Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅદાણી, ખાલિસ્તાની, PFI પ્રતિબંધ… અમિત શાહે તમામના જવાબ આપ્યા: કહ્યું- '2024માં ભાજપની...

    અદાણી, ખાલિસ્તાની, PFI પ્રતિબંધ… અમિત શાહે તમામના જવાબ આપ્યા: કહ્યું- ‘2024માં ભાજપની કોઈ સ્પર્ધા નથી’, BBC ડોક્યુમેન્ટ્રી વિષે કહ્યું- ‘2002થી મોદીની પાછળ છે’

    તેમણે પહેલા પણ સ્પષ્ટ કહ્યું છે કે ચૂંટણી પછી જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. ત્યાં મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. હવે ચૂંટણી પંચે ચૂંટણી કરાવવાની છે.

    - Advertisement -

    ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ન્યૂઝ એજન્સી ANIને એક ઈન્ટરવ્યુ આપ્યો છે. જેમાં તેમણે ખાલિસ્તાન, પીએફઆઈ પ્રતિબંધ, બીબીસી ડોક્યુમેન્ટ્રી, અદાણી વિવાદ સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી છે. તેમણે કહ્યું છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે કોઈ સ્પર્ધા નથી. એવું પણ કહેવામાં આવ્યું છે કે કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદમાં ઘટાડો થયો છે અને વિકાસને વેગ મળ્યો છે.

    શાહે કહ્યું કે “જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો એજન્ડા જનસંઘના સમયથી હતો. જમ્મુ-કાશ્મીરમાં આજે જે રીતે વિકાસ થઈ રહ્યો છે અને આતંકવાદ ઘટી રહ્યો છે, તે દર્શાવે છે કે પરિવર્તન આવી રહ્યું છે. વર્ષ 2019 માં, ભાજપની આગેવાની હેઠળની સરકારે કલમ 370 નાબૂદ કરીને દેશના હિતમાં કામ કર્યું.”

    જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એમ પણ કહ્યું છે કે, તેમણે પહેલા પણ સ્પષ્ટ કહ્યું છે કે ચૂંટણી પછી જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. ત્યાં મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. હવે ચૂંટણી પંચે ચૂંટણી કરાવવાની છે.

    - Advertisement -

    જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીને લઈને વિપક્ષ દ્વારા પૂછવામાં આવતા સવાલ પર તેમણે કહ્યું, “જ્યાં સુધી ચૂંટણીનો સવાલ છે, શું વિપક્ષને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યાદ નથી. આ અમારા શાસનકાળમાં જ બન્યું છે. 70 વર્ષથી ત્યાં મ્યુનિસિપલ ચૂંટણીઓ થઈ ન હતી. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ પરિવારોનું વર્ચસ્વ હતું અને તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે.”

    પંજાબમાં વધી રહેલી ખાલિસ્તાની ગતિવિધિઓ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, “અમે તેના પર ચાંપતી નજર રાખી છે. આ મુદ્દે પંજાબ સરકાર સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. વિવિધ એજન્સીઓ વચ્ચે સારૂ સંકલન છે. મને ખાતરી છે કે અમે તેને ખીલવા નહીં દઈએ.”

    માઓવાદી પ્રવૃત્તિઓ અંગે તેમણે કહ્યું હતું કે, “છેલ્લા 9 વર્ષમાં બિહાર અને ઝારખંડમાંથી માઓવાદ લગભગ ગાયબ થઈ ગયો છે. છત્તીસગઢ પણ લગભગ પૂર્ણ થવાના આરે છે. 20 વર્ષમાં પ્રથમ વખત માઓવાદી હિંસામાં મૃત્યુઆંક 100થી નીચે ગયો છે. આ એક મોટી સિદ્ધિ છે. 8000થી વધુ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે.”

    હિંડનબર્ગ દ્વારા અદાણી ગ્રૂપ પર લગાવવામાં આવેલા આરોપો અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, “સુપ્રીમ કોર્ટે આ બાબતની નોંધ લીધી છે. જો મામલો સુપ્રીમ કોર્ટનો છે તો એક મંત્રી તરીકે મારે કંઈ કહેવું યોગ્ય નથી. પરંતુ ભાજપ પાસે આ મામલે ડરાવવા કે છુપાવવા જેવું કંઈ નથી.”

    બીબીસી ડોક્યુમેન્ટ્રી અંગે ગૃહમંત્રીએ કહ્યું છે કે, “હજારો ષડયંત્ર સત્યને નુકસાન પહોંચાડી શકે નહીં. સત્ય સૂર્યની જેમ ચમકે છે. વર્ષ 2002થી લઈને અત્યાર સુધી તેઓ નરેન્દ્ર મોદી વિરુદ્ધ આવું કરી રહ્યા છે. દરેક વખતે અમે વધુ મજબૂત બન્યા છીએ અને સાચી રીતે લોકોમાં વધુ લોકપ્રિયતા મેળવીએ છીએ.”

    પીએફઆઈ પર પ્રતિબંધ લગાવવા અંગે અમિત શાહે કહ્યું છે કે કોંગ્રેસ પીએફઆઈ કેડર સામેના કેસને સમાપ્ત કરવા માટે કામ કરી રહી છે. પરંતુ કોર્ટે તેને અટકાવી દીધો છે. આવા ઘણા દસ્તાવેજો મળી આવ્યા છે જે દર્શાવે છે કે તેમની પ્રવૃત્તિઓ દેશની અખંડિતતા અને એકતા માટે સારી ન હતી. તેથી વોટબેંકના રાજકારણથી ઉપર ઉઠીને સરકારે તેના પર સખત પ્રતિબંધ મુક્યો છે.

    શહેરોના નામ બદલવાને ‘અધિકાર’ ગણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી શાહે કહ્યું, “કોઈનું યોગદાન ઓછું થતું નથી. અમે કોઈને દૂર કરવા માંગતા નથી. પરંતુ જો કોઈ પોતાના દેશની પરંપરાની વાત કરે અને તેને મજબૂત કરવા માંગે તો તેની સામે કોઈને વાંધો ન હોવો જોઈએ. અમે કોઈ શહેરનું નામ બદલ્યું નથી, પરંતુ પહેલા જેવું જ નામ આપ્યું છે. અમારી સરકારે કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી નિર્ણયો લીધા છે. આ માટે તમામ સરકારો પાસે સત્તા છે.”

    આદિવાસી વર્ગના વિકાસ અંગે ગૃહમંત્રીએ કહ્યું છે કે “આદિવાસી વર્ગ હવે વિકાસનો અનુભવ કરી રહ્યો છે. હવે દેશમાં રાષ્ટ્રપતિ પણ એક આદિજાતિ છે. આવું પહેલીવાર બન્યું છે. ગરીબ પરિવારોને આપવામાં આવતા લાભો આદિવાસી વર્ગને પણ કોઈપણ ભેદભાવ વિના આપવામાં આવી રહ્યા છે. આદિવાસીઓને ખ્યાલ છે કે અગાઉની સરકારોએ તેમને ગેરમાર્ગે દોર્યા છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં