Saturday, April 27, 2024
More
    હોમપેજદુનિયાવિશ્વ ભારત ભણી અને રાહુલ ગાંધી વિદેશ ભણી…: બ્રસેલ્સ જઈને યુરોપિયન યુનિયનની...

    વિશ્વ ભારત ભણી અને રાહુલ ગાંધી વિદેશ ભણી…: બ્રસેલ્સ જઈને યુરોપિયન યુનિયનની સંસદમાં ભારત વિરુદ્ધ પ્રસ્તાવ લાવનાર સાંસદોને મળ્યા

    રાહુલ ગાંધી વિદેશોમાં હોય ત્યારે ભારતવિરોધીઓને મળે તેમાં હવે કશું નવું રહ્યું નથી. આ વખતે પણ તેમણે ક્રમ જાળવી રાખ્યો છે. તેમણે બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનનાં સાંસદો અલવિના અલમેત્સા અને પિયરે લારૌતુરૌ સહિત અનેક લોકો સાથે મુલાકાત કરી.

    - Advertisement -

    એક તરફ જુદા-જુદા દેશોના વડાઓ G20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવી રહ્યા છે તો ભારતના કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિદેશ ઊપડ્યા છે. રાહુલ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ પહોંચ્યા હતા. અહીં વિવિધ કાર્યક્રમોમાં તેમણે ભાગ લીધો અને એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. 

    રાહુલ ગાંધી વિદેશોમાં હોય ત્યારે ભારતવિરોધીઓને મળે તેમાં હવે કશું નવું રહ્યું નથી. આ વખતે પણ તેમણે ક્રમ જાળવી રાખ્યો છે. તેમણે બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનનાં સાંસદો અલવિના અલમેત્સા અને પિયરે લારૌતુરૌ સહિત અનેક લોકો સાથે મુલાકાત કરી. કોંગ્રેસે તેની તસ્વીરો પણ શૅર કરી હતી, જેમાં રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા સેમ પિત્રોડા અને યુરોપિયન યુનિયનના નેતાઓ બેઠેલા જોવા મળે છે. 

    ઉલ્લેખનીય છે કે સાંસદ પિયરે એ જ વ્યક્તિ છે જેમને જુલાઈમાં મણિપુર મુદ્દે યુરોપિયન યુનિયનની સંસદમાં ભારત વિરોધી પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. જુલાઈમાં યુરોપીય સંઘે ‘ઇન્ડિયા: ધ સિચ્યુએશન ઇન મણિપુર’ શીર્ષક સાથે એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. યુરોપિયન સંઘની સંસદે 12 જુલાઈ, 2023ના રોજ સત્રમાં મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરી હતી. આ ચર્ચા પીએમ મોદીની ફ્રાંસની મુલાકાતની બરાબર પહેલાં યોજવામાં આવી હતી. 

    - Advertisement -

    જોકે, ભારતે પણ આ પ્રસ્તાવનો જડબાતોડ જવાબ આપ્યો હતો અને એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, યુરોપિયન યુનિયનની સંસદે ભારતની આંતરિક બાબતોમાં બિનજરૂરી હસ્તક્ષેપ કરવાની કોઇ જરૂર નથી અને તેઓ પોતાના મામલાઓમાં જ ધ્યાન આપે. આ પ્રસ્તાવ પાછળ જે સાંસદોનો હાથ હતો તેમ અલવિના અલમેત્સા પણ સામેલ હતાં, જેમની સાથે તાજેતરમાં રાહુલ ગાંધીએ મુલાકાત કરી છે. 

    અલમેત્સા યુરોપમાં ભારતવિરોધી કેમ્પેઈન ચલાવતાં રહ્યાં છે. આ વર્ષે જાન્યુઆરીમાં અલવિનાએ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સંબંધિત સંગઠન ‘ધ લંડન સ્ટોરી’ની એક ચર્ચા દરમિયાન પ્રશાંત ભૂષણ અને શાહરુખ આલમ સાથે ભાગ લીધો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારતમાં માનવાધિકારો અને પ્રેસ સ્વતંત્રતાની સ્થિતિ બહુ ખરાબ છે અને જેથી ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવો જોઈએ. તેઓ ભારત વિરુદ્ધ કેમ્પેઇન, કોલમો લખવી કે ભારતીય હિતો વિરુદ્ધ અભિયાનો ચલાવવા માટે હંમેશા ચર્ચામાં રહે છે. 

    રાહુલ ગાંધી વિદેશ જાય અને ભારતવિરોધીઓ સાથે મુલાકાત કરે એ હવે સામાન્ય બનતું જાય છે. તેમની આ મુલાકાતો કે ચર્ચાઓમાં હંમેશા એક જ વાત સાંભળવા મળે કે ભારતમાં લોકતંત્ર જોખમમાં છે અને માનવાધિકારોની સ્થિતિ ખરાબ થતી જાય છે. જેના આરોપ હંમેશા મોદી સરકાર પર જ લગાવવામાં આવતા રહ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં