાં આવ્યો છે, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઓછામાં ઓછા 2 દિવસ સુધી આ કાર્યવાહી પર રોક લાગી ગઈ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં