ઝારખંડ: હેમંત સોરેન સરકાર સાથે વાતચીત કરશે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓનું પ્રતિનિધિમંડળ, 11 નામો મોકલાયાં

લગભગ 13 દિવસના પ્રદર્શન બાદ ઝારખંડના વિદ્યાર્થીઓ અને રાજ્ય સરકાર વચ્ચે વાતચીત થવા જઈ રહી છે. ગુરુવારે (6 ઑગસ્ટ) પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ તરફથી રાજ્ય સરકારને એક યાદી સોંપવામાં આવી હતી, જેમાં પ્રતિનિધિમંડળમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને કેટલા લોકો બેઠકમાં હાજરી આપશે તે જણાવવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓના પ્રતિનિધિમંડળમાં કુલ આઠ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. સાથે એક વકીલ અને બે ટેકનિકલ એક્સપર્ટ એમ કુલ 11 વ્યક્તિઓ વાતચીત માટે જશે.

આ યાદી રાજ્ય સરકારને સોંપી દેવામાં આવી છે. હવે સરકાર બેઠકનો સમય અને સ્થળ નક્કી કરીને વિદ્યાર્થીઓને જણાવશે.

જાણવા મળ્યા અનુસાર બંને પક્ષે ગુરુવારે (6 ઑગસ્ટ) જ વાતચીત થશે તેવી શક્યતા છે.

આ પહેલાં મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું હતું કે તેઓ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. જોકે પ્રદર્શનકારીઓ કહી રહ્યા છે કે જંતર-મંતર પર થયેલા આંદોલન બાદ ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય શિક્ષણમંત્રી પદેથી રાજીનામું આપી શકતા હોય તો હેમંત સોરેન કેમ નહીં.

અહીં ઉલ્લેખનીય છે કે 25 જુલાઈથી ઝારખંડમાં JPSC-JSSC રિફોર્મ્સ મંચના બેનર હેઠળ રાંચીના જયપાલ સિંઘ મુંડા સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન ચાલી રહ્યું છે.

વિદ્યાર્થીઓ 14મી ઝારખંડ PSC સિવિલ સર્વિસ પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે અને સાથે ભરતી પરીક્ષામાં થયેલી અનિયમિતતાની તપાસ CBI પાસે અથવા હાઇકોર્ટના નિવૃત્ત જજની (ઝારખંડની બહારના) અધ્યક્ષતાવાળી સમિતિ પાસે કરાવવાની માંગ કરી રહ્યા છે. સાથે ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશનમાં સુધારાની માંગ થઈ રહી છે.

જોકે જંતર-મંતર પરના કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનને ઇકોસિસ્ટમનો જેટલો સહયોગ મળ્યો એટલો ઝારખંડના વિદ્યાર્થીઓને મળી રહ્યો નથી. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી સદંતર ચૂપ છે, કારણ કે ઝારખંડમાં તેમણે સરકારને સમર્થન આપ્યું છે. કોકરોચ જનતા પાર્ટીના કોકરોચો પણ દૂર બેઠા ઝારખંડના વિદ્યાર્થીઓને સમર્થન આપી રહ્યા છે પરંતુ ઝારખંડ જવાની તસ્દી લઈ રહ્યા નથી.