Friday, March 14, 2025
More
    હોમપેજદેશક્યારેક મસ્જિદથી ફેંકાયા પથ્થર, ક્યારેક હોળી મનાવવા પર અપાઈ લાશો પાથરવાની ધમકી:...

    ક્યારેક મસ્જિદથી ફેંકાયા પથ્થર, ક્યારેક હોળી મનાવવા પર અપાઈ લાશો પાથરવાની ધમકી: એવી 20 ઘટનાઓ, જ્યારે હિંદુ તહેવાર પર ઇસ્લામી કટ્ટરપંથીઓએ મચાવ્યો ઉત્પાત

    એવું નથી કે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો કે સંસ્થાઓમાંથી આવી ઘટનાઓ પહેલી વાર સાંભળવા મળી રહી છે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં હિંદુઓ અને તેમના તહેવારોને નિશાન બનાવવામાં આવતા રહ્યા છે. ફક્ત હોળી વિશે વાત કરતા આજે પાછલાં અમુક વર્ષોમાં આ તહેવાર દરમિયાન બનેલી 20 ઘટનાઓ વિશે જાણીએ.

    - Advertisement -

    હોળીનો (Holi Festival) તહેવાર હિંદુઓ માટે જેટલો ખાસ છે, એટલો જ મજહબી કટ્ટરપંથીઓને (Radical Islamist) આંખમાં ખટકે છે.. જો આ વર્ષની વાત કરીએ તો હોળી આવે તે પહેલાં જ સમાચાર આવવા માંડ્યા હતા કે કેટલીક જગ્યાએ હિંદુઓને હોળીનું આયોજન કરવા બદલ જાનથી મારી નાખવાની ધમકીઓ (Death Threat) આપવામાં આવી રહી છે, અને કેટલીક જગ્યાએ તેમને હોળી રમવાની પરવાનગી પણ મળી રહી નથી.

    એવું નથી કે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો કે સંસ્થાઓમાંથી આવી ઘટનાઓ પહેલી વાર સાંભળવા મળી રહી છે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં હિંદુઓ અને તેમના તહેવારોને નિશાન બનાવવામાં આવતા રહ્યા છે. ફક્ત હોળી વિશે વાત કરતા આજે પાછલાં અમુક વર્ષોમાં આ તહેવાર દરમિયાન બનેલી 20 ઘટનાઓ વિશે જાણીએ, જ્યારે કટ્ટરપંથીઓએ સીધા હિંદુઓને નિશાન બનાવ્યા હતા અને હિંદુ ધર્મ પ્રત્યે પોતાનો દ્વેષ ઠાલવ્યો હતો. તાજેતરના કિસ્સાથી શરૂઆત કરીએ.

    ‘હોલી મનાઈ, તો લાશે બિછા દેંગે’

    22 ફેબ્રુઆરી 2025ના રોજ ઉત્તર પ્રદેશના બરેલીના બારદ્વારી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અહેવાલ સામે આવ્યા. જેમાં જણાવાયું કે કેટલાક ઇસ્લામી કટ્ટરપંથીઓએ હિંદુ યુવાનોને ધમકી આપી હતી કે જો તેઓ હોળી ઉજવશે તો તેમને મારી નાખવામાં આવશે. જ્યારે આ મામલો ઉજાગર થયો ત્યારે પોલીસે કેસની તપાસ કરી અને આ કેસમાં અયાન, સલમાન, અમન, રેહાન સહિત ઘણા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી.

    - Advertisement -

    AMUમાં હિંદુઓને હોળી ઉજવવાની પરવાનગી નકારી હતી, પરંતુ પછીથી મંજૂરી આપવામાં આવી

    અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના હિંદુ વિદ્યાર્થીઓએ હોળી ઉજવવાની પરવાનગી માંગી હતી, પરંતુ વહીવટીતંત્રે સ્પષ્ટ ઇનકાર કરતા કહ્યું કે તેઓ નિયમોમાં ફેરફાર કરશે નહીં અને જે કોઈ હોળી ઉજવવા માંગે તેણે હોસ્ટેલમાં રહીને ઉજવવી જોઈએ. જોકે, પાછળથી સમાચાર આવ્યા કે થોડા પ્રયત્નો પછી હિંદુ વિદ્યાર્થીઓને હોળી રમવાની પરવાનગી આપવામાં આવી.

