
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (5 જૂન) સુરત નજીક આવેલા લાર્સન એન્ડ ટુબ્રોના (L&T) હજીરા મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી. લગભગ સાત વર્ષ બાદ થયેલી આ મુલાકાત દરમિયાન તેમણે પ્લાન્ટમાં વિકસાવવામાં આવી રહેલા વિવિધ સ્વદેશી સંરક્ષણ પ્રોજેક્ટ્સ અને ઉત્પાદન ક્ષમતાની સમીક્ષા કરી હતી.
હજીરા સ્થિત આ અદ્યતન ઔદ્યોગિક સંકુલ દેશના સંરક્ષણ ઉત્પાદન અને હેવી એન્જિનિયરિંગ ક્ષેત્રનું મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ અહીં વિકસાવવામાં આવી રહેલી અનેક સ્વદેશી ડિફેન્સ સિસ્ટમ્સ વિશે માહિતી મેળવી હતી. હાલમાં હજીરા પ્લાન્ટ દેશના ખાનગી ક્ષેત્રમાં ટ્રેક્ડ આર્મર્ડ વ્હીકલ્સનું સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર છે.
આ પ્લાન્ટ ખાસ કરીને ભારતીય સેનાની K-9 વજ્રા સ્વચાલિત તોપો માટે જાણીતો છે. L&T અત્યાર સુધીમાં ભારતીય સેનાને 100 K-9 વજ્રા તોપો સપ્લાય કરી ચૂકી છે, જેમાંથી અનેક પૂર્વ લદ્દાખના ઊંચાઈવાળા વિસ્તારોમાં તહેનાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ પ્લેટફોર્મની વધુ 100 યુનિટ્સ માટે પણ મંજૂરી આપી છે.
હજીરા પ્લાન્ટે તાજેતરમાં સ્વદેશી જોરાવર લાઇટ ટેન્કના પ્રથમ પ્રોટોટાઇપના રોલઆઉટને કારણે પણ રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું હતું. માત્ર 19 મહિનામાં વિકસાવવામાં આવેલી આ ટેન્ક ખાસ કરીને પર્વતીય અને ઊંચાઈવાળા વિસ્તારોમાં કામગીરી માટે ડિઝાઇન કરવામાં આવી છે અને હાલમાં તેના ફિલ્ડ ટ્રાયલ્સ ચાલી રહ્યા છે.
આ ઉપરાંત, ભારતીય સેનાના ફ્યુચરિસ્ટિક ઇન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ (FICV) કાર્યક્રમમાં પણ હજીરા પ્લાન્ટ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. આ કાર્યક્રમ હેઠળ સેનાના જૂના BMP-2 ફ્લીટને બદલવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
વિશ્લેષકોનું માનવું છે કે જોરાવર લાઇટ ટેન્ક માટેના સંભવિત ભવિષ્યના ઓર્ડર્સ અને FICV કાર્યક્રમમાં સફળતા મળ્યે હજીરા પ્લાન્ટ ભારતના સૌથી મહત્વપૂર્ણ સંરક્ષણ ઉત્પાદન કેન્દ્રોમાંથી એક બની શકે છે. આ સાથે જ દેશની સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં પણ વધુ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.

