Friday, March 29, 2024
More
    હોમપેજમંતવ્યઠગ કિરણ પટેલની કાશ્મીરમાં ધરપકડ બાદ ફરી ફૂટી નીકળ્યા ગુજરાતદ્વેષીઓ: ટ્વિટર પર...

    ઠગ કિરણ પટેલની કાશ્મીરમાં ધરપકડ બાદ ફરી ફૂટી નીકળ્યા ગુજરાતદ્વેષીઓ: ટ્વિટર પર ગુજરાત અને ગુજરાતીઓને અપમાનિત કર્યાં

    કિરણ પટેલ માત્ર ગુજરાતી હોવાના કારણે કોંગ્રેસ ઇકોસિસ્ટમે આમાં ગુજરાત અને ગુજરાતીઓને ઘૂસાડી દીધા અને અપમાનિત કરવાની તક શોધી કાઢી હતી. 

    - Advertisement -

    કોંગ્રેસ પાર્ટી અને તેના સમર્થકોનો મોદી દ્વેષ ક્યાંય છૂપો નથી. વર્ષોથી તેઓ એક જ વ્યક્તિને હરાવી દેવા માટે, પછાડી દેવા માટે, તેને ખતમ કરી નાંખવા માટે રાત-દિવસ એક કરીને, મરણિયા થઈને લડી રહ્યા છે, તમામ કાવાદાવા કરી ચૂક્યા છે પરંતુ તેમ છતાં પરિણામના નામે હાર સિવાય કશું મળતું નથી. આ નિષ્ફ્ળતાએ અમુકને એટલા હતાશ કરી મૂક્યા છે કે હવે તેઓ કોઈ પણ મામલે, કોઈ પણ મુદ્દે મોદીને ગાળો ભાંડવાની, તેમને બદનામ કરવાની તક ચૂકતા નથી. 

    નરેન્દ્ર મોદી ગુજરાતના વતની છે. અહીંથી તેમણે રાજકીય કારકિર્દી શરૂ કરી, 13 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. અહીં તેમણે કરેલાં કામોને આધારે જ રાજ્યની અને તેમની પોતાની એક છબી બની અને તેઓ દિલ્હી પહોંચ્યા. મોદી દિલ્હી ગયા પછી પણ ગુજરાતનો તેમની સાથેનો સબંધ અકબંધ રહ્યો છે. 2014 અને 2019 એમ બંને લોકસભા ચૂંટણીઓમાં પણ ગુજરાતે મોદીને ધ્યાનમાં રાખીને તમામ 26 બેઠકો પર ભગવો લહેરાવ્યો હતો. હમણાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં મોદીની છબી અને પ્રચંડ લોકપ્રિયતાના જોરે ભાજપે 156 બેઠકોનો વિક્રમી આંકડો પાર કરી લીધો, સામે તરફ કોંગ્રેસ સાફ થઇ ગઈ.

    આ જ કારણ છે કે મોદીદ્વેષ હવે ધીમે-ધીમે ગુજરાતદ્વેષમાં પરિણમતો જોવા મળે છે. તાજું ઉદાહરણ ઠગ કિરણ પટેલ પ્રકરણનું છે. કિરણ પટેલ મૂળ ગુજરાતનો એક વ્યક્તિ છે, જે જમ્મુ-કાશ્મીર પહોંચી ગયો અને ત્યાં જઈને પોતાની ઓળખ PMOના એક ઉચ્ચ અધિકારી તરીકે આપી હતી. પછીથી ગેરસમજના કારણે તેને Z સુરક્ષા પણ આપવામાં આવી, SUV અપાઈ અને 5 સ્ટાર હોટેલમાં રોકાયો. 

    - Advertisement -

    જોકે, આખરે તેની પોલ ખુલી ગઈ અને ધરપકડ કરી લેવામાં આવી અને હવે આગળની કાર્યવાહી ચાલી રહી છે. પરંતુ કિરણ પટેલ માત્ર ગુજરાતી હોવાના કારણે કોંગ્રેસ ઇકોસિસ્ટમે આમાં ગુજરાત અને ગુજરાતીઓને ઘૂસાડી દીધા અને અપમાનિત કરવાની તક શોધી કાઢી હતી. 

    ટ્વિટર પર Rofl Gandhi નામના કોંગ્રેસ સમર્થક અકાઉન્ટે કિરણ પટેલનો આ વાયરલ વિડીયો પોસ્ટ કર્યો અને સાથે ગુજરાત દ્વેષ પણ છતો કર્યો. કિરણ પટેલ કઈ રીતે PMO ઓફિસર બનીને ગયો અને Z સુરક્ષા કવચ મેળવીને 5 સ્ટાર હોટેલમાં રહ્યો તેનો ઉલ્લેખ કરીને કટાક્ષ કરતાં લખ્યું કે ગુજરાતે ફ્રોડ લોકો પેદા કરવામાં સાતત્ય જાળવી રાખ્યું છે અને જે ‘પ્રશંસનીય’ છે. 