    હિંદુ પિતા-પુત્રી પર ફૈઝાને ફેંક્યું ઉકળતું પાણી

    તેવી જ રીતે, વર્ષ 2024માં મધ્યપ્રદેશના ધારના ઘાટાબિલ્લોદ ગામમાંથી હોળીના દિવસે એક હિંદુ પુત્રી અને પિતા પર ઉકળતું પાણી ફેંકવાનો કિસ્સો સામે આવ્યો હતો. ગામમાં પાયલ તિવારી નામની એક છોકરી અને તેના પિતા રાકેશ તિવારીએ પોતાના પાડોશી ફૈઝાન પાસે રંગ ધોવા માટે પાણી માંગ્યું હતું. તે સમયે ફૈઝાને પાણી આપવાને બદલે તેમના પર ઉકળતું પાણી રેડ્યું. આ ઘટનામાં છોકરીનો ચહેરો ખરાબ રીતે દાઝી ગયો હતો.

    ‘નમાજ દરમિયાન ન વગાડી શકાય ગીતો’

    બીજી ઘટના 25 માર્ચ, 2024ની છે. તેલંગાણાના મેડચલ-મલકજગિરી જિલ્લાના ચેંગીચેરલા વિસ્તારમાં હોળીની ઉજવણી કરતી વખતે મુસ્લિમ ટોળાએ હિંદુઓ પર હુમલો કર્યો અને તેમને નમાજ દરમિયાન કોઈ ગીતો ન વગાડવાની ધમકી આપી. આ હુમલા દરમિયાન ટોળાએ મહિલાઓને પણ નિશાન બનાવી હતી.

    હોળી દરમિયાન પથ્થરમારો

    વર્ષ 2024માં આગ્રાના રકાબગંજમાંથી પણ હોળી પર હિંદુઓને નિશાન બનાવવાનો એક કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટનામાં જમીલ નામના વ્યક્તિના નેતૃત્વમાં મુસ્લિમ સમુદાયના લગભગ બે ડઝન બદમાશોએ હિંદુઓ પર પથ્થરમારો કર્યો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા. આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે જમીલ, સલીમ, રઈસ, શૌકત સહિત 34 નામાંકિત વ્યક્તિઓ અને 50 અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો હતો.

    AMUમાં હોળી પર હુમલો

    અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હિંદુઓને હોળી મિલન ઉજવણીનું આયોજન કરવાની મનાઈ કરવામાં આવી હતી. 21 માર્ચ, 2024ના રોજ જ્યારે હિંદુઓએ AMU કેમ્પસમાં હોળી રમવાનો પ્રયાસ કર્યો ત્યારે તે દિવસે ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો. આ ઘટનામાં અલીગઢ પોલીસે મિસ્વા, ઝાકીઉર રહેમાન, ઝૈદ, શેરબાની, શાહરૂખ સાબરી અને અન્ય મુસ્લિમ વિદ્યાર્થીઓ સામે FIR પણ નોંધી હતી.

    દાન લેતી વખતે તૂટી પડ્યા ઇસ્લામી કટ્ટરપંથીઓ

    2023ની વાત કરીએ તો, હોલિકા દહનના દિવસે ઉત્તર પ્રદેશના મેરઠમાં દાન ઉઘરાવતા સમયે પરિસ્થિતિ વણસી ગઈ. તે સમયે મુસ્લિમ જૂથે હોલિકા પર લાત મારી એટલું જ નહીં, પરંતુ દાન લેવા ગયેલા હિંદુઓ પર પણ હુમલો કર્યો અને ત્યારબાદ ભારે પથ્થરમારો થયો હતો. આ વિવાદ બાદ પોલીસે ત્રણ લોકોની અટકાયત કરીને કાર્યવાહી કરી હતી.

    રંગ લાગ્યો તો ભડક્યો શબ્બીર, પેટ્રોલ છાંટીને મિત્રને ચાંપી દીધી આગ

    2023માં તેલંગાણાના મેદકના મારાપલ્લી ગામમાં હોળી પર એક વિવાદ પણ ઉભો થયો હતો. તે સમયે હોળીના દિવસે મોહમ્મદ શબ્બીર નામના એક મુસ્લિમ વ્યક્તિએ તેના પર રંગ ઉડવાના કારણે ગુસ્સે થઈને તેના મિત્ર અંજૈયા પર પેટ્રોલ છાંટીને તેને આગ લગાવી દીધી હતી.

