‘હું રાજીનામું નહીં આપું, ભલે તેઓ બરખાસ્ત કરી દે’: મમતા બેનર્જીએ બીજા દિવસે પણ ચાલુ રાખ્યું રટણ

વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ પણ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જી રાજીનામું આપવા તૈયાર નથી. મંગળવારે (5 મે) એક પ્રેસ કૉન્ફરન્સ કરીને મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો. બીજા દિવસે પાર્ટીના વિજેતા ઉમેદવારો સાથેની બેઠકમાં આ જ રટણ ચાલુ રાખ્યું હતું.

મમતા બેનર્જીએ ધારાસભ્યોને કહ્યું કે તેઓ રાજીનામું આપશે નહીં, ભલે તેમને બરતરફ કરી દેવામાં આવે. તેમણે કહ્યું, “હું આને કાળા દિવસ તરીકે જોઉં છું. આપણે બધાએ મજબૂત બનવું પડશે. વિધાનસભાના પ્રથમ દિવસે કાળાં વસ્ત્રો પહેરજો.”

મમતાએ કહ્યું કે તેમનું INDI ગઠબંધન હવે બંગાળ ચૂંટણી બાદ ફરી એક થઈ ગયું છે. હકીકત તો એ પણ છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં આ જ મમતા બેનર્જીએ INDI ગઠબંધનને માળિયે ચડાવી દીધું હતું અને એકલાં ચૂંટણી લડ્યાં હતાં. હવે પરાજય બાદ ફરી તેમણે ગઠબંધનના રાગ આલાપવા માંડ્યા છે.

મમતાએ ફરી કહ્યું કે TMCએ ભાજપને નૈતિક રીતે પરાજય આપ્યો છે. સાથે એમ પણ કહ્યું કે હવે તેઓ મુક્ત છે અને ભલે હારી ગયાં હોય પણ લડવાનું ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જી પોતાની ભવાનીપુર બેઠક પરથી ભાજપના સુવેન્દુ અધિકારી સામે હારી ગયાં હતાં.

મમતા બેનર્જીએ ફરી એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ સીધી રીતે બંગાળની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાના આરોપ લગાવી દીધા અને ચૂંટણી પંચને પણ વિલન ગણાવ્યું. સાથે CRPF અને પોલીસને પણ ઘસડ્યાં. સાથે કહ્યું કે જે પાર્ટીના માણસોએ તેમની વિરુદ્ધ કામ કર્યું છે તેમને તગેડી મૂકવામાં આવશે.