પહલગામ ખાતે થયેલા આતંકી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ સમગ્ર દેશમાં આક્રોશ છે. ઠેરઠેર આતંકવાદી રાષ્ટ્ર પાકિસ્તાનનો વિરોધ થઈ રહ્યો છે. આ જ ક્રમમાં કર્ણાટકના કલબુર્ગીમાં પણ હિંદુ સંગઠન બજરંગ દળના કાર્યકર્તાઓએ (Bajrang Dal) રોડ પર પાકિસ્તાનના સ્ટીકર ચોંટાડીને વિરોધ કર્યો હતો. આ વિરોધ કરવા બદલ બજરંગ દળના 6 કાર્યકર્તાઓને નજરબંધ કરવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર કલબુર્ગીના જગત સર્કલ, આલંદ નાકા, માર્કેટ ચોક અને સાથ ગુંબજ સહિત ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાકિસ્તાની ધ્વજનાં મોટાં સ્ટીકરો ચોંટાડવામાં આવ્યાં હતાં. જેની જાણ થતાં શહેર પોલીસ કમિશનર શરણપ્પા એસ ડી અને અન્ય પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળોની મુલાકાત લીધી અને પોસ્ટરો દૂર કર્યાં. પોલીસ અધિકારીઓએ પૂછપરછ માટે કેટલાક લોકોની અટકાયત પણ કરી હોવાના અહેવાલો છે.
બજરંગ દળના નેતાઓએ આ કૃત્યને આતંકવાદ સામેના વિરોધનું પ્રતીક ગણાવ્યું. તેમનું કહેવું છે કે પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે અથવા તેની સાથે જોડાયેલું છે, અને આ સ્ટીકરો દ્વારા તેઓ લોકોનું ધ્યાન આ મુદ્દા તરફ ખેંચવા માગતા હતા. વાહનો અવજ્ઞાના સંકેત તરીકે સ્ટીકરો પરથી પસાર થતાં હતાં.
જોકે આ મામલે પોલીસ કમિશનરે બાદમાં મીડિયાને જણાવ્યું હતું કે, “જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલાની નિંદા કરતા વિવિધ જૂથોએ દેખાવો કેન્ડલ માર્ચ કરી ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો. આજે સવારે અમે રસ્તાઓ પર પાકિસ્તાનના ધ્વજનાં ચિત્રો જોયાં તો શરૂઆતમાં આના કારણે થોડી મૂંઝવણ ઊભી થઈ.”
તેમણે આગળ જણાવ્યું કે, “સ્થાનિક પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે બજરંગ દળના કાર્યકરોએ પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવા માટે વિરોધ તરીકે પાકિસ્તાનના ધ્વજનાં ચિત્રો ચોંટાડ્યાં હતાં. સ્થાનિક પોલીસે પૂછપરછ માટે બજરંગ દળના છ કાર્યકરોની અટકાયત કરી છે.” અધિકારીએ કહ્યું કે, શરૂઆતમાં મૂંઝવણ ઊભી થઈ કારણ કે બજરંગ દળના કાર્યકરોએ આવા વિરોધ માટે પૂર્વ પરવાનગી લીધી ન હતી. જોકે પછીથી તમામને છોડી મૂકવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે આતંકી હુમલો થયો હતો જેમાં હિંદુ પ્રવાસીઓ સહિત 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 2019માં થયેલા પુલવામા હુમલા પછી આ હુમલાને સૌથી ઘાતક માનવામાં આવી રહ્યો છે. આ હુમલાના પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાની શાખાનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ હુમલામાં આતંકીઓએ હિંદુ પ્રવાસીઓના નામ પૂછી-પૂછીને ગોળીઓ મારી હોવાનું સામે આવ્યું હતું.