ગુજરાતમાં યોજાનારી વિસાવદર અને કડી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારો ઉતારવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે (18 એપ્રિલ) પાર્ટી પ્રભારી મુકુલ વાસનિકની સ્થાનિક નેતાઓ સાથે બેઠક થઈ હતી, જેમાં આ નિર્ણય કરવામાં આવ્યો. બેઠક બાદ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને આ બાબતની ઘોષણા કરવામાં આવી.
વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી પહેલેથી જ ઉમેદવાર ઉતારી ચૂકી છે. અહીં ગોપાલ ઈટાલિયા AAP તરફથી લડશે. આમ આદમી પાર્ટી INDI ગઠબંધનનો ભાગ રહી છે, પરંતુ કોંગ્રેસે ઉમેદવારો ઉતારવાની ઘોષણા કરીને સ્પષ્ટ કર્યું છે કે આ પેટાચૂંટણીઓમાં AAP સાથે કોઈ ગઠબંધન થશે નહીં અને તેઓ અલગ જ લડશે.
AAP માટે આ એક માઠા સમાચાર છે, કારણ કે તેમને કોંગ્રેસ પાસેથી તેઓ ઉમેદવાર નહીં ઉતારે તેવી આશા હતી. પોતાના નામની ઘોષણા બાદ ગોપાલ ઈટાલિયાએ એક પ્રેસ કૉન્ફરન્સમાં જાહેરમાં કોંગ્રેસને અપીલ કરતાં કહ્યું હતું કે જેમ વાવ પેટાચૂંટણીમાં AAP લડી ન હતી તેમ હવે કોંગ્રેસ પણ વિસાવદરથી દૂર રહે. તેમણે એવો પણ દાવો કર્યો કે અગાઉ બંને પાર્ટીઓ વચ્ચે થયેલી બેઠકમાં આ જ ફોર્મ્યુલા નક્કી થઈ હતી.
ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, “જે દિવસે વાવ વિધાનસભાની પેટાચૂંટણી આવતી હતી તે સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નક્કી થયું હતું કે વાવની ચૂંટણી કોંગ્રેસ લડશે, ત્યાં આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉભો નહીં રાખે. અને વિસાવદર આમ આદમી પાર્ટી લડશે. ત્યાં કોંગ્રેસ નહીં હોય. આવી વાત તે સમયે થયેલી. અમારી વચ્ચે જે નક્કી થયું હતું એ જ રીતે અમે કામ કર્યું છે. હવે અમને આશા છે કે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે.”
AAP અને કોંગ્રેસ વચ્ચે બેઠકો દરમિયાન નક્કી થયું હતું કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં AAP પોતાનો ઉમેદવાર નહીં ઉભો રાખે અને વિસાવદર પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પોતાનો ઉમેદવાર નહીં ઉભો રાખે.
— AAP Gujarat (@AAPGujarat) March 24, 2025
AAP એ પોતાની ફરજ નિભાવી દીધી છે અને હવે કોંગ્રેસનો વારો છે.@Gopal_Italia pic.twitter.com/JU1z9Nl9qG
પ્રેસ કૉન્ફરન્સમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે કહ્યું કે, ગુજરાતની જનતા ક્યારેય ત્રીજી પાર્ટીને મત આપતી નથી અને અમે ભૂતકાળના નિર્ણયોની સમીક્ષા બાદ જ આ નિર્ણય કર્યો છે. તેમણે આમ આદમી પાર્ટી પર ગઠબંધન ધર્મ તોડવાનો પણ આરોપ લગાવ્યો અને હરિયાણાનું ઉદાહરણ આપીને કહ્યું કે ત્યાં કોંગ્રેસ મજબૂત હતી પણ આમ આદમી પાર્ટીને કારણે બાજી બગડી હતી.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન થયું હતું અને ભરૂચ અને ભાવનગર બેઠકો આમ આદમી પાર્ટીને આપવામાં આવી હતી. ભરૂચ બેઠક પર અહેમદ પટેલનાં સંતાનોએ આ બાબતને લઈને વાંધો પણ ઉઠાવ્યો હતો અને પ્રચારથી પણ દૂર રહ્યાં હતાં. બંનેમાંથી એક પણ બેઠક પછીથી AAP જીતી ન શકી.
ગઠબંધન દિલ્હીમાં પણ હતું પરંતુ ત્યાં પણ સાત લોકસભા બેઠકોમાંથી એક પણ બેઠક બંને પાર્ટીઓ મળીને જીતી શકી ન હતી. જોકે પછીથી જ્યારે વિધાનસભા ચૂંટણી આવી તો આ ગઠબંધન તૂટી ગયું અને બંને પાર્ટીઓ અલગ-અલગ લડી. કોંગ્રેસનું ખાતું ન ખુલ્યું પણ આમ આદમી પાર્ટી સત્તામાંથી બહાર થઈ ગઈ. હવે ગુજરાતમાં પેટાચૂંટણીઓ આવી રહી છે પણ કોંગ્રેસ AAPને બીજી કોઈ તક આપવાના મૂડમાં નથી.