Thursday, April 17, 2025
More

    હવે સંભલમાં નહીં યોજાય આક્રાંતા સલાર મસૂદ ગાઝીના નામે મેળો, ASPએ પરવાનગી આપવાનો કર્યો ઇનકાર, કહ્યું- લૂંટારાના નામે નહીં થાય કોઈ મેળો

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સંભલમાં (Sambhal) દર વર્ષે યોજાતો નેજા મેળો (Neja Mela) આ વખતે નહીં યોજાય. સંભલ જિલ્લા પોલીસે મુઘલ આક્રાંતા સલાર મસૂદ ગાઝીના નામે આયોજિત કરવામાં આવતા નેજા મેળાના આયોજનની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે.

    નેજા મેળા સમિતિના લોકો સંભલના એડિશનલ SP શ્રીશચંદ્રને મંજૂરી માટે મળ્યા, પરંતુ તેમણે મેળા માટે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. અહેવાલ અનુસાર, એડિશનલ SPએ નેજા મેળા સમિતિના લોકોને સ્પષ્ટપણે કહ્યું હતું કે “સલાર મસૂદ ગાઝી એક લૂંટારો હતો. તેણે સોમનાથ મંદિર લૂંટ્યું. તેણે આખા દેશમાં નરસંહાર કર્યો. કોઈ પણ લૂંટારાની યાદમાં અહીં કોઈ મેળો યોજાશે નહીં.”

    નોંધનીય છે કે, જ્યારે મુસ્લિમ પક્ષે ASP સાથે દલીલો કરી, ત્યારે અધિકારીએ મેળાનું આયોજન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ASPએ કડક સ્વરમાં કહ્યું કે જો કોઈ નેજા મેળાનું આયોજન કરવાનો પ્રયાસ કરશે તો તેને બક્ષવામાં આવશે નહીં.

    આ પહેલાં 12 માર્ચે, નેજા સમિતિના અધિકારીઓ શહેરમાં યોજાનાર નેજા મેળા અંગે SDM ડૉ. વંદના મિશ્રાને મળ્યા હતા. અધિકારીઓએ મેળાના આયોજન માટે પરવાનગી માંગી હતી, પરંતુ તેમ છતાં SDMએ સ્પષ્ટ કર્યું હતું કે નેજા મેળાના નામે કોઈ પરવાનગી આપવામાં આવશે નહીં.

    કહેવાય છે કે સૈયદ સલાર મસૂદ ગાઝી મહમૂદ ગઝનવીનો ભાણિયો અને એક ક્રૂર શાસક હતો. તેણે ભારત પર અનેક વખત હુમલો કરીને દેશને લૂટ્યો હતો. એટલું જ નહીં તેણે ભારતમાં હિંદુઓ પર ઘણા અત્યાચાર અને ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનું પણ કહેવાય છે.