Saturday, July 27, 2024
More
    હોમપેજરાજકારણઆંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ 14 દિવસ માટે જેલહવાલે, ભ્રષ્ટાચારના કેસમાં થઈ...

    આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ 14 દિવસ માટે જેલહવાલે, ભ્રષ્ટાચારના કેસમાં થઈ હતી ધરપકડ

    TDP અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુને જેલહવાલે કર્યા બાદ આંધ્રપ્રદેશ પોલીસે કોઈ અણબનાવ ન બને તે હેતુથી વિશેષ સુરક્ષા પ્રબંધ કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે વિજયવાડા શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.

    - Advertisement -

    આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુની ધરપકડ બાદ મુશ્કેલીઓ વધી રહી છે. એન્ટી કરપ્શન બ્યુરોની કોર્ટે ચંદ્રબાબુને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. ધરપકડ બાદ તેમની SIT સેલમાં 10 કલાક સુધી પૂછપરછ ચાલી હતી. પછીથી તબીબી તપાસ બાદ તેમને ACBની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટ દ્વારા તેમને 14 દિવસ માટે જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

    મળતી માહિતી અનુસાર, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ બાદ TDP અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુની ધરપકડ કરવામાં આવી હતી. તેમને જેલહવાલે કર્યા બાદ આંધ્રપ્રદેશ પોલીસે કોઈ અણબનાવ ન બને તે હેતુથી વિશેષ સુરક્ષા પ્રબંધ કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે વિજયવાડા શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર તેમને રાજમુંદરી જેલમાં રાખવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડ કેસ મામલે CIDની ટીમે વહેલી સવારે પહોંચીને ચંદ્રબાબુ નાયડુને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની ધરપકડ IPCની કલમ 120(B), 166, 167, 418, 420, 468, 465, 471, 409, 201, 109, 34 અને 37 તેમજ પ્રિવેન્શન ઑફ કરપ્શન એક્ટની કલમ 12, 13(2) તથા 13(1)(c)&(d) હેઠળ કરવામાં આવી છે. સાથે કહેવામાં આવ્યું કે આ ગુનો બિનજામીનપાત્ર હોવાના કારણે તેઓ જામીન પર મુક્ત થઈ શકે નહીં અને તેના માટે તેમણે કોર્ટનો સંપર્ક કરવો પડશે.

    - Advertisement -

    તો બીજી તરફ ચંદ્રબાબુ નાયડુ જેલહવાલે થયા બાદ તેમના તરફે સુપ્રીમ કોર્ટના વકીલ સિદ્ધાર્થ લુથરાએ ACB કોર્ટમાં દલીલો આપી હતી. લુથરાએ કોર્ટમાં કહ્યું હતું કે સત્તાધારી પાર્ટીએ ચંદ્રબાબુને રાજકીય લાભ માટે ખોટા આરોપોમાં ફસાવ્યા છે. આ સમયે કોર્ટ પરિસરની બહાર TDCના કાર્યકર્તાઓએ હોબાળો પણ મચાવ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે ચંદ્રબાબુ નાયડુની ધરપકડ પણ નાટકીય ઢબે થઇ હતી. ગત શુક્રવારે નાંદયાલ જિલ્લાના બનગનપલ્લીમાં એક જનસભા સંબોધ્યા બાદ તેઓ પોતાની વેનિટી વેનમાં આરામ કરી રહ્યા હતા. લગભગ સાડા ત્રણ વાગ્યે CID અને સ્થાનિક પોલીસ તેમની ધરપકડ માટે પહોંચી હતી પરંતુ પાર્ટી કાર્યકર્તાઓએ તેમને ઘેરી લીધા અને હોબાળો મચાવ્યો હતો. નાયડુની સુરક્ષા માટે હાજર જવાનોએ પણ પોલીસને તેમના સુધી પહોંચવા દીધા ન હતા અને કહ્યું કે તેઓ 6 વાગ્યા પછી જ મળી શકશે.

    આખરે 6 વાગ્યે પોલીસે ચંદ્રબાબુના વાહનનો દરવાજો ખખડાવ્યો અને તેમને નીચે બોલાવવામાં આવ્યા. ત્યારબાદ અરેસ્ટ વૉરન્ટ આપીને ધરપકડ કરી લેવામાં આવી. ધરપકડ બાદ તેમને મેડિકલ તપાસ માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ SIT સેલમાં 10 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જે પછી તેમને ACBની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જ્યાંથી કોર્ટે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ 14 દિવસ માટે જેલહવાલે કર્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં