ધંધુકામાં હિંદુ યુવાન ધર્મેશ ભરવાડની હત્યાના આરોપીઓનાં મકાનો પર ફરી વળ્યું બુલડોઝર, આસપાસની ગેરકાયદે સંપતિઓ પણ જમીનદોસ્ત

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં થયેલી હિંદુ યુવકની હત્યા મામલે રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ધર્મેશ ભરવાડ નામના યુવકની હત્યા બાદ ફેલાયેલા જનઆક્રોશ વચ્ચે તંત્રએ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી છે. નોંધનીય છે કે રિઝવાન નિઝામ મણિયાર અને સમીર મહંમદ અમદાણીએ બાઈક પાર્ક કરવા જેવી નજીવી બાબતમાં ઝગડો કરીને ધર્મેશની હત્યા કરી હતી. હવે આરોપીઓનાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે.

હાલમાં ધંધુકામાં આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. ધંધુકા ડિમોલિશનમાં આર એન્ડ બી, રેવન્યુ વિભાગ, પોલીસનો કાફલો, નગરપાલિકા, સિટી સર્વે વિભાગ, યુજીવીસીએલ, મેડિકલ, ફાયર વિભાગની વિવિધ ટીમો ખડેપગે છે. ઉલ્લેખનીય છે કે ધર્મેશની હત્યા બાદ હિંદુઓમાં ભારે રોષ ફેલાયો હતો અને તેમણે સરકાર સમક્ષ આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસે 20 એપ્રિલના રોજ આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરી હતી.

ધંધુકા એસ.ડી.એમ. વિદ્યાસાગરે જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર દ્વારા ખાટટકીવાડ વિસ્તારમાં ચાર ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેની તમામ કાયદેસરની પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત ધંધુકા-બગોદરા હાઈવે પર ફ્લાયઓવરથી લઈને ધંધુકા ચોક સુધીના તમામ ગેરકાયદે બાંધકામો હટાવવામાં આવશે. ધર્મેશ હત્યા કેસના આરોપીઓના ઘરની આસપાસ પણ ગેરકાયદે દબાણોની ઓળખ કરવામાં આવી છે, જેને તોડી પાડવાની સાથે આરોપીઓનાં ગેરકાયદે મકાનો પર પણ બુલડોઝર ફેરવવામાં આવશે. તંત્ર આ કામગીરીને પોતાની નિયમિત પ્રક્રિયાના ભાગરૂપે ગણાવી રહ્યું છે.

સુરક્ષા વ્યવસ્થાને લઈને અમદાવાદ ગ્રામ્ય ડી.એસ.પી. આસ્થા રાણાએ જણાવ્યું કે આ કાર્યવાહી દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે આશરે 400 પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. પરિસ્થિતિ પર નજર રાખવા માટે બે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે. ધર્મેશ હત્યા કેસમાં તપાસ ચાલુ છે અને વહીવટીતંત્રની સૂચના મુજબ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

આ અભિયાન હેઠળ ધંધુકાથી રાણપુર ચાર રસ્તા વચ્ચે આવતા માર્ગ પરના 14 જેટલાં ગેરકાયદેસર શેડ અને દુકાનોને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાટકીવાડ વિસ્તારમાં આવેલા પાંચ જેટલા ગેરકાયદેસર મકાનો પર પણ બુલડોઝર ફેરવીને તેને તોડી પાડવામાં આવશે, જેથી રસ્તાઓ ખુલ્લા કરી શકાય અને દબાણો નાબૂદ થાય.

બીજી તરફ કિશન ભરવાડ હત્યા કેસના આરોપીઓ વિરુદ્ધ પણ કાયદાકીય સકંજો મજબૂત કરવામાં આવ્યો છે. મુખ્ય આરોપી શબ્બીર ચોપડા અને ઇમ્તિયાઝ પઠાણના ઘરે ચાલતા ગેરકાયદેસર વીજ જોડાણો (લાઈટ કનેક્શન) વીજ વિભાગ દ્વારા કાપી નાખવામાં આવ્યા છે. આ મામલે વીજ ચોરીના ગુના હેઠળ ઇલેક્ટ્રિકલ વિભાગ દ્વારા કાયદેસરની ફરિયાદ નોંધવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.