    હોળીના દિવસે મારી દીધી ગોળી

    7 માર્ચ 2023ના રોજ રાજસ્થાનના બિકાનેરમાં હોળીના દિવસે કુચીલપુરા વિસ્તારમાં બે મુસ્લિમ યુવાનોએ સવાઈ સિંઘ નામના વ્યક્તિ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં તાહિર, નિયાઝ અને અખ્તરની ધરપકડ કરવામાં આવી હતી.

    ગુલાલ રમવાના બહાને હત્યા

    ઉત્તર પ્રદેશના દનકૌરમાં હોળીના દિવસે મનીષ શર્માની હત્યાનો મામલો સામે આવ્યો હતો. હત્યારાઓ બીજું કોઈ નહીં પણ મનીષના મિત્રો રાશિદ અને સલમાન હતા. તેઓએ પહેલા મનીષને ગુલાલ વગાડવાના નામે બોલાવ્યો અને પછી તેની હત્યા કરી દીધી હતી.

    ‘જો મસ્જિદની સામેથી પસાર થશે જુલુસ , તો થશે રમખાણો’

    વર્ષ 2023માં ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં હોળી દરમિયાન ઇમામ મૌલાના સદાકત હુસૈને શાંતિ સમિતિની બેઠક દરમિયાન ભડકાઉ નિવેદન આપ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે જો હોળીનું સરઘસ બજાર વાલી મસ્જિદની સામેથી પસાર થશે તો રમખાણો અને હિંસા થશે. તેમના નિવેદન પછી અધિકારીઓએ તાત્કાલિક ભાષણ બંધ કરાવી દીધું અને મૌલાના વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

    જામિયામાં હિંદુઓ પર હુમલો, DUમાં ઉત્સવ પર પ્રતિબંધ

    વર્ષ 2023માં હોળી દરમિયાન જામિયા મિલિયા ઇસ્લામિયામાં પણ એક વિવાદ ઉભો થયો હતો. તે સમયે ઇસ્લામિક કટ્ટરપંથીઓએ પોતાનો સાચો રંગ બતાવ્યો અને કોલેજ કેમ્પસમાં હોળી રમી રહેલા હિંદુઓ પર હુમલો કર્યો અને નારા-એ-તકબીર, અલ્લાહ-હુ-અકબર જેવા નારા લગાવ્યા હતા. જો DUની વાત કરીએ તો 2023માં DU પ્રશાસને આદેશ આપ્યો હતો કે જો વિદ્યાર્થીઓ કેમ્પસમાં હોળી રમશે તો તેમની સામે એન્ટી રેગિંગ, છેડતી અને જાતીય સતામણીના નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

    હિંદુ ડોક્ટરની હત્યા

    વર્ષ 2023માં હોળીના એક દિવસ પહેલાં એટલે કે નાની હોળીના દિવસે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિંદુ ડૉક્ટરની ક્રૂર હત્યાનો મામલો સામે આવ્યો હતો. મૃતક ડૉક્ટરની ઓળખ 60 વર્ષીય ધરમ દેવ રાઠી તરીકે થઈ હતી અને તેમની હત્યાનો આરોપી બીજો કોઈ નહીં પણ તેમનો પોતાનો ડ્રાઈવર હનીફ લઘારી હતો.

    પરવાનગી લીધા પછી પણ પંજાબ યુનિવર્સિટીમાં હિંદુ વિદ્યાર્થીઓ પર હુમલો

    વર્ષ 2023માં જ હોળી દરમિયાન પાકિસ્તાનની પંજાબ યુનિવર્સિટીમાં હિંદુઓ પર હુમલો થયો હતો. આ ઘટના 6 અને 7 માર્ચ, 2023ના રોજ બની હતી. હુમલા સમયે 30 હિંદુ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસમાં હોળીની ઉજવણી કરી રહ્યા હતા. તેમને તહેવાર ઉજવવાની પરવાનગી પણ હતી પરંતુ કટ્ટરપંથી વિદ્યાર્થી સંગઠન, ઇસ્લામી જમિયત તુલ્બા (IJT) ત્યાં પહોંચી ગયું અને બધાને હોળી રમવાથી રોકી દીધા હતા. આ હુમલામાં લગભગ 15 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.

