Saturday, May 10, 2025
More

    ‘યુદ્ધવિરામ માટે પાકિસ્તાન તરફથી આવ્યો કૉલ, સૈન્ય કાર્યવાહી રોકવા સહમતી’: ભારત સરકારે પુષ્ટિ કરી કહ્યું– બંને પક્ષે સીધી વાતચીત બાદ નિર્ણય 

    ભારત અને પાકિસ્તાન તત્કાળ યુદ્ધવિરામ માટે સહમત થયા હોવાની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટ બાદ હવે ભારત સરકાર તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી છે. 

    સરકારે કહ્યું કે, વાતચીતની શરૂઆત પાકિસ્તાને કરી હતી, ત્યારબાદ બંને પક્ષો ચર્ચા થઈ અને સહમતી બની હતી. 

    સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે, “ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાયરિંગ અને સૈન્ય કાર્યવાહી સ્થગિત કરવા મુદ્દે બંને દેશો વચ્ચે સીધી વાતચીત થઈ હતી. પાકિસ્તાન DGMO દ્વારા આજરોજ (શનિવાર, 10 મે) પહેલ કરવામાં આવી, ત્યારબાદ ચર્ચા થઈ અને એક મુદ્દે સહમતી બની. આ તબક્કે હજુ બીજા કોઈ પણ મુદ્દે વાતચીત કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો નથી.”

    આ ઘટનાક્રમની વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પણ પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, “પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન (DGMO) દ્વારા આજે બપોરે 3:35 વાગ્યે ભારતના DGMOને કૉલ કરવામાં આવ્યો હતો. બંને વચ્ચે સહમતી થઈ કે બંને પક્ષો સાંજે પાંચ વાગ્યાથી તમામ ગોળીબાર, સૈન્ય કાર્યવાહી (જળ, જમીન, વાયુ ત્રણેય મોરચે) અટકાવી દેવામાં આવશે.”

    તેમણે જણાવ્યું કે, આ બાબતની જાણ બંને પક્ષોને કરી દેવામાં આવી છે. બંને DGMO હવે 12 મેના રોજ બપોરે 12 વાગ્યે આગળ વાતચીત કરશે.