    અન્ય એક યુઝરે આ વિડીયો પોસ્ટ કર્યો અને સાથે લખ્યું કે, તમે અંદાજ લગાવી શકો કે તે કયા રાજ્યમાંથી આવતો હશે. આ પોસ્ટની નીચે અનેકે ગુજરાતનું નામ લઈને કટાક્ષ કર્યો તો મજાક પણ ઉડાવી હતી. 

    એક યુઝરે આ સમાચારના સ્ક્રીનશોટ પોસ્ટ કરીને લખ્યું કે, તમામ ગુજરાતી ઠગ દેશને ઠગવામાં લાગેલા છે. અન્ય એક વ્યક્તિએ આ સમાચાર પોસ્ટ કરીને સાથે લખ્યું કે, અહીં પણ એક ગુજરાતી જ. જેની નીચે પવન કુમાર નામના વ્યક્તિ લખે છે કે, બધા ઠગ ગુજરાતમાંથી જ કેમ આવે છે? 

    ટ્વિટર બાયોમાં પોતાને કોંગ્રેસ કાર્યકર ગણાવતા એક વ્યક્તિએ લખ્યું કે, દેશમાં છેતરપિંડી કરવામાં ગુજરાત અને ગુજરાતીઓ અવ્વ્લ છે. 

    વધુ એક યુઝરે લખ્યું કે, આ ઠગ પણ ગુજરાતી જ છે. 

    અન્ય પણ ઘણી પોસ્ટ્સ જોવા મળી જેમાં આ કિસ્સાના લીધે ગુજરાત અને ગુજરાતીઓને ગાળો દઈને અપમાનિત કરવામાં આવ્યા હોય. 

    કિરણ પટેલ ગુજરાતી છે, પરંતુ તેના ગુજરાતી હોવા ન હોવાને આ ઘટના સાથે કશું જ લાગતું-વળગતું નથી. તે અન્ય રાજ્યનો પણ હોત તો શું? પરંતુ તેમ છતાં એક રાજ્યને, સમુદાયને બદનામ કરવા માટેની તક શોધી કાઢવામાં આવી અને સોશિયલ મીડિયા પર દ્વેષ ઠાલવવામાં આવ્યો. આ પહેલો કિસ્સો નથી અને અંતિમ પણ નથી, પરંતુ આના પરથી સમજી શકાય તેમ છે કે કોંગ્રેસ ઇકોસિસ્ટમને ગુજરાત પ્રત્યે કઈ હદ સુધી નફરત છે. 

    ગુજરાત અનેક બાબતોમાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતે ક્યારેય તુષ્ટિકરણના રાજકારણને સ્થાન આપ્યું નથી. ગુજરાતીઓ અનેક ક્ષેત્રોમાં આજે આગળ છે. પરંતુ તેમ છતાં આ ઇકોસિસ્ટમ અગ્રણી ગુજરાતીઓ, નેતાઓ અને ઉદ્યોગપતિઓને ખોટા ચીતરવામાં, ગુજરાતીઓને અપમાનિત કરવામાં હંમેશા આગળ રહી છે. એ પછી પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હોય કે અહીંના ઉદ્યોગપતિઓ અદાણી-અંબાણી હોય. 

    હમણાં કોંગ્રેસ ગૌતમ અદાણીની પાછળ પડી છે. વિદેશી ફર્મ હિંડનબર્ગે અદાણી જૂથ પર આરોપો લગાવતો રિપોર્ટ પ્રકાશિત કર્યો ત્યારથી કોંગ્રેસ અદાણી જૂથની પાછળ પડી છે અને ફરી એક વખત પીએમ મોદી સાથે ઉદ્યોગપતિને જોડીને પાયાવિહોણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. 

    ગુજરાતી ઉદ્યોગપતિઓને ભાંડવામાં પહેલો ક્રમ કોંગ્રેસી રાહુલ ગાંધીનો છે. પીએમ મોદી પર આરોપો લગાવવા માટે તેઓ કાયમ આ ઉદ્યોગપતિઓને વચ્ચે લઇ આવે છે. 2019ની લોકસભા ચૂંટણી વખતે તેમણે રાફેલ ડીલને લઈને મોદી સરકાર અને અંબાણીને સંડોવવાના ભરપૂર પ્રયાસો કરી જોયા હતા પરંતુ આખરે કોર્ટે ક્લીન ચિટ આપી દીધી અને તેમાંનું કશું જ કામ ન આવ્યું. હવે આગલો ટાર્ગેટ અદાણી છે. મોદી તો કાયમ તેમના ટાર્ગેટ પર હોય જ છે. 

    એક વ્યક્તિ પ્રત્યેનો દ્વેષ, અન્ય વ્યક્તિઓ પ્રત્યે અને આખરે એક સમુદાય પ્રત્યેના દ્વેષમાં કઈ રીતે રૂપાંતરિત થઇ શકે તેનું આ ઉદાહરણ છે. જોકે, એ વાત પણ એટલી જ સત્ય છે કે આ બધા પ્રયાસોથી ભૂતકાળમાં પણ કોઈ ફેર પડ્યો નથી અને ભવિષ્યમાં પણ કોઈ ફેર પડવાનો નથી. પરંતુ તેની ચર્ચા થવી પણ એટલી જ જરૂરી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં