હિંદુઓના નરસંહાર સાથે જોડાયેલા સુહરાવર્દીને વિદાય: કોલકાતામાં હવે ગોપાલ પાઠાના નામે ઓળખાશે એવન્યુ માર્ગ

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક મહત્વપૂર્ણ નામ પરિવર્તન કરવામાં આવ્યું છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશને (KMC) સત્તાવાર નોટિસ જાહેર કરીને જણાવ્યું છે કે શહેરનો સુહરાવર્દી એવન્યૂ તરીકે ઓળખાતો માર્ગ હવે ‘ગોપાલ મુખર્જી રોડ’ તરીકે ઓળખાશે. 20 જૂન, 2026ના રોજ જાહેર કરાયેલી નોટિસમાં આ નિર્ણયની પુષ્ટિ કરવામાં આવી છે.

આ નિર્ણય પશ્ચિમ બંગાળ દિવસના અવસરે લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ભાજપ પશ્ચિમ બંગાળે પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. પાર્ટીએ નિવેદનમાં કહ્યું કે દાયકાઓથી કોલકાતાનો એક મહત્વનો માર્ગ એવા વ્યક્તિના નામે હતો, જેનું નામ 1946ના ડાયરેક્ટ એક્શન ડે અને બંગાળમાં થયેલી હિંસા સાથે જોડાય છે. ભાજપે આ નામ પરિવર્તનને ‘ઐતિહાસિક અન્યાયને સુધારવાનો પ્રયાસ’ ગણાવ્યો છે.

કોણ હતા ગોપાલ મુખર્જી?

ગોપાલ ચંદ્ર મુખર્જી, જેઓ ‘ગોપાલ પાઠા’ તરીકે વધુ જાણીતા છે, 1946ના કોલકાતા રમખાણો દરમિયાન ચર્ચામાં આવ્યા હતા. ડાયરેક્ટ એક્શન ડે બાદ શહેરમાં ભડકેલી હિંસા દરમિયાન તેમણે અને તેમના સાથીઓએ અનેક હિંદુ પરિવારોની સુરક્ષા માટે કામગીરી કરી હોવાનું સમર્થકો માને છે. હિંદુ સમાજના એક વર્ગમાં તેઓ આજે પણ એવા વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવે છે જેમણે અશાંત સમયમાં હિંદુઓના રક્ષણ માટે ભૂમિકા ભજવી હતી.

ડાયરેક્ટ એક્શન ડે અને સુહરાવર્દી

હુસૈન સુહરાવર્દી તે સમયે બંગાળનો પ્રીમિયર (મુખ્યમંત્રી સમકક્ષ) હતો, જ્યારે 16 ઑગસ્ટ 1946ના રોજ ડાયરેક્ટ એક્શન ડે બાદ કોલકાતામાં ભયાનક સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી અને હિંદુઓનો નરસંહાર થયો હતો. આ હિંસામાં હજારો હિંદુઓનાં મોત થયાં હતાં. આ હિંસામાં સુહરાવર્દીની સ્પષ્ટ સંડોવણી પણ હટી.

નામ પરિવર્તન બાદ સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ છે. આ નિર્ણય દ્વારા કોલકાતાએ ડાયરેક્ટ એક્શન ડેના દુઃખદ અધ્યાય સાથે જોડાયેલા નામને બદલે એવા વ્યક્તિને સન્માન આપ્યું છે, જેમણે વાસ્તવમાં હિંદુઓની રક્ષા કરી હતી.