    બાળકોનો ઝઘડો… હોળી પર મુસ્લિમ ટોળાએ હિંદુઓ પર લાકડીઓ વડે કર્યો હુમલો

    વર્ષ 2022માં હોળીના અવસર પર બિહારના બેગુસરાયના મુફસ્સિલ પોલીસ સ્ટેશન હેઠળના રાજૌરા ગામમાં મુસ્લિમોના ટોળાએ હિંદુઓ પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન સમુદાય વિશેષના લોકોએ હિંદુ સમુદાયના લોકો પર લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો, જેમાં 20થી વધુ હિંદુઓ ઘાયલ થયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આખો વિવાદ બે બાળકો વચ્ચેના ઝઘડાને કારણે શરૂ થયો હતો અને ત્યારબાદ મુસ્લિમ ટોળાએ હિંદુ પક્ષ પર હુમલો કરી દીધો હતો.

    યુપી, ઉત્તરાખંડ, ઝારખંડ… બધે જ બબાલ

    એ જ રીતે 2022માં જ્યારે હોળી અને શુક્રવાર એક જ દિવસે હતા. તે સમયે ઘણી જગ્યાએથી પથ્થરમારો અને મારામારીના બનાવો નોંધાયા હતા. ઉત્તર પ્રદેશના અમરોહામાં, ચાંગા દરવાજા વિસ્તારમાં, હોળીની ઉજવણી દરમિયાન ડીજે વગાડવાથી મુસ્લિમો ગુસ્સે ભરાયા અને શુક્રવારની નમાઝ પછી પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘટનામાં બે હિંદુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

    સંભલના ખગ્ગુ સરાઈમાં, મુસ્લિમ ટોળાએ મસ્જિદ પર રંગ લગાવવાનો આરોપ લગાવીને હોળીનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન, હિંદુઓ પર ભારે પથ્થરમારો થયો હતો. આખરે વહીવટીતંત્રે 150 અજાણ્યા પથ્થરબાજો સામે કાર્યવાહી કરી હતી.

    તે જ સમયે, ઉત્તરાખંડના હરિદ્વારના લાલઢાંદગમાં નમાજ પછી મુસ્લિમ છોકરાઓએ હોળીની ઉજવણી કરી રહેલા યુવાનો પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન સુનીલ સૈની નામનો છોકરો ગંભીર રીતે ઘાયલ થયો હતો.

    ઝારખંડના તોપચાંચીમાં પણ મુસ્લિમ ટોળાએ તેમની વસ્તીનો ભય બતાવીને હિંદુઓને હોળી રમવાની મનાઈ ફરમાવી હતી અને જ્યારે હિંદુઓ હોળી રમતા જોવા મળ્યા, ત્યારે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

    બાંગ્લાદેશમાં હોળીના દિવસે ઇસ્કોન પર હુમલો

    17 માર્ચ 2022ના રોજ નાની હોળીના એક દિવસ પહેલાં બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ઇસ્કોનના રાધાકાંતા જીવ મંદિર પર ઇસ્લામિક કટ્ટરપંથીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ 200 લોકોનાં ટોળાએ મંદિર પરિસરમાં ઘૂસીને તોડફોડ કરી અને ત્યાં હાજર ભક્તો પર હુમલો કર્યો હતો.

    નોંધવા જેવું છે કે ઉપરોક્ત કિસ્સાઓ ફક્ત થોડાં જ ઉદાહરણો છે. માત્ર હોળી પર જ નહીં, હવે દરેક તહેવાર પર હિંદુઓને નિશાન બનાવવાની પ્રથા શરૂ થઈ ગઈ છે. આ તહેવારો આવતાંની સાથે જ એવું બતાવવામાં આવે છે કે તે દેશમાં અશાંતિ આવી શકે છે, હિંસા ફાટી શકે છે… પરંતુ આ દરમિયાન, એ કહેવામાં આવતું નથી કે આ બધું કરવાવાળા છે કોણ? ઉપરોક્ત તમામ કિસ્સાઓ છેલ્લાં કેટલાંક વર્ષોના છે પરંતુ એ જાણવું જોઈએ કે હોળીને બદનામ કરવાનું કાવતરું વર્ષો જૂનું છે. 2016માં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં હતાં જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે હોળી એક મહિલા વિરોધી તહેવાર છે કારણ કે તેમાં દલિત મહિલાઓનું શોષણ થાય છે. આ પોસ્ટમાં ‘હોલિકા’ ને અસુર બહુજન સમાજની મહિલા તરીકે વર્ણવીને આ તર્ક ફેલાવવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં