Friday, March 29, 2024
More
    હોમપેજદેશકોરોના ગાઇડલાઇન અનુસરો અથવા રાષ્ટ્રીય હિતમાં ‘ભારત જોડો યાત્રા’ મુલતવી રાખો: ચીનમાં...

    કોરોના ગાઇડલાઇન અનુસરો અથવા રાષ્ટ્રીય હિતમાં ‘ભારત જોડો યાત્રા’ મુલતવી રાખો: ચીનમાં કોવિડના કેસોમાં ઉછાળા વચ્ચે સ્વાસ્થ્ય મંત્રીએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો

    વિશ્વના ઘણા દેશોમાં કોરોના કેસમાં અચાનક ઉછાળો. નિષ્ણાંતો માને છે કે આગામી સમયમાં પરિસ્થિતિ વિકટ થઇ શકે. નવો વેરિઅન્ટ વધુ ખતરનાક હશે.

    - Advertisement -

    વૈશ્વિક અહેવાલો અનુસાર ઘણા દેશો, એમાંય ખાસ કરીને ચીનમાં કોરોનના કેસોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા કેટલાય વૈશ્વિક નિષ્ણાંતો આવનારા ભયંકર રોગચાળાની આગાહી કરી ચુક્યા છે. એવામાં ભારતના સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા દ્વારા પત્ર લખીને રાહુલ ગાંધી તથા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને ભારત જોડો યાત્રા બાબતે સૂચનો કરવામાં આવ્યા છે.

    ANIના અહેવાલ મુજબ સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે (20 ડિસેમ્બર) લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “રાજસ્થાનમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા દરમિયાન કોવિડ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરો. માસ્ક-સેનિટાઈઝરનો ઉપયોગ અમલમાં મૂકવો જોઈએ. ફક્ત રસીવાળા લોકોએ જ ભાગ લેવો જોઈએ.” જો આ પ્રોટોકોલ શક્ય ન હોય તો પદયાત્રા મોકૂફ રાખવા વિનંતી પણ માંડવીયાએ કરી છે.

    “જો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય ન હોય તો, જાહેર આરોગ્ય કટોકટીની નોંધ લઈને ભારત જોડો યાત્રા રાષ્ટ્રીય હિતમાં મુલતવી રાખવામાં આવે,” પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.

    - Advertisement -

    કોંગ્રેસે આપી પ્રતિક્રિયા

    કેન્દ્રીય આરોગ્ય પ્રધાનના પત્ર પર પ્રતિક્રિયા આપતા, કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું, “હું ભાજપને પૂછવા માંગુ છું કે શું પીએમ મોદીએ ગુજરાતની ચૂંટણી દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન કર્યું હતું? મને લાગે છે કે મનસુખ માંડવિયા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને પસંદ નથી કરી રહ્યા. પરંતુ લોકો તેને પસંદ કરી રહ્યા છે અને તેમાં જોડાઈ રહ્યા છે. માંડવિયાને લોકોનું ધ્યાન અન્યત્ર કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.”

    કોવિડને લઈને બેઠકોનો દોર શરૂ

    સૂત્રોના જણાવ્યા અનુસાર મનસુખ માંડવિયા આજે દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક કરી શકે છે. બેઠક 11:30 વાગ્યે શરૂ થશે, સૂત્રોએ ANIને જણાવ્યું હતું. તે અન્ય દેશોમાં કોવિડ-19ની સ્થિતિ અંગેની બેઠકોની પણ સમીક્ષા કરશે.

    ‘જાપાન, યુએસએ, કોરિયા, બ્રાઝિલ અને ચીનમાં જોવા મળતા કેસોની અચાનક વૃદ્ધિને ધ્યાનમાં રાખીને, ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) નેટવર્ક દ્વારા વેરિઅન્ટને ટ્રૅક કરવા માટે પોઝિટિવ કેસ સેમ્પલના સંપૂર્ણ જિનોમ સિક્વન્સિંગને તૈયાર કરવું જરૂરી છે’, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખે છે.

    કેન્દ્રીય આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે, “તમામ રાજ્યોને વિનંતી કરવામાં આવે છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમામ પોઝિટિવ કેસોના નમૂનાઓ, દૈનિક ધોરણે, નિયુક્ત INSACOG જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીઝ (IGSLs) ને મોકલવામાં આવે, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મેપ કરવામાં આવેલ છે,”

    નોંધનીય છે કે ચીન, જાપાન અને અમેરિકા જેવા દેશોમાં કોરોનાના કેસોમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. જેને લઈને ભારત સરકાર પાણી પહેલા પાળ બાંધવાની તૈયારી કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં