ત્રણ કલાકમાં જ આતંકવાદી દેશ પાકિસ્તાને કરી દીધું યુદ્ધવિરામનું ઉલ્લંઘન, કાશ્મીર પર મોકલ્યાં ડ્રોન: વળતો પ્રહાર કરવા સશસ્ત્રબળોને છૂટો દોર

ભારત સાથે યુદ્ધવિરામ કર્યાની ઘોષણાના થોડા જ કલાકોમાં પાકિસ્તાને ફરી અવળચંડાઈ શરૂ કરીને સરહદ પાર ડ્રોન મોકલવા મંડ્યાં છે અને ફરી એક વખત ભારતનાં શહેરોને ટાર્ગેટ કર્યાં છે. ભારત સરકારે પણ વળતો જવાબ આપવા માટે સશસ્ત્રબળોને છૂટો દોર આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 

ભારતમાં શ્રીનગર, ઉધમપુર, અખનૂર, ભીમ્બર વગેરે વિસ્તારોમાં પાકિસ્તાને ફરી એક વખત ડ્રોનનો મારો ચલાવ્યો છે. સાથે લાઇન ઑફ કન્ટ્રોલ પર મોર્ટારમારો પણ કરવામાં આવી રહ્યો છે. આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ત્રણ કલાક પહેલાં ભારત અને પાકિસ્તાન તરફથી પાકિસ્તાનની વિનંતી પર યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો હતો. 

પરંતુ ઇતિહાસ ફરી એક વખત પુનરાવર્તિત કરતાં આતંકવાદી રાષ્ટ્ર પાકિસ્તાને ભારત પર હુમલો કરી દીધો છે. સરકારી સૂત્રોને ટાંકીને પત્રકારો જણાવી રહ્યા છે કે સેના અને સશસ્ત્રબળોને પાકિસ્તાની ડ્રોન હુમલાઓનો વળતો જવાબ આપવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. 

સમાચાર છે કે ગુજરાતની કચ્છ સરહદે પણ અમુક ડ્રોન જોવા મળ્યાં છે. અર્થાત્ છેલ્લી બે-ત્રણ રાત્રિની જેમ આજે પણ પાકિસ્તાને આખી પશ્ચિમ સરહદે ડ્રોન મોકલીને હુમલાઓ કર્યા છે.